Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બિલકિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો : ગુનેગારોને બે દિવસમાં સરેન્ડર કરવાનો આદેશ

  • January 19, 2024 

બિલકિસ બાનો કેસના દોષિતોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે જેમાં સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોના 11 દોષિતોએ આત્મસમર્પણ કરતા પહેલા વધુ સમય આપવા માટે દાખલ કરેલી અરજીને ફગાવી દીધી છે. આ દોષિતોએ ગુરુવારે વ્યક્તિગત કારણોને ટાંકીને આત્મસમર્પણનો સમયગાળો વધારવાની માંગ કરી હતી. હવે સુપ્રીમ કોર્ટે પોતાના જૂના આદેશ મુજબ તમામ આરોપીઓને 21 જાન્યુઆરી સુધીમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે દોષિતોને આત્મસમર્પણ માટે વધુ સમય આપવાનો ઇનકાર કરીને આત્મસમર્પણ કરવા માટે સમય વધારવાની માંગણી કરેલી અરજીને ફગાવી દીધી હતી.



હવે તમામ દોષિતોને તારીખ 21 જાન્યુઆરી સુધીમાં આત્મસમર્પણ કરવું પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 11 દોષિતોએ આત્મસમર્પણ માટેનો સમય લંબાવવા માટે જે કારણો આપ્યા છે તેમાં કોઈ તથ્ય નથી. આ પહેલા તમામ દોષિતોએ કૌટુંબિક જવાબદારીઓ અને સ્વાસ્થ્યના કારણોને ટાંકીને સુપ્રીમ કોર્ટમાં આત્મસમર્પણનો સમયગાળો વધારવાની માંગ કરી હતી. જેમાં કેટલાક દોષિતોએ 4 અઠવાડિયાનો જ્યારે કેટલાક દોષિતોએ 6 અઠવાડિયાનો સમય માંગ્યો હતો. અગાઉ આ તમામ દોષિતો 2002નાં ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર ગેંગરેપ અને તેના પરિવારના સભ્યોની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા.



પરંતુ ઓગસ્ટ 2022માં ગુજરાત સરકારે તેમની સજા માફ કરી તમામ દોષિતોને જેલમાંથી મુક્ત કરી દીધા હતા, જેના બાદ સુપ્રીમ કોર્ટે 08 જાન્યુઆરી 2024નાં રોજ એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ બી.વી.નાગરથના (B.V.Nagarathna)ની બેન્ચે આ કેસમાં તમામ 11 દોષિતોને નિર્દોષ છોડવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો, ઉપરાંત સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં દોષિતોને બે અઠવાડિયામાં આત્મસમર્પણ કરવા પણ કહ્યું હતું.



2002માં ગોધરા ટ્રેન અગ્નિકાંડ બાદ થયેલા રમખાણો દરમિયાન બિલકિસ બાનો સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને તેમના પરિવારના 7 સભ્યોની હત્યા કરી દેવામાં આવી હતી. ઘટના સમયે બાનોની ઉંમર 21 વર્ષ હતી. તારીખ 21 જાન્યુઆરી 2008નાં રોજ CBIની વિશેષ અદાલતે 11 લોકોને દોષી ઠેરવતા આજીવન કેદની સજા સંભળાવી હતી. ગયા વર્ષે 15 ઓગષ્ટના રોજ ગુજરાત સરકારે તમામ દોષિતોને જેલમાંથી મુક્ત કરી દીધા હતા. જયારે તમામ દોષિતોના નામમાં જસવંત નાઈ, ગોવિંદ નાઈ, શૈલેષ ભટ્ટ, રાધેશ્યામ શાહ, બિપિન ચંદ્ર જોશી, કેસરભાઈ વોહાનિયા, પ્રદીપ મોરધિયા, બકાભાઈ વોહાનિયા, રાજુભાઈ સોની, મિતેશ ભટ્ટ અને રમેશ ચંદના.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application