વ્યારાના તળાવ રોડ ઉપરના જૈન દેરાસરની પાછળથી પગપાળા જતી મહિલાના ગળામાંથી બે ઈસમો ચેન ખેંચી ફરાર થઈ ગયાનો બનાવ થોડા દિવસો પહેલા બન્યો હતો જે બનાવનો ગુન્હો ઉકેલાયો હતો. આ લુંટમાં સંડોવાયેલ સુરતનાં બે આરોપીને ઝડપી પાડતા તેમજ જિલ્લાઓમાં પણ ચેન સ્નેચીંગની થયેલી ઘટનાઓનો ભેદ ઉકેલાયો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વ્યારા નગરમાં જૈન દેરાસરની પાછળ તળાવ રોડ ઉપરથી ગત તારીખ ૧૭/૦૨/૨૦૨૫ નારોજ એક મહિલાનાં ગળામાંથી સોનાની ચેન મોટરસાયકલ ઉપર આવેલ બે ઇસમો ખેંચી ફરાર થઈ ગયા હતા. જે ગુન્હો ઉકેલવા પોલીસે તપાસ હાથ ધરતા જેમાં બાતમી મળી હતી કે, એક કાળા કલરની મોટરસાયકલ નંબર જીજે/૦પ/ટીપી/૬૫૯૯ ઉપર બે ઈસમો ટીચકપુરા બાયપાસથી વ્યારા ટાઉન તરફ આવે છે.
જેથી પોલીસે વ્યારા મિશનનાકા ઉપર બાતમીવાળી મોટરસાયકલ આવતા તેને અટકાવી જે ઈસમોને પોલીસ સ્ટેશન ખાતે લાવી પુછપરછ કરતા આરોપીઓએ પોતાના નામ રવિભાઈ પ્રકાશભાઈ ગૌરાવા (રહે.એચ-૭૦૧ સેવન હાઈટ્સ કરવાડા રોડ, ડિંડોલી, સુરત) અને ઈરફાન ઈસ્લામખાન પઠાણ (રહે.તિરૂપતિનગર ભેસ્તાન સુરત, મુળ રહે.રસુલપુર શંકરપુર ચોરાહા થાના, નાનપરા પોસ્ટ-અમવા મોલવી, જી.બહેરાઈચ-યુ.પી.) જણાવ્યા હતા. તેમણે વ્યારામાં સોનાની ચેન સ્નેચીંગનો ગુન્હો કર્યાની કબુલાત કરી હતી. આરોપી રવિ પ્રકાશભાઈ ગોરાવા સામે નવસારી રૂરલ પોલીસ સ્ટેશન અને નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ૫ ગુન્હા તથા આરોપી ઈરફાન ઈસ્લામખાન પઠાણ વિરૂદ્ધ અડાજણ, ઉમરા, જહાંગીર, નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ૧૭ જેટલા ગુન્હા નોંધાયેલા છે. આ આરોપીઓએ બારડોલી ટાઉનમાં ૮ ગુના કર્યાની કબુલાત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500