સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજમાં કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વગર લોકોના ઘર તોડવાની બાબત ધ્યાનમાં લીધી છે. કોર્ટે સુનાવણી દરમિયાન ઉત્તરપ્રદેશ સરકારની જોરદાર ટીકા કરી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, આ પ્રકારની કાર્યવાહી ચોંકાવનારી છે અને ખૂબ જ ખોટું ઉદાહરણ રજૂ કરે છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ અભય ઓકા અને એન કોટિશ્વર સિંહની ખંડપીઠે ઘરોને તોડવાને અત્યાચારી પગલું ગણાવ્યું છે. આ સાથે જ કોર્ટે એ પણ જણાવ્યું છે કે, સરકારને લોકોનાં મકાન ફરીથી બનાવીને આપવા પડશે. સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ આ કાર્યવાહી ચોંકાવનારી છે અને ખોટો સંદેશ રજૂ કરે છે.
કોર્ટે સરકારને જણાવ્યું હતું કે, તમે ઘરોને તોડીને આવી કાર્યવાહી કેમ કરી રહ્યાં છો? અમે જાણીએ છીએ કે આ પ્રકારની ટેકનિકલ તર્કોનો કેવી રીતે સામનો કરવાનો છે. અંતે કલમ ૨૧ અને આશ્રયના અધિકારી જેવી કોઇ વસ્તુ હોય છે. સુપ્રીમ કોર્ટમાં ઝુલ્ફિકાર હૈદર, પ્રોફેસર અલી અહેમદ, બે વિધવાઓ અને એક અન્ય વ્યકિતની અરજી પર સુનાવણી ચાલી રહી હતી. જેમણે સરકાર પર ગેરકાયદે ઘરોને તોડી પાડવાનો આરોપ મૂક્યો છે. બીજી તરફ સરકારે જણાવ્યું છે કે, આ જમીન ગેંગસ્ટર-નેતા અતીક અહેમદની હતી. જે ૨૦૨૩માં પોલીસ અથડામણમાં મૃત્યુ પામ્યો હતો. આ અગાઉ અલ્લાહબાદ હાઇકોર્ટે તેમની અરજીને ફગાવી દીધી હતી.
ત્યારબાદ તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજકર્તાઓએ જણાવ્યું હતું કે તેમને માર્ચ ૨૦૨૧માં શનિવાર રાતે નોટિસ આપવામાં આવી હતી અને રવિવારે તેમના ઘર તોડી પાડવામાં આવ્યા હતાં. અરજકર્તાઓએ એ પણ જણાવ્યું હતું કે, રાજ્યએ પોતાની ભૂલ સ્વીકારવી જોઇએ. સરકાર તરફથી હાજર થયેલા એટર્ની જનરલ આર વેંકટરમણીએ જણાવ્યું હતું કે લોકોને નોટિસનો જવાબ આપવા માટે યોગ્ય સમય આપવામાં આવ્યો હતો. જોકે જસ્ટિસ ઓકા આ અંગે અસહમત હતાં. ન્યાયમૂર્તિ ઓકાએ જણાવ્યું હતું કે નોટીસ આવી રીતે કેમ ચોંટાડવામાં આવી? કૂરિયરથી કેમ મોકલવામાં ન આવી? કોઇ પણ આવી રીતે નોટિસ આપશે અને તોડફોડ કરશે. આ એક ખરાબ ઉદાહરણ છે. એટર્ની જનરલે આ કેસને હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે આ માંગ ફગાવી દીધી હતી. કોર્ટે જણાવ્યું હતું કે તોડી નાખવામાં આવેલા મકાનો ફરીથી બનાવી દેવા પડશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500