Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ત્રણ વકીલોનો હાથ હતો દેશના ભાગલા પાડવામાં, દેશને આઝાદીની સાથે બે ભાગમાં વિભાજન કરાયું

  • April 25, 2024 

ભારતની આઝાદી માટેની લડાઈ ભારતીય સ્વતંત્રતા સંગ્રામ ૧૮૫૭થી શરૂ થઈ હતી, જે બીજા વિશ્વ યુદ્ધ પછી વધુ તીવ્ર બની અને આખરે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ની મધ્યરાત્રિએ આખરે ભારત આઝાદ થયો. આઝાદીની સાથે દેશને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યો અને ભારત અને પાકિસ્તાન બે કાયદાકીય રીતે સ્વતંત્ર રાષ્ટ્રો બન્યા. ભારતનું વિભાજન માઉન્ટબેટન પ્લાનના આધારે બનાવવામાં આવેલ ભારતીય સ્વતંત્રતા અધિનિયમ ૧૯૪૭ના આધારે કરવામાં આવ્યું હતું. ત્યારે આ લેખમાં એ ત્રણ વકીલો વિશે જણાવીશું કે જેમની વિભાજનમાં શું ભૂમિકા હતી ? માઉન્ટબેટન યોજના ૩ જૂન ૧૯૪૭ના રોજ તૈયાર કરવામાં આવી હતી. વકીલ સર સિરિલ રેડક્લિફ લંડનથી આવ્યા હતા અને ભારતની ધરતી પર એક રેખા દોરી હતી.


હિંદુ બહુમતી વિસ્તાર ભારત બન્યો અને મુસ્લિમ બહુમતી વિસ્તાર પાકિસ્તાન બન્યો. ૧૮ જુલાઈના રોજ બ્રિટિશ સંસદમાં ભારતીય સ્વતંત્રતા અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદો પસાર થતાં ૫૬૫ રાજ્યો સ્વતંત્ર થયા. તેમને ભારત અને પાકિસ્તાન સાથે જાેડાવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. મોટાભાગના રાજ્યો બહુમતી ધર્મના આધારે ભારત અથવા પાકિસ્તાન સાથે જાેડાવા માટે સંમત થયા હતા. ધર્મના આધારે આ વિભાજનને કારણે એક કરોડથી વધુ લોકોને તેમના ઘરો, ગામડાઓ અને જમીનો છોડવાની ફરજ પડી હતી અને દૂર-દૂરના અજાણ્યા સ્થળોએ જઈને ફરીથી પોતાનું જીવન શરૂ કરવું પડ્યું હતું. કદાચ માનવ ઈતિહાસમાં આટલી મોટી સંખ્યામાં લોકોનું વિસ્થાપન પહેલાં ક્યારેય થયું ન હતું.


લાખો હિંદુ અને શીખ પરિવારોને પાકિસ્તાનમાંથી ભારત આવવું પડ્યું, એ જ રીતે ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ વગેરે રાજ્યોમાંથી લાખો મુસ્લિમ પરિવારો પાકિસ્તાન ગયા હતા. વિભાજન એક એવો મામલો છે જેમાં દરેક વ્યક્તિ જવાબદાર કોણ છે તે શોધવાનો પ્રયાસ કરે છે, પરંતુ એ સમજવું જરૂરી છે કે આટલી મોટી ઘટના પાછળ માત્ર એક વ્યક્તિ નહીં પણ અનેક શક્તિઓ કામ કરી રહી હોય છે. પરંતુ ઘણા ઈતિહાસકારોનું માનવું છે કે ૧૯૪૬ પછી જ્યારે સાંપ્રદાયિક હિંસા કાબૂ બહાર ગઈ ત્યારે ભાગલા સિવાય કોઈ વિકલ્પ નહોતો. મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુ એક એવું ભારત ઇચ્છતા હતા જેમાં બધા ધર્મના લોકો રહે. જાે કે, ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગના નેતા મોહમ્મદ અલી ઝીણાએ સ્વતંત્રતાના સમાધાનના ભાગરૂપે વિભાજનની માગ કરી રહ્યા હતા. મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને મોહમ્મદ અલી ઝીણા ત્રણેય વ્યવસાયે વકીલ હતા.


પહેલા એ જાણી લઈએ કે દેશના ભાગલા પાડવામાં આ લોકોની ભૂમિકા શું હતી ? ઘણા લોકો એવું માને છે કે દેશના વિભાજન માટે ગાંધીજી પણ જવાબદાર હતા. જાે તેઓ ઈચ્છતા હોત તો ભાગલા રોકી શક્યા હોત. બાપુ વિશેની આ માન્યતાઓનું સત્ય એ છે કે તેઓ દેશના ભાગલાના વિરોધી હતા. તેમણે તેને પાપપૂર્ણ કૃત્ય ગણાવ્યું. તેઓ ક્યારેય નહોતા ઈચ્છતા કે દેશના ભાગલા પડે. ગાંધીજી પાકિસ્તાનની રચનાની માંગ અને જરૂરિયાત બંને સાથે અસહમત હતા. ૧૯૪૬માં હરિજનમાં તેમના એક લેખમાં તેમણે લખ્યું હતું કે, હું માનું છું કે મુસ્લિમ લીગ દ્વારા ઉઠાવવામાં આવેલી પાકિસ્તાનની માંગ સંપૂર્ણપણે બિન-ઇસ્લામિક છે અને મને એવું કહેવામાં કોઈ સંકોચ નથી કે તે કૃત્ય એક પાપ છે. એકબીજાના લોહીના તરસ્યા ભારતના ટુકડા કરવા માંગતા તત્વો ભારત અને ઇસ્લામ બંનેના દુશ્મન છે.


ભલે તેઓ મારા શરીરના ટુકડા કરી નાખે, પણ તેઓ મને એવી કોઈ બાબત માટે સંમત નહીં કરી શકે જે હું યોગ્ય નથી માનતો. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનું ૨૭ મે ૧૯૬૪ના રોજ અવસાન થયું હતું. આના થોડા દિવસો પહેલા ૧૮ મે ૧૯૬૪ના રોજ ન્યુયોર્કમાં તેમનો છેલ્લો ઇન્ટરવ્યુ પ્રકાશિત થયો હતો. જેમાં નેહરુએ જણાવ્યું હતું કે તેઓ આખરે ભાગલા માટે કેમ તૈયાર થયા હતા. મહાત્મા ગાંધી ક્યારેય ભાગલાના પક્ષમાં ન હતા. વિભાજન થયું ત્યારે પણ તેઓ તેની તરફેણમાં નહોતા. હું પણ ભાગલાની તરફેણમાં ન હતો પણ અંતે અન્ય ઘણા લોકોની જેમ મેં પણ નક્કી કર્યું કે આ સતત ઝંઝટ કરતાં વિભાજન વધુ સારું છે. મોટાભાગના મુસ્લિમ લીગના નેતાઓ મોટા જમીનદારો હતા.


તેમને જમીન સુધારણા પસંદ ન હતું. અમે જમીન સુધારણાને લઈને ખૂબ જ ચિંતિત હતા. આ પણ એક કારણ છે જેના કારણે અમે વિભાજન વિશે વિચાર્યું. જાે તે અમારી સાથે રહ્યા હોત તો તેમણે અન્ય સમસ્યાઓની સાથે અમારા આવા અનેક પગલાંનો વિરોધ કર્યો હોત. આવી સ્થિતિમાં અમે તેમને હિસ્સો આપીને અમારા સુધારાના કાર્યક્રમો ચાલુ રાખ્યા.  મુસ્લિમો માટે અલગ દેશની માંગ સૌપ્રથમ ૧૯૩૦માં મોહમ્મદ ઈકબાલે ઉઠાવી હતી. મોહમ્મદ ઈકબાલ એ જ વ્યક્તિ છે જેમણે ‘સારે જહાં સે અચ્છા’ ગીત લખ્યું હતું. બાદમાં ઈકબાલ અને અન્ય મુસ્લિમ કટ્ટરપંથીઓએ મોહમ્મદ અલી ઝીણાના નેતૃત્વમાં આ માંગણી આગળ ધપાવી. જ્યારે મહાત્મા ગાંધી અને કોંગ્રેસ આના પક્ષમાં નહોતા અને તેમણે ભારતના ભાગલાના પ્રસ્તાવને ફગાવી દીધો હતો.


ત્યાર બાદ દેશમાં ઘણી જગ્યાએ હિંદુ-મુસ્લિમ રમખાણો થયા. પરંતુ જ્યારે ૧૯૪૬માં ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસને ૯૨૩ અને મુસ્લિમ લીગને ૪૨૫ બેઠકો મળી હતી. મુસ્લિમ લીગે જીતેલી બેઠકોએ અલગ દેશની માંગને વેગ આપ્યો. ઝીણા મહાત્મા ગાંધીને હિંદુઓના નેતા માનતા હતા. આ જ કારણ છે કે ઝીણા પોતાની માંગ પર અડગ રહ્યા અને લોર્ડ માઉન્ટબેટને કોંગ્રેસના નેતાઓને બે દેશો બનાવવા માટે રાજી કર્યા. મહાત્મા ગાંધીને આ ર્નિણયની પાછળથી ખબર પડી હતી. આ જ કારણ છે કે ગાંધીએ દેશની આઝાદીની કોઈ પણ ઉજવણીમાં ભાગ લીધો ન હતો, જે દરમિયાન તેઓ બંગાળમાં રમખાણો રોકવા ગયા હતા. હવે આ ત્રણેય નેતાઓની વકીલાત પર એક નજર કરીએ.. ગાંધીજીના શિક્ષણ વિશે વાત કરીએ તો, તેમણે પોરબંદરથી મિડલ અને રાજકોટથી હાઈસ્કૂલનો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેમણે ભાવનગરની શામળદાસ કોલેજમાંથી મેટ્રિક પછીની પરીક્ષા પાસ કરી. તેમનો પરિવાર ઇચ્છતો હતો કે તેઓ બેરિસ્ટર બને તેથી સપ્ટેમ્બર ૧૮૮૮થી જૂન ૧૮૯૧ સુધી લંડનમાં કાયદાનો અભ્યાસ કરવા ગયા હતા.


ત્યાર બાદ ભારત પરત ફરી તેમણે ૧૮૯૧થી ૧૮૯૩ સુધી કાયદાની પ્રેક્ટિસ કરી. ત્યાર બાદ મહાત્મા ગાંધી ૧૮૯૩માં દક્ષિણ આફ્રિકામાં કાયદાની પ્રેક્ટિસ કરવા ગયા હતા. ભારતમાં ગાંધીજીને પહેલો કેસ મુંબઈમાં મામીબાઈનો મળ્યો હતો. મુંબઈની સ્મોલ કોઝ કોર્ટમાં ગાંધીજી માટે આ પહેલી તક હતી. જેમાં તેમણે પ્રતિવાદી વતી દલીલો કરવાની હતી. સત્યના પ્રયોગમાં તેઓ લખે છે કે, તેઓ આ કેસ લડી શક્યા નહોતા તેમને કોર્ટમાં ચક્કર આવવા લાગ્યા હતા. ત્યાર બાદ તેઓ કેસની ફી પરત આપીને તેઓ કોર્ટમાંથી બહાર નીકળી ગયા હતા. જવાહરલાલ નેહરુએ વિશ્વની શ્રેષ્ઠ સ્કૂલો અને યુનિવર્સિટીઓમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે ઈંગ્લેન્ડના હેરોમાંથી શાળાકીય શિક્ષણ અને ટ્રિનિટી કોલેજ, કેમ્બ્રિજ (લંડન)માંથી કોલેજનું શિક્ષણ પૂર્ણ કર્યું. આ પછી તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી પૂર્ણ કરી.


જવાહરલાલ નેહરુ ૧૯૧૨માં ભારત પાછા ફર્યા અને કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી હતી. ૧૯૧૬માં તેમણે કમલા નેહરુ સાથે લગ્ન કર્યા હતા. ત્યાર બાદ નેહરુ ૧૯૧૭માં હોમ રૂલ લીગમાં જાેડાયા. રાજનીતિમાં તેમની વાસ્તવિક શરૂઆત બે વર્ષ પછી ૧૯૧૯માં થઈ જ્યારે તેઓ મહાત્મા ગાંધીના સંપર્કમાં આવ્યા. મોહમ્મદ અલી ઝીણાના શિક્ષણ વિશે વાત કરીએ તો, ૧૮૮૭માં કરાચીમાં સિંધ મદ્રાસતુલ ઇસ્લામ બાદ તેમણે ક્રિશ્ચિયન મિશનરી સોસાયટી હાઈસ્કૂલમાં શિક્ષણ લીધું, જ્યાં ૧૬ વર્ષની ઉંમરે તેમણે બોમ્બે યુનિવર્સિટીની મેટ્રિક પરીક્ષા પાસ કરી હતી. અંગ્રેજ મિત્રની સલાહ પર તેમના પિતાએ તેમને વ્યવસાયનો અનુભવ મેળવવા માટે ઈંગ્લેન્ડ મોકલવાનું નક્કી કર્યું. જાે કે, ઝીણાએ બેરિસ્ટર બનવાનું મન બનાવી લીધું હતું. લંડનમાં તેઓ બાર પરીક્ષાની તૈયારી કરાવતી લિંકન ઇનમાં જાેડાયા જે એક કાનૂની સોસાયટી છે. ૧૮૯૫માં ૧૯ વર્ષની ઉંમરે તેમને બારમાં બોલાવવામાં આવ્યા હતા. ત્રણ વર્ષની સઘન તૈયારી પછી તેમણે બારની પરીક્ષા પાસ કરી અને પોતાની કાનૂની પ્રેક્ટિસ શરૂ કરવા ૧૮૯૬માં બોમ્બે ગયા. તેમની પ્રેક્ટિસને સફળ બનાવવા માટે વર્ષોની મહેનત લાગી. લગભગ ૧૦ વર્ષ પછી અંતે તેઓ સક્રિય રીતે રાજકારણ તરફ વળ્યા અને પોતાની રુચિઓ કાયદા અને રાજકારણ વચ્ચે વહેંચી દીધી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application