Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેવડિયા ખાતે દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી ‘સરદાર પટેલ’ની જન્મ જયંતીની ઉજવણી કરાઈ

  • November 01, 2023 

દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર પટેલની જન્મ જયંતી પ્રસંગે કેવડિયા-એકતાનગરમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે કહ્યું હતું કે, દેશની એકતા અને વિકાસની યાત્રાના રસ્તામાં સૌથી મોટો અવરોધ તુષ્ટિકરણની રાજનીતિ છે. તેમણે કહ્યું હતું કે, જે લોકો દેશની એકતા પર હુમલો કરે છે તેને દેશવાસીઓ ઓળખે, સમજે અને સતર્ક રહે. તુષ્ટિકરણ કરનાર લોકો આંતકવાદની ગંભીરતા ક્યારેય  સમજતા નથી. તુષ્ટિકરણ કરનારાને માનવતાના દુશ્મનો સાથે ઉભા રહેતા સંકોચ પણ થતો નથી. દેશ વિરોધી તત્વો સામે કડાકાઇથી પગલા લેવાતા નથી. આંતકીઓને બચાવવા અદાલત સુધી પહોંચી જાય છે. આવી વિચારસરણીથી દેશનું ભલુ નહી થાય.



એકતાને જોખમમાં મૂકનારા લોકોથી દેશવાસીઓ સાવધાન રહે. આવનાર સમયમાં લોકસભા ચૂંટણી આવી રહી છે, દેશમાં એક રાજકીય પાર્ટી એવી છે, જેમને પોઝિટિવ રાજનીતિ કરવી નથી. તેઓ તેમના સ્વાર્થ માટે દેશની એકતા ખંડિત કરવામાં પાછી પાની કરતા નથી. દેશની જનતા દેશની એકતાને ખંડિત કરનારા લોકોને ઓળખવા તેમણે અપીલ કરી હતી. વડાપ્રધાનશ્રીને તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં આજે લઘુ ભારતનું સ્વરૂપ દેખાઇ રહ્યુ છે.  જેમ તારીખ 15 ઓગસ્ટે આપણી સ્વતંત્રતા અને 26 જાન્યુઆરીએ આપણા ગણતંત્રનો જયઘોષ છે તે રીતે તારીખ 31 ઓક્ટોબરનો આ દિવસ દેશના ખૂણે ખૂણે રાષ્ટ્રીયતાના સંચારનો પર્વ બની ગયો છે.



આવનાર 25 વર્ષ ભારત માટે સૌથી અગત્યના વર્ષ હોવાનું જણાવી આ 25 વર્ષમાં ભારતને સમૃદ્ધ અને વિકસીત બનાવવાનું લક્ષ્ય હોવાનું જણાવ્યું હતું. કેવડિયા ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઈ હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એકતા પરેડમાં 17 રાજયોના 250થી વધુ એનસીસી કેડેટ્સ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયા હતાં. જ્યારે પરેડમાં અર્ધ લશ્કરી દળના જવાનોની ટુકડી સાથે ૫ રાજ્યોની પોલીસ જોડાઇ હતી. સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર હેલિકોપ્ટરથી પૂષ્પવર્ષા કરી ભાવસભર અંજલિ અપાઈ હતી.



એકતા પરેડની આગેવાની 2020ની બેચના આઈપીએસ કોરૂકાંડા સિદ્ધાર્થે લીધી હતી. પરેડમાં મહિલા સીઆરપીએફ બાઈકર્સ યશસ્વિની દ્વારા ડેરડેવિલ શો, બીએસએફની મહિલા પાઈપ બેન્ડ, ગુજરાત મહિલા પોલીસ દ્વારા કોરિયોગ્રાફી પ્રોગ્રામ, ખાસ એનસીસી શો, સ્કૂલ બેન્ડ્સ ડિસ્પ્લે, જી-૨૦ સમિટ, ચંદ્રયાન પ્રોજેક્ટની સફળતા, ઈન્ડિયન એરફોર્સના સૂર્ય કિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા ફ્લાય પાસ્ટ, ગુજરાત સહિત આસામ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશના પોલીસ દળનું માર્ચપાસ્ટ, સરહદી રાજ્યોના સરહદી ગામોની આર્થિક સદ્ધરતાનું પ્રદર્શન અને દેશના વિવિધ રાજ્યોની ભાતીગળ સંસ્કૃતિનો પરિચય આપતી સાંસ્કૃતિક કૃતિઓ વગેરેનો સમાવેશ કરાયો હતો.



દર વર્ષે ઓક્ટોબર-ડિસેમ્બર મહિના દરમિયાન સૌથી અઘરી જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાને પાસ કરતા યુવા સિવિલ સર્વન્ટ્સ મસૂરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન (એકેડેમી) ખાતે આયોજિત ફાઉન્ડેશન કોર્સમાં જોડાય છે. આરંભ નામના કોમન ફાઉન્ડેશન કોર્સ અંતર્ગત વડાપ્રધાને આરંભ 5.0ના અંતે 98માં કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓને સંબોધન કરી અભિનંદન આપ્યા હતા. 'મૈં નહીં હમ'ની ભાવના સાથે 98માં કોમન ફાઉન્ડેશન કોર્સમાં ભારતની 16 સિવિલ સર્વિસીસ અને ભૂતાનની ૩ સિવિલ સર્વિસીસના 560 ઓફિસર તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application