નર્મદા જિલ્લાનાં ડેડિયાપાડા તાલુકાનાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગારદા તથા મોટા જાંબુડા નજીકથી પસાર થતી મોહન નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેને કારણે 10 જેટલાં ગામો સંપર્ક વિહોણાં બન્યાં છે. આ ઉપરાંત પૂરનાં પાણીમાં ચેકડેમ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ડેડિયાપાડાનાં ગ્રામ્ય વિસ્તારો, જેવા કે ગારદા, ખામ, ભૂતબેડા, મોટા જાંબુડા, મંડાળા સહિત અનેક ગામડાંમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.
જયારે ગારદા-મોટા જાંબુડા ગામ નજીકથી પસાર થતી મોહન નદીનાં જળસ્તરમાં વધારો થતાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ઉપરવાસમાં ખાબકેલા ભારે વરસાદથી મોહન નદીનો ચેકડેમ પણ છલકાયો છે તેમજ કોઝવે પર પણ પાણી ફરી વળ્યાં હતાં. કોઝવે પરથી પસાર થતાં વાહન વ્યવાર બંધ કરવાની ફરજ પડી છે. આ કોઝ-વે અંકલેશ્વર તથા સુરત જતા વાહન ચાલકો માટે આશીર્વાદરૂપ છે.
પરંતુ ચોમાસું આવતાં દર વર્ષે લોકોને હાલાકી ભોગવવી પડે છે. આ બ્રિજ સાથે ગારદા, મોટા જાંબુડા, ખામ, ભૂતબેડા, તાબદા, મંડાળા, ખાબજી જેવા અનેક ગામડાં જોડાયેલાં છે, જેથી શાળા-કોલેજ જવા માટે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ કોઝવેનો સહારો લેવો પડે છે.
નર્મદા જિલ્લાનાં અંતરિયાળ ગામડાંમાં હજી લોકો નદી કે ખાડીઓ પસાર કરવા માટે કોઝવેનો ઉપયોગ કરતા હોય છે. ચોમાસામાં કોઝવે પરથી વિપુલ માત્રામાં પાણી પસાર થતું હોય છે. ડુંગરો પરથી આવતું હોવાથી પાણીનો વેગ પણ વધારે હોવાથી લોકો એમાં જલદીથી ખેંચાઇ જતા હોય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500