Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ધરમપુર ભેંસધરામાં માપણીના કારણે સ્કૂલનું મેદાન અને છાત્રાલયના બાંધકામનો પ્રશ્ન ઉકેલાયો

  • August 25, 2023 

વલસાડના ભાગલમાં મીઠાના મંડળીની જમીનનો રી સર્વેનો ૪ વર્ષ જૂનો પ્રશ્ન એક જ દિવસમાં સોલ્વ થયો સંકલનઃ જિજ્ઞેશ સોલંકી સ્વાગત -વ- ફરિયાદ નિવારણ કાર્યક્રમે સુશાસનને પ્રોત્સાહિત કરવામાં અને સરકાર તેમજ પ્રજા વચ્ચેનું અંતર દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. લોકોને પોતાના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ મળી રહ્યું છે. જેના વધુ દ્રષ્ટાંત આજે ગુરૂવારે વલસાડ કલેકટર કચેરી ખાતે યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાતા સ્વાગત કાર્યક્રમ હેઠળ આજરોજ વલસાડ કલેકટર કચેરી ખાતે યોજાયેલા સ્વાગત કાર્યક્રમાં કલેકટરશ્રીએ જનતાની ફરિયાદો સાંભળી તેની સમીક્ષા કરી નિરાકરણ લાવ્યા હતા. જે પૈકી એક અરજદાર અશ્વિનભાઈ ચીખલીયા હતા. તેમના કેસની વિગત જોઈએ તો, ધરમપુર તાલુકાના ભેંસધરા ગામમાં ભારતીય જનસેવા સંસ્થાન દ્વારા સંચાલિત સરકારી હાઈસ્કૂલની જમીનની માપણી પૂર્ણ કરવા માટે અરજદાર છ માસથી ધક્કા ખાતા હતા. અગાઉ માપણી થઈ હતી.



પરંતુ તેમને ડ્રોઈંગ (માપણી) શીટ આપવામાં આવી ન હતી અને તાર ખૂંટા પણ થયા ન હતા. જેથી આ સરકારી હાઈસ્કૂલમાં ધો. ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા ૪૦૦ વિદ્યાર્થીઓ માટે મેદાન બનાવવાનું અને કન્યા છાત્રાલયનું કામ ચાલુ થઈ શક્યુ ન હતું. પરંતુ આજે સ્વાગત કાર્યક્રમમાં તેમના પ્રશ્નનો ત્વરિત ઉકેલ આવ્યો હતો. જે અંગે ટ્રસ્ટના મંત્રી અને અરજદાર અશ્વિનભાઈએ જણાવ્યું કે, સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરાયા બાદ મારી અરજી બાબતે તપાસ શરૂ થઈ હતી અને માપણી શીટ તૈયાર કરવામાં વિલંબ કરનાર અગાઉના સર્વેયરને જમીન દફતરના જિલ્લા નિરિક્ષક દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે. સાથે જ મને માપણીની શીટ પણ આપવામાં આવી છે. સ્વાગત કાર્યક્રમ અરજી કર્યા બાદ કલેકટરશ્રીએ મને રૂબરૂ સાંભળી સંબંધિત અધિકારીઓને સૂચના આપતા મારો પ્રશ્ન તાત્કાલિક ઉકેલાયો છે. જે બદલ હુ તેમનો અને ગુજરાત સરકારનો આભારી રહીશ.



બીજો એક કેસ વલસાડ તાલુકાના ભાગલ ગામનો છે. ભાગલ દાંડી કરદીવા વિભાગ મીઠું ઉત્પાદક સહકારી મંડળીની જમીનનો રી સર્વે થતા તેમની જમીન ઓછી દર્શાવી હતી. જેથી મંડળી વતી અરજદાર કાંતિભાઈ એફ પટેલે સ્વાગત કાર્યક્રમમાં અરજી કરી હતી. આજે ગુરૂવારે યોજાયેલા કાર્યક્રમમાં તેમના ચાર વર્ષ જુના પ્રશ્નનો ત્વરિત ઉકેલ આવતા તેઓએ સરકારના સફળ અમલીકરણ માટે મુખ્યમંત્રીશ્રી અને કલેકટરશ્રીનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે, ચાર વર્ષથી અમે કચેરીના આંટાફેરા મારતા હતા. પરંતુ એક દિવસ ન્યૂઝ પેપરમાં સરકારના સ્વાગત કાર્યક્રમ વિશે વાંચ્યુ હતુ. જેથી અરજી કરતા બીજા જ દિવસે અમારો પ્રશ્ન ઉકેલાયો હતો અને સુધારા હુકમ પણ અમને મળી ગયો છે. પ્રજા હિત માટે આ સ્વાગત કાર્યક્રમ ખૂબ જ આવકાર્ય છે. કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, સુપ્રિટેન્ડન્ટ લેન્ડ રેકર્ડ -વ- વલસાડ પ્રાંત અધિકારી નિલેશ કુકડીયા અને ડિસ્ટ્રીક્ટ ઈન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડ પ્રશાંત સોની દ્વારા થયેલી કાર્યવાહીથી અમને સંપૂર્ણ સંતોષ છે. સરકારનો સ્વાગત કાર્યક્રમ સાચા અર્થમાં સાર્થક થયો કહી શકાય છે.



આમ, આવા અનેક નાગરિકોના લાંબા સમયથી પેન્ડિંગ પ્રશ્નોનું સ્વાગત કાર્યક્રમ દ્વારા સફળતાપૂર્વક નિરાકરણ લાવવામાં આવ્યું છે. ચાર તબક્કે યોજાતા સ્વાગત કાર્યક્રમ માટે અરજદારે તા. ૧ થી ૧૦ સુધી અરજી કરવાની રહે છે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ 'સ્વાગત' (SWAGAT- સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવાન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેક્નોલોજી)ની શરૂઆત કરી હતી. તેમણે કંડારેલી રાહ પરથી પ્રેરણા લઈ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સ્વાગત કાર્યક્રમ હેઠળ પ્રજાના પ્રશ્નો સાંભળી તેનો ત્વરિત ઉકેલ લાવી પ્રજાની સેવા કરી રહ્યા છે. સ્વાગત કાર્યક્રમ રાજ્ય સ્વાગત, જિલ્લા સ્વાગત, તાલુકા સ્વાગત અને ગ્રામ સ્વાગત એમ ચાર સ્તરે આયોજિત કરવામાં આવે છે. નાગરિકોએ દર મહિનાની ૧ થી ૧૦ તારીખમાં પોતાની અરજી આપવાની હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
hi