Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભુજ તાલુકાના માનકુવા પોલીસ સ્ટેશનની અંદર જ આપઘાતનો બનાવ બનતા ચકચાર મચી

  • August 18, 2024 

ભુજ તાલુકાના માનકુવા પોલીસ સ્ટેશનની અંદર જ આપઘાતનો બનાવ બનતા ચકચાર મચી છે. મુળ મુન્દ્રાના ટપ્પર ગામના ૩૫ વર્ષીય યુવાનને કોલી સમાજના બે લોકો ઘરમાં ઘુસી જવાની ફરિયાદ સાથે પોલીસ મથકે લાવ્યા હતા. પોલીસ સ્ટેશને રજૂઆત અને તપાસની કાર્યવાહી આક્ષેપિત યુવક બાંકડા ઉપર બેઠો હતો. દરમ્યાન યુવકે પોલીસ મથકના બાથરૂમમાં જઈ પોતાના ટીશર્ટથી ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાના પગલે બન્ને પક્ષના ટોળાં એકત્ર થયાં હતાં. સમાજ-પરિવારના લોકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયુ હતુ. તંગદિલીની સ્થિતિ સામાન્ય બનાવવા પોલીસે સંઘર્ષ કરવો પડયો હતો. માનકુવા પોલીસ મથકના બાથરૂમમા એક યુવાનના આપઘાતની ઘટનાએ કચ્છ પોલીસ બેડામાં ચકચાર સર્જી છે.


વેલાજી કાસમ કોલી નામના યુવકને શનિવારે સવારે માનકુવાના અશોક કોલી, હરજી કોલી પોલીસ મથકે લાવ્યા હતા. જોકે પોલીસ કોઇ કાર્યવાહી કે તપાસ કરે તે પહેલા જ સવારે ૯ વાગ્યાના અરસામાં યુવક બાથરૂમ જવાનું કહી ફૂવારામાં પોતાના ટીશર્ટ વડે લટકી ગયો હતો. કંઇક અજૂગતુ થયું હોવાનું પામી જતા પોલીસે સમાજના લોકોને બોલાવી તપાસ કરતા યુવકે ગળા ફાંસો ખાઇ આપધાત કર્યો હોવાનુ બહાર આવ્યુ હતુ. મૃતકના પરિવારે આક્રંદ સાથે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા એક સમયે મામલો ગરમ બનતા પોલીસને બળ પ્રયોગ કરવો પડયો હતો.


જોકે પરિવારે લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. પોલીસ મથકની અંદર જ યુવકના આપઘાતને પગલે પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે માનકુવા પોલીસનો સ્ટાફ કાયદો વ્યવસ્થા જાળવવા સાથે તપાસમાં જોડાયુ હતુ. પરિવાર લાશ ન સ્વિકારવાની ચિમકી સાથે વિરોધ કરતા એક સમયે ઘર્ષણ સર્જાયુ હતુ અને પોલીસે કેટલાકની અટકાયત પણ કરી હતી અને મૃતદેહને પી.એમ માટે ખસેડયો હતો. હોસ્પિટલમાં પણ પરિવારે લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો જોકે પોલીસે આ સમગ્ર મામલે યુવક કસ્ટડીમા ન હોવાનુ કહી સમાજના આગેવાનો લાવ્યાં હોવાનુ કહી સમગ્ર બનાવ અંગે માહિતી આપી હતી અને અકસ્માત મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


આત્મહત્યાના બનાવને લઇ સમાજ-પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે. ચોક્કસ યુવક પોલીસ કસ્ટડીમાં ન હતો પરંતુ પોલીસ સ્ટેશનની અંદર જ આપઘાતના બનાવે ભારે ચકચાર સાથે પોલીસની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે. યુવકે કયા કારણોસર આપઘાત કર્યો? પોલીસ તપાસમાં શુ ખુલે છે? અને પોલીસ કાર્યવાહી વચ્ચે પરિવાર મૃતદેહ સ્વીકારે છે કે નહીં તેના પર સૌની મીટ મંડાયેલી છે. એવી પણ ચર્ચા છે કે, યુવકની આત્મહત્યા કરવા પાછળનું શું કારણ છે,  તેને કોઈએ ધમકી આપી હતી કે કેમ તે તપાસનો વિષય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application