Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા જિલ્લાની ભૂમિ અદભૂત અને અલૌકિક : “દેવમોગરા” ખાતે થાય છે આદિવાસી સંસ્કૃતિના અદભૂત ધર્મદર્શન

  • February 22, 2023 

ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે, જ્યાં જુદા-જુદા ધર્મો, બોલી-ભાષા, પોશાક, ખોરાક, રિવાજો સહિત તહેવારોમાં પણ ભિન્નતા જોવા મળે છે. ભિન્નતાઓ હોવા છતા લોકોમાં પ્રેમ, સન્માન, ત્યાગ અને બલિદાનની ભાવના અને ભાવાત્મક એકતા જોવા મળે છે. આ જ એકતા આપણી સંસ્કૃતિની ઓળખ છે. ભારતે વસુધૈવ કુટુંબકમ (સમગ્ર વિશ્વ એક કુટુંબ છે) ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. લોકોમાં સાંસ્કૃતિક એકતા પણ જોવા મળે છે, આ એકતાના મૂળ લોકઉત્સવો અને લોકમેળાઓમાં છે. ગુજરાતમાં પણ ઉત્સવો અને લોકમેળાઓની દબદબાભેર ઉજવણી થાય છે, આવા મેળાઓ અને ઉત્સવોમાં મનુષ્ય આનંદ વહેંચે છે.








લોકોના જીવનમાં આનંદ, ઉલ્લાસ અને ચેતનાના રંગછાંટણા નાખી લોકહૈયાને હિલોળે ચડાવનાર તમામ મેળાઓ સદાયે મોખરે રહ્યાં છે. અદભૂત પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતુ નર્મદા જિલ્લાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી, આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ વિશ્વફલક પર પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. પરંતુ નર્મદા જિલ્લાની આ ભૂમિ અદભૂત અને અલૌકિક પણ છે. આ ભૂમિ લોકોની આસ્થા સાથે જોડાયેલી છે. આદિવાસી સંસ્કૃતિ, કલા, રીતરિવાજો અને પરંપરાઓએ પોતાની આગવી ઓળખ બનાવી છે. ગુજરાતમાં કુલ ૧૫૨૧ મેળાઓ ભરાય છે, જેમાં કુલ ૨૮૦ આદિવાસી મેળાઓ ભરાય છે.








પરંતુ દેવમોગરા ખાતે યોજાતા પાંડોરી માતાનો મેળો વધુ વિશેષ અને લોકપ્રિય છે. સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતા, જેઓ યાહા મોગી તરીકે પણ ઓળખાય છે. તેમના સાનિધ્યમાં દર વર્ષે પાંચ દિવસ માટે આ મેળો મહાશિવરાત્રીના પાવન અવસરે ભરાય છે. મહાશિવરાત્રી એટલે શિવને ભજવાનો મહા અવસર. પરંતુ આ મેળામાં આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન થાય છે. સંપૂર્ણ ભારતવર્ષમાં માત્ર "દેવમોગરા" મેળામાં ભગવાન શિવની નહીં પરંતુ શક્તિની પુજા થાય છે. દેવમોગરાની પાવન ભૂમિ પર ચાલુ વર્ષે ૧૮ થી ૨૨ ફેબ્રુઆરી દરમિયાન આ મેળામાં ગુજરાતના વિવિધ શહેરો-ગામો સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી અંદાજિત ૧૫ લાખ કરતા વધુ ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ યાહા મોગી, મા પાંડોરીના દર્શનાર્થે આવી ધન્યતા અનુભવી છે.








અનોખા આદિવાસી, અનોખી માન્યતા દેવમોગરાનો મેળો એક પવિત્ર યાત્રા છે, પાંડોરી માતાનું મંદિર આદિવાસીઓમાં અનોખી આસ્થા ધરાવે છે. શ્રદ્ધાળુ ભક્તો પોતાના દુ:ખ, સમસ્યાઓ દુર કરવા શક્તિની આરાધના સમા પાંડોરી માતાની બાધા રાખે છે અને માતાજી તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે. શ્રદ્ધાળુઓ નૈવેદ્યમાં નવા વાંસમાંથી બનેલી ટોપલીમાં નવું ઉગેલું અનાજ સહીત માનેલ માન્યતા આધારિત ચીજ-વસ્તુઓ લાવી પરંપરાગત પૂજા-અર્ચના કરે છે. માતાજીના ચરણોમાંથી નૈવેદ્ય સ્વરૂપે ધન, ધાન્ય અર્પણ કરવામાં આવે છે. આદિવાસીઓની અનોખી માન્યતા પ્રમાણે યાહા મોગી માતાને ધાન્ય પ્રસાદરૂપે લઈ જઈ ખેતરમાં વાવી તથા અનાજના કોઠારમાં રાખે છે.







આમ, કરવાથી બારે માસ અનાજ ખુટતુ નથી એવી આદિવાસીઓની અનોખી માન્યતા છે. નર્મદા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબેના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ રેન્ક સહિત પોલીસ વિભાગ સાથે સંકળાયેલા નર્મદા પોલીસના અંદાજે ૬૫૦ જેટલા જવાનો અને ૪૦૦ સ્વયંસેવકોએ ખડેપગે ફરજ અદા કરી હતી. શ્રદ્ધાળુઓના આગમન સાથે મનોરંજન અને દુકાનોની હારમાળાઓથી મેળા઼માં રંગત જામી છે. ગુજરાત સહિત મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમ, પોલીસ તંત્ર, આરોગ્ય તંત્ર, ફાયર બ્રિગેડ સહિત સ્વયંસેવકો શ્રદ્ધાળુઓ માટે કાર્યરત રહ્યા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News