અંકલેશ્વર નગર પાલિકા દ્વારા શહેરની જર્જરીત ગોલ્ડન ટ્રેડ સેન્ટરમાં આવેલ ઇમારતને ખાલી કરવા મકાન ધારકોને આખરી નોટિસ પાઠવી છે. જો માલીકો મકાન ખાલી નહીં કરે તો પાણી, વીજ અને ગેસ જોડાણ દૂર કરવા સંબંધિત વિભાગને જાણ કરાઈ છે. જ્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાન બાબતે ગુજરાત હાઉસિંગ બોર્ડને પત્ર લખી કાર્યવાહી કરવા તાકીદ કરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અંકલેશ્વર પાલિકા દ્વારા શહેરમાં જર્જરિત ઇમારતો અને મકાનો માટે 3 ટીમ બનાવીને સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
જેમાં પ્રાથમિક સર્વેમાં શહેરના સ્ટેશન વિસ્તાર, હસ્તી તળાવ વિસ્તાર સહીત એસ.એ. મોટર્સ વિસ્તારમાં સર્વે કરી ગોલ્ડન ટ્રેડ સેન્ટર, હસ્તી તળાવ ગુજરાત હાઉસિંગ બોર્ડ, બેનઝીર ટાવર અને જનતા એપાર્ટમેન્ટમાં જર્જરિત મકાન ધારકોને નોટીસ ફટકારી હતી. તેઓ પોતાના મકાનનો જર્જરિત ભાગ ઉતારી લેવાની તાકીદ કરી છે. ખાસ કરીને ગોલ્ડન ટ્રેડ સેન્ટર ઇમારતને વારંવાર નોટિસ પાઠવી છતાં જર્જરિત ભાગ ઉતારી લેવામાં નહીં આવતા નગરપાલિકા દ્વારા જર્જરિત ભાગ ઉતારી લેવામાં ન આવે તેમજ તેમાં રહેતા લોકો ખાલી ન કરશે. તો પાલિકા પાણી અને ડ્રેનેજ જોડાણ દૂર કરશે.
તેમજ વીજળી અને ગેસ લાઈન દૂર કરવા સંબંધિત વિભાગને પત્ર લખી જાણ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જ્યારે હસ્તી તળાવ વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાન બાબતે ગુજરાત હાઉસિંગ બોર્ડને પત્ર લખી કાર્યવાહી કરવા તાકીદ કરી છે. વધુમાં નગર પાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ શહેરની જર્જરિત મકાનો અને ઇમારતોની સર્વેની કામગીરી ચાલુ રહેશે. તેમજ તેમને નોટિસ આપવામાં આવનાર છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500