Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજે વિશ્વ મૂક બધિર દિવસ : પાંચ વર્ષમાં ૧,૫૯૨ મૂકબધિર લાભાર્થીઓને એસ.ટી.બસની વિનામૂલ્યે મુસાફરી યોજના હેઠળ બસ પાસ અપાયા

  • September 24, 2023 

દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારને ‘વિશ્વ મૂક બધિર દિવસ’ રૂપે ઉજવવામાં આવે છે. આ વર્ષે ‘Ear and Hearing Care for All’ની થીમ પર વિશ્વ મૂકબધિર દિવસ તા.૨૪ સપ્ટેમ્બરના રોજ ઉજવાશે. વર્લ્ડ ફેડરેશન ઓફ ધ ડેફ (WFD) અને સંબંધિત વિશ્વભરના રાષ્ટ્રીય સંગઠનો દ્વારા સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહને આંતરરાષ્ટ્રીય મૂક-બધિર સપ્તાહ તરીકે પણ ઉજવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના મૂકબધિર (સાંભળી-બોલી ન શકતા) વર્ગના લોકોને કલ્યાણકારી યોજનાઓ જેવી કે એસ.ટી.બસમાં વિનામૂલ્યે મુસાફરી, લગ્ન સહાય, દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધન, રોજગારલક્ષી સાધન-સહાય આપવામાં આવે છે. સુરત જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ લગ્ન પ્રતિબંધક કચેરી દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મૂકબધિર લાભાર્થીઓને આપવામાં આવ્યો છે, જેમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧,૫૯૨ મૂકબધિરોને એસ.ટી.બસ નિ:શુલ્ક મુસાફરી યોજના હેઠળ બસ પાસ, ૧૨૩ લાભાર્થીઓને હિયરીંગ એઈડ, ૨૬૨ને રોજગારીલક્ષી સાધનો અને ૧૦૮ લાભાર્થીઓને લગ્ન સહાય યોજનાનો લાભ અપાયો છે.



કચેરી દ્વારા મૂકબધિરોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ અને માર્ગદર્શન સાથે જનજાગૃત્તિ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. વિશ્વ મૂક બધિર દિવસની ઉજવણીના ઉદ્દેશ્ય વિષે બાળ લગ્ન પ્રતિબંધક અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી જિજ્ઞેશ એમ.ચૌધરીએ જણાવ્યું કે, મૂકબધિરોમાં સ્વસ્થ જીવન, સ્વાભિમાન, ગૌરવની ભાવના જાગૃત કરવાના હેતુથી મૂક બધિર દિવસ ઉજવવામાં આવે છે. તેમની ક્ષમતાઓ, સિદ્ધિઓ વગેરે તરફ ધ્યાન કેન્દ્રિત કરી કાર્યપ્રશંસા, સન્માન આપવાનો હેતુ પણ છે. શાળાઓ, કોલેજો, એનજીઓ સહિત ઘણી સરકારી, સામાજિક સંસ્થાઓ મૂક બધિરોના સામાજિક, આર્થિક અને રાજકીય અધિકારો અને ઉત્થાનના હેતુ સાથે લોકોમાં મૂકબધિરતા વિશે જાગૃતિ ફેલાવે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જન્મથી મૂકબધિર ચાર બાળકોના પરિવારો માટે ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ આશાનું કિરણ બનીને આવ્યો છે.



જેમાં ૬ વર્ષ કે તેથી નાના, જન્મથી મૂકબધિર બાળકોમાં ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ સર્જરી કરી તેમને પુન; બોલતા-સાંભળતા કરી શકાય છે. આ સર્જરી ત્યારબાદના રિહેબિલીટેશન (પુનર્વસન)ની સંપૂર્ણ સારવાર માટે રૂ.૮ લાખથી વધુનો ખર્ચ થાય છે. તેમાં ઓપરેશન પહેલા કે દરમિયાનની સ્ક્રિનિંગ, ટેસ્ટ, ઓપરેશન, વેક્સીનેશન તેમજ રિહેબિલીટેશનના તમામ ખર્ચનો સમાવેશ થાય છે, જે સંપૂર્ણપણે સરકારની RBSK યોજના અંતર્ગત નિ:શુલ્ક આપવામાં આવે છે. આ સર્જરી જેટલી નાની વયે થઈ શકે એમાં એટલા જ સારા અને પ્રોત્સાહક પરિણામ આવે છે. તેમજ બાળકોની સંપૂર્ણ રિકવરી માટે ઓપરેશન બાદ પણ ૧ થી ૨ વર્ષ સુધી બાળકોને ‘ઓડિટરી વર્બલ થેરપી’(ATB) માટેની જરૂર મુજબની સિટિંગો આપવામાં આવે છે. જે બાળકોને સ્પીચમાં મદદરૂપ થાય છે.



વિશ્વ મૂક બધિર દિવસની ઉજવણીની તવારીખ


વર્ષ ૧૯૫૮માં વર્લ્ડ ફેડરેશન ઓફ ધ ડેફ સંસ્થા દ્વારા વિશ્વ મૂક બધિર દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. વર્લ્ડ ફેડરેશન ઓફ ધ ડેફની પ્રથમ વિશ્વ પરિષદ ૧૯૫૧માં ઈટાલીના રોમમાં યોજાઈ હતી. સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહને મૂકબધિરોના અધિકારો માટેના આંતરરાષ્ટ્રીય સપ્તાહ અને સાંકેતિક ભાષાના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. ૧૯૫૯માં યુનાઈટેડ નેશન્સ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વર્લ્ડ ફેડરેશન ઓફ ધ ડેફને માન્યતા આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application