Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચિલોડાની સગીરાનું અપહરણ કરી તેની સાથે કેનાલમાં કૂદી જનાર આરોપી યુવાન બચી ગયો, પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

  • August 05, 2024 

ગાંધીનગરના ચિલોડા પંથકના ગામમાં રહેતી સગીરાનું અપહરણ કરીને તેની સાથે કેનાલમાં કૂદી જનાર આરોપી યુવાન બચી ગયો હતો પરંતુ સગીરાનું મોત થયું હતું. બનાવ અંગે ગુનો દાખલ થયા બાદ ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા આરોપીને આઇપીસી ૩૦૫ના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.


આ કેસની મળતી વિગતો પ્રમાણે, ગત ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ દશેલા ગામમાં રહેતા આરોપી મહેશ કચરાભાઈ ઠાકોર દ્વારા આ પંથકમાં રહેતી સગીરાનુ અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેણીને બાઈક ઉપર દહેગામ હરસોલી તોતળા માતાના મંદિર નજીક આવેલી નર્મદા કેનાલમાં લઈ જઈને તેણી સાથે કેનાલમાં કૂદી ગયો હતો. જોકે આજુબાજુમાંથી પસાર થતા લોકોએ યુવાન મહેશને બચાવી લીધો હતો.


જ્યારે સગીરાનું મોત થયું હતું. જે સંદર્ભે તેના પિતા દ્વારા ચિલોડા પોલીસ મથકમાં આરોપી સામે ફરિયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ કરીને આ ગુનાનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. જે કેસ ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં બીજા એડિશનલ સેશન્સ જજ શ્રી એસ.ડી મહેતાની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ સુનિલ.એસ.પંડયા દ્વારા અન્ય સાહેદોની જુબાની લેવામાં આવી હતી.


ત્યારબાદ વકીલે રજૂઆત કરી હતી કે, ભોગ બનનાર દીકરીની ઉંમર નાની હતી અને તેમ છતાં આરોપી દ્વારા ગંભીર પ્રકારનો ગુનો આચરવામાં આવ્યો છે. સમાજમાં આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે જેના પગલે આરોપીને કાયદામાં દર્શાવવામાં આવેલી સખતમાં સખત સજા કરવામાં આવે. જેના પગલે કોર્ટ દ્વારા આ દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી મહેશ કચરાભાઈ ઠાકોરને આઇપીસીની કલમ ૩૦૫ મુજબ ૧૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો અને કુલ ૧૪ હજાર રૂપિયા દંડ ભરવા પણ આદેશ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application