આણંદ નજીક રાવળાપુરા પાસેથી પસાર થતી નહેરમાં નહાવા પડેલા બે યુવકોના મોત નિપજ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ લાશને બહાર કાઢતા પોલીસે લાશને પીએમ માટે મોકલી અપમૃત્યુની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, આણંદના ૧૦૦ ફૂટ રોડ પર નુર-એ-ઈલાહી સોસાયટીમાં રહેતો રેહાન વ્હોરા (ઉ.વ.૧૯) અને અયાન મહેબુબભાઈ વ્હોરા (ઉ.વ.૧૭) સોમવારે સાંજે આણંદ નજીક રાવળાપુરા પાસેથી પસાર થતી નહેરમાં મિત્રો સાથે નહાવા ગયા હતા.
ત્યારે અચાનક બંને પાણીમાં ડુબવા લાગ્યા હતા. થોડી જ ક્ષણોમાં બંને યુવકો પાણીમાં ગરકાવ થઈ જતાં અન્ય મિત્રોએ બૂમાબૂમ કરી હતી. પરિણામે સ્થાનિકો બનાવના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ પરિવારજનો પણ પહોંચ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ નહેરમાં શોધખોળ કરતા બંનેના મૃતદેહો પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આણંદ ગ્રામ્ય પોલીસને બનાવની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને મૃતદેહોનો કબજો મેળવી પીએમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. એક સાથે બે યુવકોના મોતથી પરિવારજનો આઘાતમાં સરી પડયા હતા. ઘટના અંગે આણંદ ગ્રામ્ય પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application