Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લાના આદિમજૂથોના પરિવારોને પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આવરી લેવાયા : ૬૦૬૩ પરિવારોના ૨૪૧૮૬ સભ્યોને મળી ખાદ્ય સુરક્ષા

  • January 09, 2024 

આદિમજૂથોને આધાર પુરાવા સહિત યોજનાકીય લાભો હેઠળ આવરી લેવાયા દેશ અને રાજ્યના આદિમ જૂથોના વિકાસ માટે "PM JANMAN-PVTG ડેવલપમેન્ટ મિશન" હેઠળ નાણાંકીય અંદાજપત્રમાં ભારત સરકાર દ્વારા ખાસ જોગવાઈ કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ‘પીએમ જનમન’ અભિયાન હેઠળ આદિમ જૂથના તમામ પરિવારોને સરકારશ્રીની વિવિધ યોજનાઓથી લાભાન્વીત કરી વિકાસની ધારામા લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે, ત્યારે 'પીએમ જન મન' અભિયાન અંતર્ગત તાપી જિલ્લાના આદિમજુથના કુટુંબોને પ્રાથમિક અને મૂળભુત સુવિધાઓ સહિત કલ્યાણકારી યોજનાઓ હેઠળ આવરીને સમાજની મુખ્યધારામાં પ્રસ્થાપિત કરવાના ધ્યેયમંત્ર સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારે કમરકસી છે.



ખાસ કરીને નબળા આદિવાસી જૂથ-પીવીટીજીના લાભાર્થીઓના જીવનશૈલીમાં સુધાર કરવાના ઉમદા આશય સાથે તાપી જિલ્લામાં તમામ તાલુકાઓમાં જનજાગૃતિ-આઈઈસી પ્રવૃતિઓ હાથ ધરી આદિમજૂથોને જાગૃત કરીને યોજનાના લાભ હેઠળ આવરીને સો ટકા સંતૃપ્તિ હાંસલ કરવા માટે તાપી જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસો નોંધનીય છે. 'પીએમ જન મન' કાર્યક્રમ હેઠળ ડોલવણ, વાલોડ, કુકરમુંડા, નિઝર તાલુકાના આદિમજૂથોના કુલ-૬૦૬૩ પરિવારોને ‘પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના/અંત્યોદય યોજના' અંતર્ગત આવરી લેવાયા છે. આ ૬૦૬૩ પરિવારોમાં કુલ-૨૪૧૮૬ નાગરિકોનો સમાવેશ થાય છે.



સરકારના 'પીએમ જન મન' અભિયાનને બીરદાવતા આદિમજૂથના કુટુંબો તાપી જિલ્લામાં આદિમજૂથ કુટુંબો પણ સરકારના આ સરાહનીય પ્રયાસોને બિરદાવી રહ્યા છે. વાલોડ તાલુકાના અંબાચ ગામના ગોઠણ ફળીયાના આદિમજુથના લાભાર્થી દિલીપભાઈ વીરજીભાઈ કોટવાડીયાએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે, ગામના સરપંચ દ્વારા જનમન અભિયાન અંગે માહિતી મળી હતી. આ અભિયાન અંતર્ગત મને રેશન કાર્ડ મળ્યો છે જેના દ્વારા મને સસ્તા અનાજની દુકાન માથી અનાજ મળી રહેશે. આ સાથે ડીજીવીસીએલ મારફત નિ:શુલ્ક વીજ કનેક્શન, આરોગ્ય વિભાગ દ્વારા મારા બધા પરિવારજનોનો આયુષ્માન ભારત કાર્ડ, ઉજ્જ્વલા યોજનામાં ગેસ કનેક્શન, અને મારા ઘરે પાણીનો નળ પણ મુક્વામાં આવ્યો છે. અને આવાસ માટે પણ મંજુરી મળી ચુકી છે. મને આપવામાં આવેલ તમામ લાભ માટે હુ સરકારનો અને જિલ્લા તંત્રનો આભારી છું.



તેમણે પોતાના સમાજના તમામ આદિમજુથના પરિવારોને આવનાર સમયમા વહેલી તકે યોજનાનો લાભ લેવા જાહેર અનુરોધ કર્યો હતો. તાપી જિલ્લામાં આજદિન સુધી ૬૦૬૩ આદિમજૂથના પરિવારોને પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આવરી લેવાતા આદિમજૂથ પરિવારમાં ખુશીના માહોલની સાથે જિલ્લા તંત્રના અધિકારી-કર્મચારી વર્ગમાં જરૂરીયાતમંદને સશક્ત બનાવતા પોતાની કામગીરીની સંતુષ્ટતા જોવા મળી રહી છે. પીએમ જનમન અભિયાન દ્વારા છેવાડાના વંચિતોને વિકાસની ધારામા લાવી તેઓના સામાજિક આર્થીક ઉત્તથાનનો હેતું તાપી જિલ્લામાં સિદ્ધ થતો જણાય છે. તાપી જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા ગ્રામ્ય કક્ષાએ પહોચી છેવાડાના માનવી સુધી સરકારશ્રીની યોજનાઓ અંગે આદિમજુથના નાગરિકોને અનેકવિધ યોજનામાં આવરી લેવાઈ રહ્યા છે.



આ સાથે વિભાગોને આવતી મુશ્કેલીઓ જેવી કે, અંતરિયાળ વિસ્તારોમાં ટુલ કીટની નેટવર્ક કનેક્ટીવીટી, લાભાર્થીઓના વારંવાર મોબાઈલ નંબર બદલાવાના કારણે નોંધણીમાં આવતી મુશ્કેલીઓ, લાભાર્થીઓના થંબ ઈમ્પ્રેશન ન આવવા, જરૂરી સાધનિક કાગળની અછત જેવી અનેક મુશ્કેલીઓને પાર કરી પ્રજાની સેવા માટે તાપી જિલ્લા તંત્ર પ્રતિબધ્ધ છે. આ તમામ મુશ્કેલીઓ હોવા છતા જરૂરિયાતમંદને મદદરૂપ બનવાના સંવેદનશીલ અભિગમ સાથે સમસ્યાઓનું સમાધાન જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગના અધ્યક્ષપણા હેઠળ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ તથા પ્રાયોજના વહીવટદારશ્રી રામનિવાસ બુગાલીયાના સચોટ માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે.



જેના થકી તાપી જિલ્લામાં વિવિધ યોજનાઓમાં લાભાર્થીઓની નોંધણી કરી લાભ આપવામાં સિદ્ધિ પ્રાપ્ત થઈ રહી છે. આદિમજૂથના કુટુંબોને આધાર પુરાવા ઉપલબ્ધ કરાવવા સહિત શિક્ષણ, સ્વાસ્થ્ય, પોષણ સહિત આજીવિકા સંબંધિત યોજનાઓ અંગે જાગૃતતા કેળવવા માટે જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ પણ કટિબદ્ધ છે. આદિમજૂથોને સમાજની મુખ્યધારામાં લાવીને તાપી જિલ્લાની વિકાસયાત્રા વધુ વેગવાન બની છે. દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સમાજના સર્વે વર્ગોને સમકક્ષ રાખીને તેમના હકો અને અધિકારો ઉપલબ્ધ કરાવ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના કુશળ નેતૃત્વવાળી રાજ્ય સરકાર પણ આદિમજૂથોના વિકાસને પાયાથી મજબૂત કરવા માટે સુદ્રઢ પ્રતિબદ્ધતા દાખવી છે.



નોંધનીય છે કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં 'પીએમ જનમન' અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વસવાટ કરતા આદિમજૂથના તમામ પરિવારોને યોજનાકીય લાભોથી લાભાન્વિત કરી સો ટકા સેચ્યુરેશનની દિશામાં નક્કર કાર્ય કરવા માટે હાથ ધરાયેલા ‘પીએમ જનમન’ અભિયાન હેઠળ જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા ગ્રામ્ય કક્ષાએ પહોચી છેવાડાના આદિમજૂથને આધાર પુરાવા ઉપલબ્ધ કરાવી તેનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારની પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત એનએફએસએના તમામ લાભાર્થીઓ માટે દર મહિને વ્યક્તિદીઠ ૫ કિલોના દરે નિઃશુલ્ક અને ગુણવત્તાયુક્ત અનાજ આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.



ત્યારે તાપી જિલ્લામાં પુરવઠા વિભાગ અંતર્ગત વ્યાજબી ભાવની દુકાનો મારફત નવેમ્બર માસમાં આ યોજના હેઠળ ૯૬.૮૦ ટકા રેશનકાર્ડ ધારકોને આધાર આધારિત અનાજ વિતરણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લામાં ગ્રામ્ય-તાલુકાકક્ષાની ૨૩૧ સમિતિઓ બનાવવામાં આવી છે. તેમજ 'વન નેશન, વન રેશન' અંતર્ગત જુલાઈ-૨૦૧૯ થી નવેમ્બર-૨૦૨૩ સુધીમાં કુલ ૨૩,૦૧૯ ટ્રાન્ઝેક્શનો નોંધાયા છે. કોરોનાના કપરા સમયમાં પણ આવા પરિવારોને અનાજ ઉપલબ્ધ કરાવવા માટે સરકારે ઉમદા કામગીરી કરી હતી. તાપી જિલ્લામાં સરકારશ્રીના જનમન અભિયાન અને તાપી જિલ્લા તંત્રની સક્રિયતાના પરિણામે આદિમજુથના ૬૦૬૩ પરિવારોને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. દેશના વિકાસ માટે સશક્ત માનવી જરૂરી છે. માનવીના શારીરિક, માનસિક વિકાસ માટે પોષણયુક્ત ભોજન જરૂરી છે. અન્ન સુરક્ષા એટલે દેશની સમગ્ર વસ્તીની અનાજની પૂરતી ઉપલબ્ધતા. દેશની આર્થિક પ્રગતિનો આધાર દરેક વ્યક્તિની અન્ન સુરક્ષા ઉપર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application