Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચકલીઓનાં કલબલાટને ફરી જીવંત કરવાનો પ્રયાસ કરતા સુરત જિલ્લાનાં ચકલીપ્રેમી યુવક

  • March 21, 2025 

‘સ્પેરોવિલા’ના માધ્યમથી ચકલીઓના ‘ચીં…ચીં..’ને ફરી ગુંજતું કરવાની સરાહનીય પહેલ ‘તારો વૈભવ રંગમહેલ, નોકર-ચાકરનું ધાડું, મારે ફળિયે ચકલી બેસે એ જ મારૂ રજવાડું.’-સ્વ.રમેશ પારેખ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કવિ સ્વ.રમેશ પારેખની આ રચના વિના અધૂરી છે. વિશ્વમાં ચકલીની વસ્તીમાં સતત થતાં ઘટાડાને નિયંત્રિત કરવા અને લોકોને જાગૃત કરવા દર વર્ષે તારીખ ૨૦મી માર્ચને ‘વિશ્વ ચકલી દિવસ’ રૂપે ઉજવવામાં આવે છે. નેચર ફોરએવર સોસાયટી (ઇન્ડિયા) અને ઇકો-સીસ એક્શન ફાઉન્ડેશન (ફ્રાન્સ)ના સહયોગથી વર્ષ ૨૦૧૦ થી વિશ્વમાં દર વર્ષે ‘વર્લ્ડ સ્પેરો ડે’ ઉજવવામાં આવે છે. ચકલી એટલે નાના બાળકોનું મનગમતું પક્ષી. ચકલી એટલે બાળપણની યાદો તાજી કરતું પક્ષી. બાળકો જિંદગીમાં ‘ચકી લાવી ચોખાનો દાણો..’એ વાર્તાપંક્તિઓ બોલવાની શીખવાની શરૂઆત કરે છે.


એક સમયે ઘર આંગણે કલરવ કરતી ચકલીનો આજે ‘ચીં…ચીં..’ અવાજ હવે સંભાળવા મળે છે ખરો? કદાચ આપણો જવાબ ના હશે. હજુ બરાબર બોલતા ન શીખેલા નાનકડા બાળકને પૂછીએ કે ‘ચકી બોલે?’ તો તરત કહેશે- ‘ચીં…ચીં..’ચકલીઓના કલબલાટને ફરી જીવંત કરવાના પ્રશંસનીય પ્રયાસો સુરતના ચકલીપ્રેમી પરેશભાઈ પટેલે કરી રહ્યા છે. સુરતના મોટા વરાછામાં રહેતા ૩૭ વર્ષીય પરેશભાઈ ગોરધનભાઈ પટેલ છેલ્લા દસ વર્ષથી ચકલીઓને બચાવવા માટે પક્ષીઘરો બનાવી વિનામૂલ્યે વિતરણ કરે છે. ૧૦ વર્ષ પહેલા શરૂ કરેલા ચકલીઓ તેમજ પક્ષીઓને બચાવવાના અભિયાન હેઠળ આજ સુધી તેમણે બે લાખ ચકલીઘરોનું વિનામૂલ્યે વિતરણ કર્યું છે. પરેશભાઈ સુરતના મોટા વરાછા, મહાદેવ ચોક પાસે આવેલા મિડલ પોઈન્ટ બિલ્ડીંગમાં હંસ આર્ટ ગ્રુપ નામથી સંસ્થા ચલાવે છે. આર્ટવર્ક, ગિફ્ટ આર્ટિકલ્સ, સુશોભનની ચીજવસ્તુઓ બનાવે છે.


આ વ્યવસાયની સાથોસાથ ચકલીઓના માળા, પક્ષીઘર બનાવી વિનામૂલ્યે વિતરણ કરે છે. ૧૦ કર્મચારીઓ સાથે તેઓ હાલ દરરોજ ૫૦૦ પક્ષીઘર બનાવી રહ્યા છે, જેને તેમણે ‘સ્પેરોવિલા’ એવું સુંદર નામ આપ્યું છે. સ્પેરોવિલા ડિઝાઈન અને પાર્ટ્સ કટિંગ માટે બે CNC લેસર મશીનનો ઉપયોગ કરે છે. પરેશભાઈ તેમની સેવાની સફર વર્ણવતા કહે છે કે, ઉત્તરાયણમાં પક્ષીઓ ઘાતક દોરાથી મૃત્યુ પામે છે, ત્યારે ૧૦ વર્ષ પહેલા ઘાયલ પક્ષીઓની સારવારના સેવાકાર્યમાં જોડાયો હતો. એ સમયે મેં વિચાર્યું કે ઘાયલ પક્ષીઓને સારવાર આપી બચાવી શકાય છે એ જ રીતે ચકલીઓની સંખ્યા સતત ઘટી રહી છે, તો ચકલીઓની સંખ્યા કેમ વધારી ન શકાય? એ ભાવના સાથે મેં વ્યવસાયની સાથે નવી પ્લાયવુડમાંથી પક્ષીઓના માળા- પક્ષીઘર બનાવવા અને નિ:શુલ્ક વિતરણ કરવાનું શરૂ કર્યું છે. રવિવારે ફાઝલ સમયનો સદુપયોગ પક્ષીઘર બનાવવામાં કરવાનો સંકલ્પ કર્યો અને આ કાર્ય આજ દિન સુધી જારી રાખ્યું છે.


ઘર પરિવારના ગુજરાન બાદ મારી આવકનો મહત્તમ હિસ્સો પક્ષીઘર બનાવવાના કાર્યમાં ઉપયોગ કરૂ છું. પરેશભાઈ પટેલ જણાવે છે કે, ચકલીઓ ઝાડ પર માળો બાંધતી નથી, પરંતુ માનવવસ્તી સાથે રહેવા ટેવાયેલી છે. તે માણસો વચ્ચે રહીને પોતાને સુરક્ષિત મહેસૂસ કરે છે અને વરસાદ, તડકો ન લાગે એવી જગ્યાએ માળો બાંધે છે. પરંતુ શહેરીકરણ અને પ્રદૂષણની સાથોસાથ શહેરોમાં ચકલીઓ ઘટવાનું કારણ માળો બાંધવાની જગ્યાનો અભાવ તેમજ ઘરોનું આધુનિક શૈલીનું બાંધકામ પણ જવાબદાર છે. શહેરી વિસ્તારનો ઝડપથી વ્યાપ વધવાને કારણે ફ્રેન્ડલી નેબરહૂડ કહી શકાય તેવી ચકલીઓના અસ્તિત્વ સામે ખતરો તોળાઈ રહ્યો છે. હવે ચકલીઓના પ્રમાણમાં ૮૦ ટકાનો ઘટાડો થયો છે, એટલે કે માત્ર ૨૦ ટકા જ ચકલીઓ બચી છે, જે ચિંતાજનક છે. વિશ્વભરમાં અને ખાસ કરીને ભારતમાં પણ ચકલીઓની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી રહી છે.


જો તેમને બચાવવા માટે માનવજાત પ્રતિબદ્ધ નહીં બને તો ચકલીઓ ખૂબ ઝડપથી નામશેષ થઈ જશે એમ તેઓ ઉમેરે છે. પરેશભાઈ ચકલીઓ મૃત:પ્રાય બનવાના અન્ય કારણો જણાવતા કહે છે કે, વૃક્ષો-જંગલોનું આડેધડ છેદન, જંતુનાશક દવાઓનો વધતો ઉપયોગ, ગામડામાં આધુનિકતાનો પ્રવેશ, ખોરાકની ઉપલબ્ધતામાં ઘટાડો અને સતત વધી રહેલા હવા-અવાજના પ્રદૂષણને કારણે ચકલીઓ લુપ્ત થવાના આરે પહોંચી ગઈ છે. ઉપરાંત ઈન્ટરનેટ, મોબાઇલ અને ટી.વી ટાવરના ઓડિયો-વિડીયો તરંગો (Waves)ના ઈલેક્ટ્રોમેગ્નેટીક રેડિએશન પણ ચકલીઓના મોતનું કારણ છે, ત્યારે વિશ્વ ચકલી દિવસ" નિમિત્તે આપણે સૌ ચકલીની લુપ્ત થઈ રહેલી ચકલીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવાનો સંકલ્પ અને ચકલીઓ માટે અનુકૂળ વાતાવરણનું નિર્માણ કરીએ તે ખૂબ જરૂરી છે.


તેઓ ચકલીઓ માટે અનુકૂળ વાતાવરણનું નિર્માણ કરવા પર ભાર મૂકતા કહે છે કે, ઘરની આસપાસ ચકલી દેખાય તો સમજવું કે તમારા ઘરની આસપાસનું વાતાવરણ શુદ્ધ છે. ઘરની આસપાસ ચકલી દેખાય તો સમજવું કે તમારા ઘરની આસપાસ નું વાતાવરણ શુદ્ધ છે. આ ટચૂકડી ચકલીઓ આપણા પર્યાવરણ અને ‘ઈકોસિસ્ટમ’નો ખૂબ અગત્યનો ભાગ છે. આપણા સૌનું બાળપણ ભાવનાત્મક રીતે ચકલી સાથે જોડાયેલું છે. તેમને લુપ્ત થવા દેવી એ આપણા પર્યાવરણને પોષાય તેમ નથી. તેઓ જણાવે છે કે, ૪૦૧, હંસ આર્ટ, ગ્રુપ, મિડલ પોઈન્ટ, મહાદેવ ચોક, મોટા વરાછા, સુરત (મો.9909090886) ખાતેથી વિનામૂલ્યે પક્ષીઘર મળી શકશે.


શહેરીજનો પોતાની બાલ્કની, સોલાર પ્લાન્ટ નીચે પક્ષીઘર મૂકીને ચકલીઓને બચાવવાની ઝુંબેશમાં સહભાગી બનશે તો અમને ખૂબ ગમશે. સાચે જ, ચકલાં, ચકલી, ચકીબેન કે ‘હાઉસ સ્પેરો’ એ ફક્ત આપણાં દેશનું જ નહીં, પણ વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું અને માનવ વસ્તી સાથે હળી-ભળી ગયેલું સૌથી સામાન્ય પક્ષી છે. એક સમયે વિશ્વનું સૌથી સામાન્ય અને ટોળાબંધ જોવા મળતું આ નાનકડું પંખી આજે જીવનસંઘર્ષ માટે ઝઝૂમી રહ્યું છે. ઝીણાં અવાજે ચીં….ચીં… કરી પોતાને બચાવી લેવાની અપીલ કરતી ચકલીઓનાં અસ્તિત્વ માટે માનવજાત જ કારણભૂત છે એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી.


ચકલીઓને બચાવવા આટલું કરીએ :

‘નેસ્ટ હાઉસ’ બનાવી ઘરે લગાવીએ અને ચકલાંને ફરીથી ઘર નજીક વસાવીએ,

ચકલીઓ માટે ઘરની અગાસી, બાલ્કની કે ફળીયામાં પાણીનું કૂંડું અને થોડો ખોરાક જેમકે બાજરી, ચોખાની કણકી, રોટલીના ટૂકડા, ભાત વગેરે અચૂક મુકીએ,

દેશી અને ફળાઉ વૃક્ષો વાવીએ,

ખેતર-બગીચામાં કુદરતી વાડ કરીએ. દેખાવમાં સુંદર પરંતુ વાસ્તવમાં બિનઉપયોગી છોડની બદલે પક્ષીઓને ઉપયોગી હોય તેવા ફૂલ-છોડ રોપીએ અને

બાળકોમાં નાનપણથી કુદરત પ્રત્યે લગાવ રોપીએ. ચકલીઓ જેવા પક્ષીઓ પ્રત્યે જાગૃત્ત કરવાના પાઠ ભણાવીએ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application