ઘોઘંબા તાલુકાના પીપળીયા(સીમલિયા) ગામે બકરા ચરાવવા માટે ગયેલી એક જ કુટુંબની ત્રણ કિશોરીઓ પૈકી એક કિશોરી કોતરમાં કૂવા જેવા બનાવેલા ખાડામાં પાણી પીવા માટે ગઈ હતી. દરમિયાન લપસી ગઈ હતી. ત્યારે ત્યા હાજર અન્ય બે કિશોરીઓ પણ બચાવવા માટે પાણીમાં ઝંપલાવતા ત્રણેય કિશોરીઓ પાણીમાં ગરકાવ થઈ જતા મોત નિપજ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઘોઘંબા તાલુકાના પીપળીયા ગામના મંદિર ફળિયામાં રહેતી ત્રણ કિશોરીઓ મંગળવારે પોતાના રહેણાંક વિસ્તાર નજીક આવેલા ખેતરોમાં બકરા ચરાવવા માટે ગઈ હતી.
દરમ્યાન કિશોરીઓને તરસ લાગતાં ખેતર નજીકમાંથી પસાર થતા કોતરમાં પાણી સંગ્રહ માટે ખાડો ખોદી કુવા આકારના બનાવવામાં આવેલા ખાડામાં પાણી પીવા માટે ગઈ હતી. સ્થાનિકોના અનુમાન મુજબ એક કિશોરીનો પગ લપસી જતાં પાણીમાં ગરકાવ થઈ હતી. આ સમયે હાજર અન્ય બંને કિશોરીઓ પણ તેણીને બચાવવા માટે કુવાના પાણીમાં ઝંપલાવ્યું હતું. દરમિયાન ત્રણેય કિશોરીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.
બીજી તરફ કિશોરીઓ મોડી સાંજ સુધી દેખા નહી દેતાં આજુબાજુના ખેતરોમાં ઉપસ્થિત અને સ્થાનિક સ્વજનોએ કુવા તરફ તપાસ હાથ ધરી હતી. ત્યારે ત્રણેય કિશોરીઓના ચપ્પલ કુવાના કિનારા ઉપર જોવા મળતાં જ રહીશો એકત્રિત થઈ ગયા હતા. સ્થાનિક તરવૈયાઓ દ્વારા કુવામાંથી ત્રણેય કિશોરીઓને ભારે જહેમત બાદ પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. જોકે દરમિયાન ત્રણેય કિશોરીઓનું કરૂણ મોત નિપજ્યાનું જણાઈ આવ્યું હતું. અકાળે માસુમ કિશોરીઓના ડૂબી જવાથી મોત નીપજતાં સમગ્ર પીપળીયા ગામ અને મંદિર ફળિયામાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી. બનાવના પગલે દામાવાવ પોલીસ દ્વારા અકસ્માત મોત અન્વયે કાર્યવાહી કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500