દેશમાં ત્રીજા મૂન મિશન ચંદ્રયાન-3નાં પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ચંદ્રયાન-3 આજરોજ શ્રીહરિકોટા સ્થિત કેન્દ્રથી લોન્ચ કરવામાં આવશે. આ મૂન મિશન વર્ષ-2019ના ચંદ્રયાન 2નું ફોલો-અપ મિશન છે. દેશનાં આ ત્રીજા મૂન મિશનમાં વૈજ્ઞાનિકોએ ચંદ્રની સપાટી પર લેન્ડરનું 'સોફ્ટ લેન્ડિંગ' કરવાનું લક્ષ્ય રાખ્યું છે. 'ચંદ્રયાન-2' મિશન દરમિયાન અંતિમ ક્ષણોમાં લેન્ડર 'વિક્રમ' પાથના વિચલનને કારણે 'સોફ્ટ લેન્ડિંગ' કરી શક્યું ન હતું. જો દક્ષિણ ધ્રૂવ પર ચંદ્રયાન-3 સફળતા પૂર્વક લેન્ડ કરશે તો ભારત આ સિદ્ધી મેળવનાર વિશ્વનો પ્રથમ દેશ બની જશે. ચંદ્રયાન-3 આજે બપોરે 2.35 કલાકે લોન્ચ થવાનું છે.
ઈસરોના વડા એસ.સોમનાથે જણાવ્યું કે, લોન્ચ થયા બાદ ચંદ્રયાન-3 પૃથ્વીની ભ્રમણકક્ષામાં જશે અને પછી ધીમે ધીમે ચંદ્ર તરફ આગળ વધશે. અમે આશા રાખીએ છીએ કે બધું સારું થઈ જશે અને તારીખ 23 ઓગસ્ટે અથવા તેના પછી કોઈપણ દિવસે ઉતરશે. ચંદ્રયાન-3નું ચંદ્ર પર ઉતરાણ 23-24 ઓગસ્ટનાં રોજ રાખવામાં આવ્યું છે, પરંતુ ત્યાં સૂર્યોદયની સ્થિતિને જોતા તેમાં ફેરફાર થઈ શકે છે. જો સૂર્યોદયમાં વિલંબ થાય છે, તો ISRO ઉતરાણનો સમય વધારી શકે છે અને સપ્ટેમ્બરમાં કરી શકે છે. ચંદ્રયાન-2ની જેમ ચંદ્રયાન-3માં પણ લેન્ડર અને રોવર મોકલવામાં આવશે.
પરંતુ તેમાં ઓર્બિટર નહીં હોય. કારણ કે, અગાઉનાં ચંદ્ર મિશનનું ઓર્બિટર હજુ પણ અવકાશમાં કામ કરી રહ્યું છે. ISROનો મહત્વકાંક્ષી ચંદ્રયાન પ્રોજેક્ટ આજે LVM3M4 રોકેટ સાથે અવકાશમાં જશે. આ રોકેટને પહેલા GSLVMK3 કહેવામાં આવતું હતું. અવકાશ વિજ્ઞાનીઓ ભારે સાધનો વહન કરવાની ક્ષમતાને કારણે તેને 'ફેટ બોય' પણ કહે છે. ઓગસ્ટનાં અંતમાં 'ચંદ્રયાન-3'નું 'સોફ્ટ લેન્ડિંગ' કરવાની યોજના બનાવાઈ છે. જો આ મિશન સફળ થશે તો ભારત અમેરિકા, ચીન અને ભૂતપૂર્વ સોવિયત સંઘ જેવા દેશોની ક્લબમાં સામેલ થઈ જશે જેમણે આવી સિદ્ધિ હાંસલ કરી છે. ISROએ ગતરોજ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'LVM3M4-ચંદ્રયાન-3 મિશન: આવતીકાલે 14.35 કલાકે એટલે કે 2:35 PM પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500