Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા : “ઉજવણી...ઉજ્જવળ ભવિષ્યની”થીમ આધારિત રાજ્યનો ૨૦મો શાળા પ્રવેશોત્સવ યોજાશે

  • June 07, 2023 

માહિતી વિભાગ દ્વારા નર્મદા, સમગ્ર રાજ્યના શિક્ષણમાં ગુણાત્મક સુધારો લાવી શકાય, પાયાનું શિક્ષણ મજબુત કરવાના હેતુસર શિક્ષિત ભાવિ પેઢિનું નિર્માણ કરી શકાય તેવા શુભ આશય સાથે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩થી શરૂ કરેલા કન્યા કેળવણી મહોત્સવ યજ્ઞને આ વર્ષે ૨૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેને અનુલક્ષીને આ વર્ષે “ઉજવણી...ઉજ્જવળ ભવિષ્યની” થીમ સાથે આંગણવાડી, બાલવાટિકા અને પ્રાથમિક શાળામાં ધોરણ-૧ માં શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ની ઉજવણી થવાની છે.




નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ની ઉજવણી માટે બનાવેલી શાળા પ્રવેશોત્સવ પ્રવેશોત્સવ અમલીકરણ સમિતિના સભ્યોની જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવને લઈને કરવામાં આવેલી તૈયારીઓ અને આયોજનની જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સમીક્ષા કરી જિલ્લાની શાળાઓમાં શિક્ષણ ક્ષેત્રે થયેલી વિશેષ કામગીરીની શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવો દ્વારા યોગ્ય નિરિક્ષણ થાય તે સુનિશ્ચિત કરવા સાથે શાળા પ્રવેશોત્સવ ખરા અર્થમાં પ્રવેશોત્સવ એક જ્ઞાનયજ્ઞ બની રહે તે જોવા તમામ અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી.




કેટલાંક રચનાત્મક સૂચનો સાથે ખૂટતી કડીઓને જોડવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથોસાથ આ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાએ પણ શાળા પ્રવોશોત્સવ સમયે અંતરિયાળ વિસ્તારના ગામોને પ્રાધાન્ય આપી યોગ્ય કામગીરી કરવામાં આવે અને આ કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ બચાવવાના સંદેશા સાથે બાળકોને ભવિષ્યમાં તેમના ખોરાક અને ન્યૂટ્રિશિયનમાં કામ આવી શકે તેવા સરગવાના છોડનું શાળા કેમ્પસમાં વૃક્ષારોપણ થાય તે માટે વન વિભાગ સાથે જરૂરી સંકલન કરવા સૂચન કર્યું હતું. ખાસ કરીને સરગવાના છોડ વધુ ઉલપલ્ધ થાય તે જોવા પણ તેઓશ્રીએ ખાસ અનુરોધ કર્યો હતો.




જ્યારે આ વર્ષે બોર્ડર વિલેજને કાર્યક્રમમાં પ્રાધાન્ય આપવાની રાજ્યકક્ષાએથી મળેલી માર્ગદર્શિકા મુજબ નર્મદા જિલ્લામાં પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હોવાની જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી હતી. નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ની ઉજવણી માટે કુલ ૬૪ રૂટ નક્કીકરવામાં આવ્યા છે. જેમાં રાજ્યના સચિવ કક્ષાના સનદી અધિકારીઓ, મંત્રીઓ, જિલ્લાના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, પદાધિકારીશ્રીઓ એક દિવસમાં ત્રણ શાળાના કાર્યક્રમમાં હાજરી આપશે. જિલ્લાની કુલ ૫૭૬ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાશે.




ત્રણ દિવસના આકાર્યક્રમ દરમિયાન જિલ્લામાં આંગણવાડીમાં ૩૮૮૩ બાળકો અને બાલવાટિકામાં ૭૨૦૯ તેમજ ધોરણ-૧માં ૩૮૯ ભૂલકાઓને મહાનુભાવોના હસ્તે પ્રવેશ આપવામાં આવશે. સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં આગામી તારીખ ૧૨થી ૧૪મી જૂન-૨૦૨૩ દરમિયાન યોજાનારા શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ને અનુલક્ષીને ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અને રાજ્યના શિક્ષણમંત્રીક ડો.કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાની બ્રિફિંગ મીટિંગ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News