વાપીમાં પકડાયેલા રીઢા ગુનેગાર સામે કુલ ચાર ગુના અને ઉમરગામમાં એક ગુનો મળી કુલ પાંચ જેટલા ગુનાઓ નોંધાયેલા છે. વર્ષ ૨૦૧૯માં જુલાઈ માસમાં ૧૨ તારીખે વાપી નજીક આવેલા નેશનલ હાઈવે નંબર આઠ ઉપર મહાવીર નગર ખાતે આવેલી બિલ્ડિંગ નંબર-૪ના મકાન નંબર ૨૦૨માં ગેરકાયદે પ્રવેશી ઘરમાં રાખેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની કુલ રૂપિયા ૧,૭૭,૫૦૦ની ચોરી થઈ હતી.
જે અંગે ઘરના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની વિશેષ ઝુંબેશ ચાલી રહી છે. એસઓજીના પી.આઈ. એ.યુ.રોઝ દ્વારા એક વિશેષ ટીમ બનાવીને કામગીરી શરૂ કરાતા ચોક્કસ બાતમી મળી હતી કે, ચોરીનો આ રીઢો ગુનેગાર મહારાષ્ટ્ર વિસ્તારમાં જોવામાં આવ્યો છે. તે પછી એસ.ઓ.જી.નાં પી.એસ.આઈ. તથા એ.એસ.આઈ.ની ટીમ દ્વારા મહારાષ્ટ્રના ખાર વિસ્તારમાં સ્થાનિક પોલીસની મદદ મેળવીને તપાસ કરાઈ હતી. આ દરમિયાન આરોપી ગોપાલ ઉર્ફે રાજુ નાયકા (હાલ રહે.ખાર ઈન્દિરાનગર ચાલમાં, મુંબઈ તેમજ મૂળ રહેવાસી સેલવાસ રખોલી)ને ઝડપી પાડયો હતો. જે બાદ આરોપીને વધુ તપાસ માટે વાપી ટાઉન પોલીસને હવાલે કરાયો હતો. નોંધનીય છે કે, ઉપરોક્ત આરોપી સામે અત્યાર સુધીમાં વાપી ટાઉનમાં કુલ પાંચ જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે એક ગુનો ઉમરગામ પોલીસ મથકમાં પણ નોંધાયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500