ધો.10નુ પરિણામ આવ્યા બાદ શહેરની સ્કૂલોમાં ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં કેન્દ્રીય પ્રવેશ પધ્ધતિથી પ્રવેશ આપવા માટેના કાર્યક્રમની આખરે ડીઈઓ કચેરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જે પ્રમાણે સ્કૂલોએ તા.5 થી તા.7 જૂન સુધી વિદ્યાર્થીઓના ફોર્મ સ્વીકારવાના રહેશે. સ્કૂલોએ દરેક વર્ગમાં પોતાની સ્કૂલના ધો.10માં અભ્યાસ કરનારા 25 વિદ્યાર્થીઓ, બહારની સ્કૂલોના 6 વિદ્યાર્થીઓ તેમજ અનામત કેટેગરીના 44 વિદ્યાર્થીઓ (જેમાં ઈડબ્લ્યુએસ કેટેગરીનો પણ સમાવેશ થાય છે)ને પ્રવેશ આપવાનો રહેશે.
પ્રવેશ માટેની યાદી ડીઈઓ કચેરી પાસે તા.9 જૂનનાં રોજ મંજૂર કરાવવાની રહેશે અને તે પછી આ પ્રવેશ યાદી સ્કૂલમાં પ્રસિધ્ધ કરવાની રહેશે. પહેલા લિસ્ટમાં જે જગ્યાઓ ખાલી પડે તેના પર બીજુ મેરિટ લિસ્ટ બનાવીને પ્રવેશ આપવાની વ્યવસ્થા સ્કૂલોએ કરવાની રહેશે. ડીઈઓ કચેરીએ સાથે સાથે સ્પષ્ટતા કરી છે કે, કોઈ પણ સ્કૂલ પ્રવેશ ફોર્મની કિંમત પાંચ રૂપિયાથી વધારે નહીં રાખી શકે તેમજ કેન્દ્રીય પ્રવેશ પધ્ધતિના નિયમો નોન ગ્રાન્ટેડ સ્કૂલોને પણ લાગુ પડશે. અનામત કેટેગરીના જે વિદ્યાર્થીઓ પ્રવેશ ના મેળવી શકે તેમના માટે સૂરસાગર ખાતે આવેલા સ્ત્રી અધ્યાપન મંદિરમાં તા.7 અને 8 જૂનના રોજ પ્રવેશ કેમ્પ યોજાશે.
આ બે દિવસ સવારે 11 થી બે વાગ્યા દરમિયાન પ્રવેશ ફોર્મ વિતરણ અને સ્વીકારવાની કામગીરી થશે. કેમ્પ થકી પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની પહેલી પ્રવેશ યાદી તા.13 જૂન અને બીજી પ્રવેશ યાદી તા.17 જૂનના રોજ બહાર પડાશે. પહેલી યાદીમાં નામ હોય તેવા વિદ્યાર્થીએ તા.15 જૂન સુધીમાં અને બીજી યાદીમાં નામ હોય તેવા વિદ્યાર્થીઓએ તા.19 જૂન સુધીમાં ફી ભરવાની રહેશે. ડીઈઓ કચેરીએ ભલે પ્રવેશના કાર્યક્રમની જાહેરાત કરી હોય પણ ઘણી સ્કૂલોએ તેની રાહ જોયા વગર પ્રોવિઝનલ એડમિશન આપવાની કામગીરી પહેલા જ શરૂ કરી દીધી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500