Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સ્વાતંત્ર્ય પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે વલસાડના સ્વાતંત્ર્યસેનાનીના પત્નીએ આઝાદીની લડતનું આબેહૂબ ચિત્ર રજૂ કર્યુ

  • August 05, 2023 

ગાંધીજીના વિચારોથી પ્રેરાઈને ફાનસના અજવાળે બાળકોને ભણાવતા સાથે સ્વચ્છતાના પાઠ પણ શીખવાડતા હતા ‘‘મે આખા દેશમાં ફરીને જોયું છે કે, પૂર્વજોએ ઉત્તરમાંથી અહી આવી ગામ વસાવ્યા છે. તેઓ સાહસિક હતા, પણ આપણે તો કાયર થઈ ગયા છીએ. તેથી તો પાંચ હજાર માઈલથી આવેલા અંગ્રેજો અહીં આપણા પર રાજ કરે છે. આપણે રાજ ચલાવી શકે તેવી બહાદુર પ્રજા પેદા કરવી હોય તો, બાળકોને કેળવણી આપવી એ આપણું કામ છે. ગામડામાં ફરી ફરીને હું બરાબર સમજી ગયો છું કે, જે સરકાર જનતાની દરકાર નથી રાખતી તેને અરજ કરવાનો કંઈ જ અર્થ નથી. સરકાર (અંગ્રેજો) સામે ૩૫ કરોડને લડવાનું શું હોય? આંખ કાઢીએ તોયે એ લોકોને ચાલ્યા જવું પડે પણ તે ક્યારે? તાકાત હોય ત્યારે...’’


ઉપરોક્ત શબ્દો તા.૪ મે ૧૯૩૪ના રોજ આપણા દેશના લોખંડી પુરૂષ તરીકે જાણીતા અને અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે બોરસદના ગંભીરા ગામમાં રાત્રિ સભા દરમિયાન પ્રજાને સંબોધીને કહ્યા હતા. આ શબ્દોએ દેશમાં અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મેળવવા ઝઝુમી રહેલા નવલોહીયાઓમાં બળ પૂરવાનું કામ કર્યુ હતુ અને અનેક યુવાનો આઝાદીની ચળવળમાં જુસ્સાભેર જોડાયા અને અંગ્રજોનો જુલમ સહન કરી જેલવાસ ભોગવ્યો હતો. જે પૈકી એક વલસાડના અબ્રામાના ધારાનગરમાં રહેતા અને મૂળ બોરસદના ગંભીરા ગામના વતની સ્વ.શંકરભાઈ મણીશંકર પંડયા હતા. માત્ર ૨૦ વર્ષની વયે આઝાદીની લડતમાં ઝંપલાવનાર શંકરભાઈની દેશદાઝ માટેની લડતને યાદ કરી તેમની ૯૫ વર્ષીય ધર્મપત્ની ઈન્દીરાબેનની આંખો આજે પણ અશ્રુઓથી ભીંજાય જાય છે.


સ્વાતંત્ર્યસેનાની શંકરભાઈ પંડયા આજે હયાત નથી પણ તેમની દેશભક્તિ અને ત્યાગ-બલિદાનની ભાવના માટે તેમની પત્ની ઈન્દિરાબેનને દર મહિને રૂ.૭ હજારનું પેન્શન ચૂકવી ગુજરાત સરકાર આજીવન તેમનું ઋુણ અદા કરી રહી છે. અંગ્રેજોના અત્યાચાર અને ગુલામીમાંથી આપણને કેવી રીતે આઝાદી મળી, કેટલાય લોકોએ પોતાના પ્રાણની આહૂતિ આપી ત્યારે આપણને આ મહામૂલી આઝાદી મળી. ત્યારે આઝાદીની લડતમાં પોતાનું સર્વસ્વ સમર્પણ કરનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ પ્રત્યે આપણી લાગણી અને પ્રેમ વ્યકત કરવાનો આઝાદીનો પર્વ સ્વતાંત્ર્ય દિન આગામી તા.૧૫મી ઓગસ્ટના રોજ આવી રહ્યો છે ત્યારે આ વખતે રાજ્ય કક્ષાની ઉજવણી વલસાડના આંગણે થઈ રહી હોવાથી આ પર્વને ઉજવવા માટે જિલ્લાની પ્રજા આનંદ-ઉલ્લાસ સાથે થનગની ઉઠી છે.



આ રાષ્ટ્રીય પર્વના પ્રસંગે સ્વાતંત્ર્યસેનાની શંકરભાઈ પંડ્યાના ધર્મપત્નીએ દેશની આઝાદી માટેની લડતના સંસ્મરણો વાગોળતા જણાવ્યું કે, મારા લગ્ન ૧૨-૧૩ વર્ષની ઉંમરે શંકર પંડયા સાથે થયા હતા. ત્યારે તેમની વય ૨૫ વર્ષની હતી. ૧૯૩૪-૩૫ના સમયની વાત કરુ તો, તે સમયે દેશની આઝાદી માટે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ તેમજ અન્ય ક્રાંતિકારીઓ ગામે ગામ ફરી લોકજુવાળ પેદા કરતા હતા. મને બરાબર યાદ છે કે, ત્યારે તા.૪ મે ૧૯૩૪ના રોજ સરદાર વલ્લભભાઈની રાત્રિ સભા અમારા ગંભીરા ગામમાં ભરાઈ હતી અને મારા પતિ તેમાં ગયા હતા અને સરદારનું ભાષણ સાંભળી તેમને પણ આઝાદીની લડતમાં સામેલ થવાની પ્રેરણા મળી હતી. વર્ષ ૧૯૪૨માં અંગ્રેજો ભારત છોડો આંદોલન થયુ ત્યારે મારા પતિ પણ જુસ્સાભેર આંદોલનમાં જોડાયા હતા અને અંગ્રેજોની લાઠીનો માર ખાધો હતો ત્યાર બાદ તેમને વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદ કરાયા હતા.



૧ મહિના બાદ જેલમાંથી નીકળ્યા ત્યારે પણ દેશભક્તિની ભાવના રગેરગમાં હોવાથી ફરી આંદોલનમાં સક્રિયપણે જોડાતા અંગ્રેજોએ ફરી તેમની ધરપકડ કરી બોરસદ નજીક ભાદરણની જેલમાં મોકલી આપ્યા હતા, જ્યાં ૬ માસ સુધી કેદ રહ્યા હતા. કુલ ૭ માસના જેલવાસ દરમિયાન અંગ્રેજોએ માત્ર એક વાર મને મળવા દીધી અને તે સમયે અંગ્રેજો દ્વારા કડક ચેકિંગ કરાતુ હતું. સાથે કંઈ પણ લઈ જવાની મનાઈ હતી. હું ખાલી હાથે મળવા ગઈ હતી. અંગ્રજો દ્વારા જેલમાં જે પણ અત્યાર ગુજારવામાં આવતો તેનો હરફ સુધ્ધા શબ્દ પણ મને મારા પતિએ કહ્યો ન હતો. તેઓમાં ગજબની સહનશીલતા હતી. સરદાર વલ્લભભાઈ કહેતા કે, આઝાદીની લડતમાં સ્ત્રીઓને પણ ભાગીદાર બનાવો. સ્ત્રી-પુરૂષ વચ્ચેનો ભેદભાવ બરાબર નથી. તેમના આહવાનને પગલે આઝાદીની લડત માટે લોક જાગૃતિ ફેલાવવા ગામે ગામ નીકળતા સરઘસમાં હું પણ સામેલ થતી અને ત્યારે માત્ર મગફળી અને ગોળ ખાઈને દિવસ પસાર કર્યા હતા. આખરે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ દેશને આઝાદી મળ્યા બાદ પણ તેમની દેશ સેવા ચાલુ રહી હતી અને તા.૧૭ મે ૨૦૦૫ના રોજ વલસાડમાં દેહત્યાગ કર્યો હતો.



સ્વાતંત્ર્યસેનાની શંકરભાઈના દીકરા રમેશભાઈએ કહ્યું કે, મહાત્મા ગાંધીજીના વિચારોથી પ્રેરાઈને પિતાજી પછાત વિસ્તારમાં જઈ ગરીબોના બાળકોને નવડાવતા હતા અને સાથે ગામની સફાઈ કરી સ્વચ્છતાના પાઠ શીખવતા હતા. ગામની સ્કૂલમાં વર્ષ ૧૯૭૨ સુધી આચાર્ય તરીકે રહ્યા હોવાથી રાત્રિ દરમિયાન ફાનસ લઈને પણ અક્ષરજ્ઞાન આપતા હતા. ગરીબોના બાળકોને પહેરવા માટે વસ્ત્રો ન હોવાથી તેઓ આજીવન માત્ર ખાદીના વસ્ત્રો પહેરતા અને ફૂલ પેન્ટને બદલે ચડ્ડી પહેરતા હતા. તેમના સંતાનમાં અમે બે ભાઈ અને ૩ બહેનો મળી કુલ ૫ સંતાન છે. જેમાંથી મારા મોટાભાઈ પ્રફૂલભાઈ હયાત નથી. બોક્ષ મેટર... અને મારા પિતાજીએ મોદીજીને કહ્યું, છોકરાઓના દફતરનું વજન ઓછુ કરાવો વર્ષ ૨૦૦૫માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વલસાડની મુલાકાતે આવ્યા હતા.



ત્યારે સ્વાતંત્ર્ય સેનાની શંકરભાઈ પંડયા સાથે મુલાકાત કરી હતી. તે પળને યાદ કરતા તેમના પુત્ર રમેશભાઈ કહે છે કે, મોદીજીએ ત્યારે પિતાજીને પૂછયુ હતું કે, કાકા તમારે દેશ માટે કંઈક કહેવુ છે, તો ત્યારે પિતાજીએ કહ્યું કે, છોકરાઓ દફતરનું વજન ઉંચકી વાંકા વળી ગયા છે. તેમનું વજન ઓછુ કરાવો. આ વાતથી પ્રેરણા મેળવી ત્યાર બાદ ગુજરાતમાં ભાર વિનાનું ભણતર માટે હકારાત્મક પ્રયાસ હાથ ધરાયા હતા. પિતાજી હયાત હતા તે દરમિયાન દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ, માજી વડાપ્રધાનશ્રી મોરારજી દેસાઈ સહિતના નેતાઓએ તેમની મુલાકાત લઈ દેશભક્તિને બિરદાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application