નવસારી તાલુકાના નાગધરા ગામ ખાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રીએ ઉકાઈ-કાકરાપાર યોજના હેઠળના નવસારી અને વલસાડ જિલ્લાના નહેર આધુનિકીકરણના કામોનું ખાતમુહૂર્ત કરીને ખેડૂતોને મોટી ભેટ આપી છે. રૂ.૪૫ કરોડથી વધુના ૨૨ કામોનું ખાતમુહૂર્ત કરી મંત્રીએ ઈ-તકતીનું અનાવરણ કર્યું હતું.
આ કામોથી નવસારી અને વલસાડ જિલ્લાની ૪૭૮૦ હેક્ટર જમીનને લાભ મળશે. ઉપસ્થિત ખેડૂતો અને ગ્રામજનોને નવા અંગ્રેજી વર્ષની શુભકામનાઓ પાઠવીને વન અને પર્યાવરણ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રૂ. ૪૫ કરોડથી વધુના ખર્ચે નવસારી જિલ્લાના નવસારી, જલાલપોર, ચીખલી તાલુકાઓમાં અને વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં નહેર આધુનિકીકરણ અને નહેર સ્ટ્રક્ચરોના નવીનીકરણની કામગીરી કરવામાં આવશે. ખેડૂતોનું હિત આ સરકારના હૈયે વસેલું છે, તેમ કહી મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે, નહેર આધુનિકીકરણના કામો થવાથી પાણીનું લીકેજ/સીપેજ અટકશે સાથે જ છેવાડાના વિસ્તાર સુધીમાં પૂરતા પ્રમાણમાં ખેડૂતોને સમયસર સિંચાઈનું પાણી મળશે તેમજ પાણીનો બચાવ થશે.
તદુપરાંત નહેર સ્ટ્રક્ચરોના નવીનીકરણની કામગીરીથી ટ્રાફિકની સમસ્યા દૂર થશે અને વાહનોને અવર-જવર કરવામાં સરળતા રહેશે તેમજ અકસ્માતો પણ નિવારી શકાશે. મંત્રીએ જનમેદનીને જળસંચયની તાકીદ કરી પાણીના સદ્ઉપયોગ અને જાળવણી માટે આહ્વાન કર્યું હતું. બદલાતા ક્રોપ પેટર્ન સાથે પાણીની જરૂરિયાત વધી છે અને આ જરૂરિયાત સંતોષવા માટે સરકાર સક્ષમ છે, તેમ તેમણે જણાવ્યું હતું. મંત્રી શ્રીએ ખેડૂતોને વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘કેચ ધ રેન’ અભિયાનને ઝીલી લેવા આગ્રહ કર્યો હતો. આ સાથે જ તેમણે ખેડૂતોને ટપક પદ્ધતિ સહિત પિયતની અતિ આધુનિક પદ્ધતિઓ અપવાનના આહ્વાન કર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500