Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજય સરકારના પ્રોત્સાહન થકી બહેનો બની રહી છે આત્મનિર્ભર : વડાપ્રધાનશ્રીની 'વોકલ ફોર લોકલ'ની ભાવનાને મૂર્તિમંત કરી રહી છે નારીશક્તિ

  • November 06, 2023 

મહિલાઓ આત્મનિર્ભર, સશકત બને તેવા આશયથી રાજય સરકાર દ્વારા સ્વસહાય જૂથોની રચના કરી બહેનો આર્થિક પ્રવૃત્તિઓ કરે તે માટે લોન સહાય, ક્રેશ ક્રેડિટ આપીને પ્રોત્સાહન પૂરૂ પાડવામાં આવે છે. આવા જ પ્રોત્સાહન થકી વલસાડ જિલ્લાના અટગામ જેવા નાનકડા ગામની સખીમંડળની બહેનો નેચરલ પ્રોડકટસનું ઉત્પાદન કરીને મહિને લાખોની કમાણી કરી રહી છે. રાજય સરકાર દ્વારા સુરત શહેરના અડાજણ ખાતે આયોજિત સરસ મેળામાં વલસાડના માધવા સ્વ-સહાય જૂથની બહેનો સ્વઉત્પાદિત ચીજવસ્તુઓનું સીધા ગ્રાહકો સુધી વેચાણ કરીને પગભર બની છે. પોતાના સખીમંડળની સફળતાની વાત કરતા સખીમંડળના પ્રમુખ અમિતાબેન પટેલ કહે છે કે, અમે ૨૦૧૫ના વર્ષમાં મધઉછેરની પાંચ પેટીઓ લાવીને મધનું ઉત્પાદન કરીને વેચાણની શરૂઆત કરી હતી. ત્યારબાદ સખીમંડળ મારફતે એક લાખની લોન સહાય મેળવી.



તેઓ કહે છે કે, જેમ અમારા નાના વ્યવસાયને ધીમે ધીમે લોકોનો સહયોગ મળવા લાગ્યો. સરકાર દ્વારા યોજાતા મેળાઓમાં અમારી પ્રોડકટસનું વેચાણ પણ વધવા લાગ્યું. અમે જાતે બનાવેલી પ્રોડકટ નેચરલ, શુદ્ધ હોવાના કારણે લોકો અમારી ચીજવસ્તુઓ પસંદ કરી રહ્યા છે. ધંધાનો વધુ વિકાસ થતા ત્રણ લાખની લોન લીધી જે ભરપાઈ થઈ ચૂકી છે. હાલમાં રૂા.પાંચ લાખની લોન લીધી છે. જેમાં અમને રૂા.૧૨૦૦૦નું રિવોલ્વિંગ ફંડ મળ્યું છે. તેઓ કહે છે કે, ગામમાં અમે ફાર્મહાઉસ બનાવ્યું છે, જેમાં અમે બહેનો સાથે મળીને ચીજવસ્તુઓ લાવી પેકિંગ સહિતની પ્રવૃત્તિઓ કરીએ છીએ. આજે અમારી સખીમંડળની ૧૦ બહેનો સાથે મળીને જુદી જુદી ફલેવરયુકતના મધ, ઘાણીનું તેલ, કેરીનો રસ, ધી, કેરીનો જામ, સિંધવ મીઠુ, હળદર, ગોળનો પાવડર, સોસ, ચાનો મસાલો, નાગલીનો લોટ, દેશી ખાંડસરી જેવી ૩૨થી વધુ હેલ્થની વસ્તુઓને પ્રોસેસ કરીને ગ્રાહકોને વેચાણ કરીએ છીએ.



અમદાવાદ અને વલસાડ ખાતે દુકાન દ્વારા વેચાણ કરી રહ્યા હોવાનું તેઓ જણાવે છે. આ સફળતા પાછળ સરકારનો મોટો ફાળો હોવાનું જણાવતા અમિતાબેન કહે છે કે, આજદિન સુધી સમગ્ર રાજયમાં અમે ૨૫ થી ૩૦ જેટલા મેળાઓ, કાર્યક્રમોમાં ભાગ લઈને પ્રોડક્ટ્સનું વેચાણ કર્યુ છે. એકવાર ગ્રાહક વસ્તુઓ લઈ ગયા બાદ ફરીવાર અમારા સખીમંડળનો કોન્ટેક કરીને વસ્તુઓ મંગાવે છે. સુરતના સરસમેળા વિશે તેઓ જણાવે છે કે, દૈનિક રૂા. ૨૫ હજારનું વેચાણ કરીએ છીએ. હાલ સુધીમાં રૂ.બે લાખનું વેચાણ કર્યું છે. આમ, માધવા સખીમંડળની બહેનોએ ત્રણ હજારથી શરૂ કરેલો વ્યવસાય વિસ્તરીને લાખોનો થયો છે. શરૂઆતમાં એક બહેન મહિને રૂ.૩ હજાર હજારની આવક મેળવતી હતી જે આજે વધીને રૂ.૧૦,૦૦૦ની આવક મેળવે છે. વર્ષ દહાડે આ બહેનો રૂા.૧૨ લાખની આવક મેળવી રહી છે. આમ, સરકારના સહયોગથી મહિલાઓ પગભર બનીને વ્યવસાય કરતી થઈ છે અને વડાપ્રધાનશ્રીના 'વોકલ ફોર લોકલ'ની ભાવનાને મૂર્તિમંત કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application