Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રોહન ગુપ્તાએ પહેલા ચૂંટણી લડવાની ના પાડી હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું

  • March 23, 2024 

કોંગ્રેસમાંથી ઉમેદવારી જાહેર થતા બાદ અચાનક ચૂંટણી લડવાનો ઈન્કાર કરનાર રોહન ગુપ્તાએ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. પિતાના બીમારીનું કારણ આપીને અમદાવાદ બેઠક પરથી ચૂંટણી લડવાની ના પાડનારા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના ગઢનો વધુ એક કાંગરો ખરી પડ્યો છે. ગુજરાત કોંગ્રેસ માટે આ મોટો ઝટકો છે. ત્યારે સવાલ એ છે કે, રોહન ગુપ્તા પણ અન્ય નેતાઓની જેમ પક્ષપલટો કરીને ભાજપમાં જશે કે શું તે હજી ચર્ચાનો વિષય છે. કોંગ્રેસ જેમને અમદાવાદ પૂર્વથી લોકસભા ઉમેદવાર જાહેર કર્યા હતા એવા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.


કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેને સંબોધીને રાજીનામું મોકલ્યું છે. તેઓએ કોંગ્રેસ પક્ષના સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. તેઓએ પક્ષના એક નેતાએ સતત અપમાન કર્યાનો દાવો પત્રમાં કર્યો છે. સાથે જ રોહન ગુપ્તાએ પત્રમાં લખ્યું કે, તેમના સતત ચારિત્ર્ય પર આંગળી ઉઠાવવામાં આવી છે. મે 13 વર્ષ પાર્ટીમાં વિવિધ હોદ્દાઓ પર કામ કર્યુ. મારા પિતા માટે મે મારી આકાંક્ષાને બાજુએ મુકી. હું મારા પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છું અને લડાઈ લડી રહ્યો છું ત્યારે એ જ કોંગ્રેસના નેતા ફરીથી મને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એમના વર્તનથી મને રોષ છે અને મારા સ્વમાનને ધ્યાને રાખીને હુ રાજીનામું આપી રહ્યો છો.


મહત્વનું છે કે, રોહન ગુપ્તાને કોંગ્રેસે અમદાવાદ પૂર્વથી લોકસભા ટિકિટ આપી હતી. જો કે, પિતાની તબિયતનું કારણ આપી રોહન ગુપ્તાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. રાજ્યસભાના સભ્ય નારણ રાઠવા, પૂર્વ ધારાસભ્ય મોહન રાઠવા, અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેર, સીજે ચાવડા જેવા દિગ્ગજ નેતાઓએ કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. ત્યારે અમદાવાદ પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તાએ પિતાની બીમારીનું કારણ આપીને ચૂંટણીનું મેદાન છોડ્યું હતું. ત્યારથી રોહન ગુપ્તા સતત ચર્ચામાં છે. રોહન ગુપ્તાની ચૂંટણી ન લડવા મામલે પ્રતિક્રિયા અમદાવાદ પૂર્વમાંથી લોકસભા ચૂંટણી ન લડવાના રોહન ગુપ્તાના નિર્ણય સામે રોહન ગુપ્તાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે તેમના પિતા તેમની ચૂંટણી લડવાના નિર્ણયથી રાજી નથી અને, હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


રોહન ગુપ્તાના ચૂંટણી લડવાથી તેમના પિતાના આરોગ્ય ઉપર કોઈ જોખમ આવે તો તેઓ પોતાને ક્યારેય માફ કરી શકે નહીં તેથી તેમને ચૂંટણી લડવાનો નિર્ણય હાલ ટાળ્યો છે. ત્યારે આ વચ્ચે રોહન ગુપ્તાએ પક્ષમાંથી જ રાજીનામું આપી દેતા અનેક અટકળો વહેતી થઈ છે. તો બીજી તરફ કોંગ્રેસને ખાટલે મોટી ખોટ એવી છે કે, કેટલાક જે સારા નેતા હતા તેમને ભાજપ લઈ ગયું. જેમાં અર્જુન મોઢવાડિયા, સીજે ચાવડા, નારણ રાઠવા, અંબરીશ ડેર જેવા મોટા નેતાએ ચૂંટણી પહેલા જ ચાલતી પકડી છે. ત્યારે શું રોહન ગુપ્તા પણ કેસરિયા કરશે કે તેવી ચર્ચા થઈ રહી છે. જોકે, આગળ શું થશે તે તો સમય આવ્યે જ ખબર પડશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application