Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કપાસનું વાવેતર કરતાં ખેડૂતો માટે રાજ્ય સરકારે જાહેર કરી માર્ગદર્શિકા, ટોલ ફ્રી નંબર - ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧નો સંપર્ક

  • August 06, 2022 

રાજ્ય સરકાર હરહંમેશ જગતના તાતની પડખે રહી છે. ખેડૂતો માટે વાવણીથી લઈ લણણી ખેડૂતોના હિત માટે જરૂરી સૂચનો સમયાંતરે કરવામાં આવે છે. કપાસનું વાવેતર કરતાં ખેડૂતો માટે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરીને કપાસના પાકમાં ગુલાબી ઇયળ અને સફેદ માખીના નિયંત્રણ માટેના પગલાં સૂચવવામાં આવ્યાં છે.


કપાસના પાકમાં ગુલાબી ઇયળ (Pactiophora gossypiella) ના નિયંત્રણ માટેના પગલા

નાયબ ખેતી નિયામક, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે કે, મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ફેરોમોન ટ્રેપ ગોઠવવા અને ટ્રેપમાં સતત ત્રણ દિવસ સુધી ફેરોમોન ટ્રેપ દીઠ ૮ ફુદાં પકડાય તો કીટનાશકનો છંટકાવ કરવો જોઈએ. તેમજ ઉપદ્રવની શરૂઆતથી લઈ કપાસની છેલ્લી વિણી સુધી હેક્ટરે ૪૦ પ્રમાણે ગુલાબી ઈંચળની નર ફુદીને આકર્ષતા ફેરોમોન ટ્રેપ કપાસ ઉગાડતા ખેડૂતોએ સામુહિક ધોરણે ગોઠવવા સૂચન કરવામાં આવ્યું છે.



લીંબોળીના મીંજનો ભૂકો પાંચ ટકા, ૫૦ મિલી. લીબોળીનું તેલ તથા ૧૦ ગ્રામ ધોવાનો પાવડર ૧૦ લીટર પાણીમાં મીક્ષ કરી વાવણીના ૫૦-૬૦ દિવસ પછી છંટકાવ કરવો. જૈવિક નિયંત્રણ માટે ઈંડાની પરજીવી ટ્રાઇકોગ્રામા ભમરી @૧ થી ૧.૫ લાખ પ્રતિ હેકટરે ૧૫ દિવસના આંતરે ચારથી પાંચ વખત પાનની નીચેની બાજુએ ચીપકાવી વાપરી શકાય. ગુલાબી ઇયળના ઉપદ્રવ શરૂ થયા બાદ બીવેરીયા બેસીયાનાનો ૨૫ કિલો પ્રતિ હેકટર પ્રમાણે છંટકાવ કરવો.




કીટનાશકોના છંટકાવની જરૂરિયાત ઉપસ્થિત થાય તો પરજીવી ભમરી છોડ્યા બાદ ૭ દિવસનો ગાળો રાખી છંટકાવ કરવો. દવાઓનો છંટકાવ કરતા પહેલાં કપાસના છોડ ઉપરથી વિકૃત થઇ ગયેલ ફૂલ/ભમરી તોડી લઇ ઇયળ સહિત નાશ કરવો. કપાસનાં પાકમાં ફૂલ-ભમરી, જીંડવાની શરૂઆત થતા અસ્ત-વ્યસ્ત પદ્ધતિથી ૧૦૦ ફૂલ ભમરી/જીંડવા તપાસવા અને તે પૈકી પાંચમાં ગુલાબી ઇયળની હાજરી જોવા મળે તો કીટનાશક દવાનો છંટકાવ કરવો એમ યાદીમાં જણાવ્યું છે.




ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૫ મિલિ અથવા પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૨૦ મિલિ અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિલિ અથવા થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુપી ૨૦ ગ્રામ અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૪.૫ એસસી અથવા એમામેક્ટીન બેનઝોએટ ૫ એસજી ૫ ગ્રામ અથવા ડેલ્ટામેથ્રીન ૧.૮ ઈસી અથવા સાયપરમેથ્રીન ૧૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા લેમડા સાયહેલોથ્રીન ૫ ઇસી ૧૦ મિલિ અથવા કલોરપાયરીફોસ ૫૦% + સાયપરમેથ્રીન પ% ઈસી ૧૦ મિલિ અથવા પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથીન ૪% ઈસી ૨૦ મિલિ પૈકી કોઇપણ એક કીટનાશક દવા ૧૦ લિટર પાણીમાં ભેરવી છંટકાવ કરવો.



કપાસના પાકમાં સફેદ માખી (Bemisia tabaci)ના નિયંત્રણ માટેના પગલા

સફેદ માખીની વસતિ પર દેખરેખ રાખવા માટે એકર દીઠ ૪૦ ના દરે પીળી સ્ટીકી ટ્રેપ ગોઠવવી. તેમજ કપાસના ખેતરોમાં ઉપલબ્ધ કુદરતી દુશ્મનો જેવા કે એન્કાર્લીયા ફોર્મેસા, એન્કાર્લીયા sp., કરોળિયા, સિર્ફિડ ફ્લાય, ક્રાયસોપરલા, ઢાલીયા, ડ્રેગન ફ્લાય, મેન્ટિસ, શિકારી કીડીઓ, ભમરી વગેરેને ઓળખવા, જાળવવા અને વધારવા કે જે સફેદ માખીની વસ્તીને ડામવામાં મદદરૂપ થાય છે. વર્ટીસિલિયમ લેકાની ૧.૧૫ ટકા ડબલ્યુપી ૫૦૦ લિટર પાણીમાં ૨.૫ કિગ્રા પ્રતિ હેક્ટર પ્રમાણે ઉપયોગ કરી શકાય છે. સફેદ માખીના ઉપદ્રવ વખતે લીંબોળીની મીંજ ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીંબોળીનું તેલ ૫૦ મિલિ અથવા લીમડા આધારિત કિટનાશકનો ૧૦ મિલિ (૫ ઇસી)થી ૬૦ મિલિ (૦.૦૩ઇસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જોઈએ.



કપાસની સફેદ માખીના નિયંત્રણ માટે ભલામણ કરેલ જંતુનાશકો થાયાક્લોપ્રિડ ૪૮ એસસી ૫ મિલિ, ફ્લોનિકામાઇડ ૫૦ ડબલ્યુજી ૩ ગ્રામ, ડાયફેન્ચ્યુરોન ૫૦ ડબલ્યુપી ૧૦ ગ્રામ, ડીનોટેફ્યુરાન ૨૦ એસજી ૧૦ ગ્રામ, ક્લોથીઆનિડીન ૫૦ ડબલ્યુડીજી ૪ ગ્રામ, ફીપ્રોનિલ ૫ એસસી ૨૦ મિલિ, એસીફેટ ૫૦% + ઇમિડાક્લોપ્રીડ ૧.૮% એસપી ૧૦ મિલિ, એસીફેટ ૫૦% ફેનવેલરેટ ૩% ઇસી ૧૦ મિલિ ફીપ્રોનીલ ૪% + એસીટામીપ્રીડ ૪% એસસી ૪૦ મિલિ પૈકી કોઇપણ એક કીટનાશક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો એમ નાયબ ખેતી નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.


કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર - ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧નો સંપર્ક કરવો

આ અંગે વિસ્તૃત જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, કે.વી.કે વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(વિસ્તરણ), નાયબ ખેતી નિયામક (તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર - ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧નો સંપર્ક કરવો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News