Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કુપોષણને નાથવામાં મહત્વનું યોગદાન આપતી પૂર્ણા યોજના કિશોરીઓની તંદુરસ્તી માટે વરદાનરૂપ

  • September 20, 2023 

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં પોષણ અંગે વધુને વધુ જન જાગૃતિ કેળવાય તે આશયથી સપ્ટેમ્બર માસની "પોષણમાહ"ના રૂપમાં ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યની સગર્ભા માતાઓ અને કિશોરીઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. રાજ્ય સરકારે કુપોષણમુક્ત ગુજરાતની નેમ સાથે આંગણવાડીના બાળકો, સગર્ભા-ધાત્રી માતાઓ અને કિશોરીઓને પોષણક્ષમ પૂરક આહાર પૂરો પાડવા માટે ગુજરાત રાજ્ય મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સહયોગથી ટેક હોમ રાશન યોજના અમલી બનાવી છે. આ યોજનામાં બાલશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાશક્તિના નામથી પૂરક પોષક આહાર તૈયાર કરવામાં આવે છે, જેમાં ઘઉં, બેસન, સોયાબીન લોટ, ખાંડ, તેલ, મકાઈ, ચોખા અને વધારાના પોષકતત્વોનો સમાવેશ થાય છે.



આ પેકેટ્સમાંથી શીરો, સુખડી, રાબ, લાડુ જેવી ૩૦ પ્રકારની પોષક વાનગીઓ બનાવી શકાય છે. રાજ્ય સરકાર દ્વારા ‘સુપોષણયુક્ત ગુજરાત’નો સંકલ્પ સિદ્ધ કરવા માટે આઇસીડીએસ (સંકલિત બાળ વિકાસ યોજના) હેઠળ કાર્યરત ‘પૂર્ણાશક્તિ યોજના’ અંતર્ગત કિશોરીઓને ફૂડ પેકેટની સહાય આપવામાં આવે છે. સુરત જિલ્લાના માંડવી તાલુકા મથકે રહેતા નેહાબેનને પૂરક પોષણયુક્ત આહાર મળી રહ્યો છે. માંડવી ગામના દેશેરા પીપળી ફળિયામાં રહેતા ૧૬ વર્ષીય નેહાબેન રાજુભાઇ ગામીત ધો.૧૨ પછી આઇટીઆઇમાં અભ્યાસ કરે છે. તેઓ જણાવે છે કે, મારા પરિવારની સામાન્ય આર્થિક સ્થિતિના કારણે મારા માટે બજારમાં મળતો મોંઘો પોષકઆહાર કે સામગ્રી ખરીદવા શક્ય નથી.



એવા સમયે આ વિસ્તારની આંગણવાડી તરફથી સરકારની પૂર્ણાશક્તિ યોજનાની માહિતી મળતા નામ નોંધાવ્યું હતું, અને નિયત સમયમાં જ તેનો લાભ પણ મળતો થયો છે. યોજના અંતર્ગત મળતા પૌષ્ટિક લોટની ગુણવત્તા પણ ઉત્તમ કક્ષાની હોય છે, જેના થકી અમે ઘરે શીરો, ઉપમા શાક વગેરે વાનગીઓ બનાવીએ છીએ. આ વાનગીઓમાંથી આયર્ન અને પ્રોટીન મળે છે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. તેમણે વધુંમાં જણાવ્યું કે, માંડવી આંગણવાડીના કાર્યકર બહેનો દ્વારા દર મંગળવારે અમને પૂર્ણા શક્તિ આહારમાંથી બનતી વાનગીઓ શીખવવામાં આવે છે, ઉપરાંત આંગણવાડીમાં નિબંધ લેખન, વકતૃત્વ, વાંચન સ્પર્ધા યોજવામાં આવે છે.



સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બહેનોને સેનેટરી પેડસનું વિતરણ કરી તેના ઉપયોગથી થતા લાભો વિશે સમજાવવામાં આવે છે. નેહાબેન કહે છે કે, સરકારની અન્ય યોજનામાં મારા પરિવારે ઈ-શ્રમ કાર્ડ તથા આયુષ્યમાન કાર્ડ પણ કઢાવ્યા છે. મારા પરિવારજનોમાં કોઈ ગંભીર બીમારીમાં સપડાય અને હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવશે તો આયુષ્યમાન કાર્ડ સંકટ સમયની સાંકળ બનશે. રાજ્ય સરકારે મહિલાલક્ષી અનેકવિધ યોજનાઓ શરૂ કરી છે, જે મારા જેવી અનેક દીકરીઓને સહાયરૂપ બની છે. સરકાર દ્વારા પૂર્ણા યોજનામાં મળતા આહાર બદલ હું રાજ્ય સરકારનો હૃદયપૂર્વક અભાર માનું છું એવું તેમણે ઉમેર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News