વલસાડનાં કપરાડા ગામનાં મુખ્ય રસ્તા પરથી પસાર થઇ રહેલા ટ્રક ચાલકે આસલોણા ગામના રહીશની બાઈકને ટક્કર મારીને અકસ્માત સજર્યો હતો. જે અકસ્માતમાં બાઈક ચાલક ટ્રકના ટાયર નીચે ચગદાઈ જતાં બાઈક ચાલકને ગંભીર ઈજા થઈ હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માતના બીજા બનાવમાં સરોધી હાઇવે પરથી પસાર થઈ રહેલા સુરતનાં કાર ચાલકે વલસાડના ફણસવાડા ગામના બાઈક ચાલકને બાઈકને અડફેટે લઈ અકસ્માત સજર્યો હતો. જે અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, કપરાડાના આસલોણા ગામના મૂળગામ ફળિયામાં રહેતા વિષ્ણુભાઈ રાજુભાઈ ભાંવર બાઈક લઈને કપરાડા ગામની નિવાસી શાળા સામેના રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન આ રસ્તા ઉપરથી પસાર થઈ રહેલી ટ્રકના ચાલકે ટ્રકની આગળ ચાલી રહેલા વિષ્ણુભાઈની બાઈકના પાછળથી ટક્કર મારી અકસ્માત સજર્યો હતો. જે અકસ્માતમાં રોડ ઉપર પટકાયેલા વિષ્ણુભાઈ એ જ ટ્રકના કક્લીનર સાઈડના ટાયર નીચે આવી જતા તેમને ગંભીર ઈજા થઈ હતી.
ઈજાગ્રસ્તને પ્રથમ સારવાર માટે કપરાડા સી.એચ.સી.માં લઇ જવાયા બાદ વધુ સારવાર માટે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં પહોંચેલા વિષ્ણુભાઈને સારવાર મળે તે પહેલાં જ ફરજ પરના તબીબે વિષ્ણુભાઈને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સ્થળ ઉપરથી ફરાર થઇ ગયો હતો. જે બાબતે મૃતકના પિતરાઈ ભાઈ ઈશ્વરભાઈ ભાંવરે અકસ્માત સર્જી ફરાર થઈ જનાર ટ્રક ચાલક સામે કપરાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500