Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શ્રવણ તીર્થદર્શન યોજના : 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકોને તિર્થસ્થાનોની યાત્રા માટે સરકારી સહાય પુરી પાડવામાં આવશે-વિગત જાણો

  • September 15, 2022 

દરેક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમ્યાન અને ખાસ કરીને વૃધ્ધાવસ્થા દરમ્યાન એકવાર પવિત્ર સ્થળોએ યાત્રા કરવાની ઇચ્છા રાખતા હોય છે પરંતુ આર્થિક મર્યાદાઓને લીધે કેટલાક લોકો આવી ઇચ્છા પૂરી કરી શકતા નથી. આ બાબત ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ નાગરિકોને ગુજરાતનાં તીર્થસ્થાનોના દર્શનનો લાભ મળે તે માટે “શ્રવણ તીર્થદર્શન યોજના” અમલમાં મૂકવામાં આવેલ છે. 




તીર્થસ્થાન જવા માટેની પાત્રતા

આ યોજના હેઠળ અરજદાર આ મુજબની શરતો પરિપૂર્ણ કરતા હોવા જોઇએ. જેમાં ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા હોય તેવા સીનીયર સીટીઝન, અરજદાર અરજીની તારીખે ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના હોવા જોઇએ, પતિ પત્ની એક સાથે યાત્રા કરતાં હોય તો બે પૈકી એકની ઉંમર અરજીની તારીખે ૬૦ વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ, આ યોજના હેઠળ લાભ લેવા માટે યાત્રાળુઓના સમૂહની અરજી માન્ય ગણાશે. વ્યક્તિગત અરજી માન્ય ગણાશે નહી. ઓછામાં ઓછા ૨૭ વ્યક્તિઓ યાત્રા માટે સમૂહમાં અરજી કરે તેને સમૂહની અરજી ગણવામાં આવશે, એક વ્યક્તિને પ્રત્યેક નાણાકીય વર્ષમાં એક વાર લાભ મળવાપાત્ર રહેશે. 




મળવાપાત્ર સહાય

આ યોજના હેઠળ ગુજરાતના યાત્રાધામોના ત્રણ રાત્રિ અને ત્રણ દિવસ (૭૨ કલાક) સુધીના પ્રવાસની મર્યાદામાં આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે. ગુજરાતના યાત્રાધામોના દર્શન માટેની આ યોજનામાં એસ.ટી.ની, સુપર બસ (નોન એ.સી.) ઉપરાંત એસ.ટી.ની મીની બસ (નોન એ.સી.), સ્લીપર કોચનું ભાડુ અથવા જો ખાનગી બસ ભાડે લીધેલ હોય તો ખાનગી બસનું ભાડું બેમાંથી જે ઓછુ હોય તેની મહત્તમ ૭૫% રકમ સહાય તરીકે મળવાપાત્ર રહેશે. ૨૭ થી ૩૫ પેસેન્જર સુધી મીની બસનું ભાડું મળશે. તથા, ૩૬ થી ૫૬ પેસેન્જર સુધી એક્સપ્રેસ/સુપર બસનું ભાડું મળશે. જો ત્રણ રાત્રિ અને ત્રણ દિવસ (૭૨ કલાક) સુધીના મર્યાદા કરતા વધુ યાત્રા કરી હશે, તો પણ ઉપર દર્શાવ્યા મુજબ ૩ રાત્રિ અને ૩ દિવસ સુધીના પ્રવાસની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે.દરેક યાત્રીને ઉચ્ચક સહાય તરીકે ૧ (એક) દિવસના જમવાના ૨૫૦/- (અંકે રૂપિયા પચાસ પૂરા) અને રહેવાના ૨ ૫૦/- (અંકે રૂપિયા પચાસ પૂરા) એમ કુલ ૨ ૧૦૦/- (અંકે રૂપિયા એકસો પૂરા) અને વધુમાં વધુ ર્ ૩૦૦/- (અંકે રૂપિયા ત્રણસો પૂરા)ની મર્યાદામાં ચૂકવવાના રહેશે.




ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના માન્ય એજન્ટ અથવા ગૃપ દ્વારા બુક કરાવેલી એસ.ટી. બસ અથવા ખાનગી ટ્રાવેલ્સની બસમાં પ્રવાસ કરી શકાશે અને આવી બસમાં વૃધ્ધાશ્રમના કાર્યકરો, રજીસ્ટર્ડ ડોકટર/કમ્પાઉન્ડર/હેલ્પર કે રસોઇયા જેઓની ઉંમર ૬૦ વર્ષથી ઓછી હોય તેવા મહત્તમ ૫ (પાંચ) વ્યક્તિઓ પ્રવાસ કરી શકશે.ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ બસ ભાડાની ૫૦% રકમ લઇને બસનું બુકિંગ કરશે અને પ્રવાસ પૂરો થયા બાદ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને રીએમ્બર્સમેન્ટની દરખાસ્ત કરશે. બોર્ડ આ રકમ સીધેસીધી ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમના બેંક એકાઉન્ટમાં જમા કરાવશે.માન્ય ટ્રાવેલ એજન્ટ અથવા મુખ્ય વ્યક્તિએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના પ્રવર્તમાન નિયમો મુજબની સિક્યોરીટી ડીપોઝીટ એસટી. નિગમમાં જમા કરાવવાની રહેશે, જે રીડેબલ રહેશે.



યાત્રા પૂર્ણ થયા બાદ નિગમના નિયમાનુસાર ડીપોઝીટની આ રકમ પરત કરવામાં આવશે.જો કોઇ સેવાભાવી સંસ્થા, વૃધ્ધાશ્રમના સીનીયર સીટીઝનોને યાત્રાએ લઇ જવા માંગતા હોય તો, તે સંસ્થા પોતાની બસમાં આવો પ્રવાસ કરી શકશે. આવા પ્રવાસમાં વૃધ્ધ યાત્રાળુઓની તબીબી દેખભાળ માટે બસમાં કોઇ રજીસ્ટર્ડ ડોક્ટર કે કમ્પાઉન્ડરને સાથે લઇ જવા માંગતા હોય તો તેઓ માટે ઉંમરનો કોઇ બાધ રહેશે નહીં, પરંતુ તેઓએ સારવારની કીટ સાથે રાખવાની રહેશે. પ્રત્યેક બસમાં એક ડોક્ટર અને એક કમ્પાઉન્ડર (જો તેઓ 60 વર્ષથી નીચેની વયના હોય તો પણ) સમાવી શકાશે, તેથી વધુ નહી.જો ખાનગી બસ મારફતે પ્રવાસ કરવામાં આવ્યો હોય તો, આવા પ્રવાસના પુરાવારૂપે બસના યાત્રીઓ સાથેનો એક ફોટોગ્રાફ જે તે બસનો નંબર સ્પષ્ટ દેખાય તે રીતે અચુક રજુ કરવાનો રહેશે, તથા જે યાત્રાધામમાં પ્રવાસે ગયા હોય તે યાત્રાધામમાંથી આ પ્રવાસ અંગેનું સહી - સિક્કા સાથેનું પ્રમાણપત્ર મેળવીને રજૂ કરવાનું રહેશે.શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ ૨૦૦૦ કિલોમીટરની મર્યાદામાં જ પ્રવાસ કરવાની રહેશે.પ્રવાસ માટેની બસની આગળ અને પાછળની બંને બાજુએ “ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગુજરાત સરકારના સહયોગથી” એ પ્રમાણે ૧૦૦ મીટર દૂરથી પંચાય એવા મોટા અક્ષરોમાં બેનર લગાવવાનું રહેશે.


 અરજીની પ્રક્રિયા


“શ્રવણ તીર્થદર્શન યોજના” માટે અરજી સાદા કાગળ પર અરજી સાથે આધારકાર્ડની "સ્વપ્રમાણિત નકલ" ફરજીયાત જોડી ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમની વિભાગીય કચેરીઓની 16 જિલ્લાઓ માંથી જે-તે જિલ્લાને મોકલવાની રહેશે. આ જિલ્લાઓમાં અમદાવાદ, નડીયાદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, ગોધરા, રાજકોટ, જામનગર, જુનાગઢ, ભાવનગર, અમરેલી, હિંમતનગર, મહેસાણા, પાલનપુર, ભુજ આમ આ ૧૬ વિભાગીય કચેરીઓ ખાતે આ યોજના અંગેની અરજી સ્વીકારવામાં આવશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પ્રત્યેક વિભાગીય કચેરીમાં એક એક્ઝીક્યુટીવની નિમણૂંક કરવામાં આવશે, જે એસ.ટી.ખાનગી બસ મારફતે પ્રવાસની અરજીઓ સ્વીકારશે અને તેને મંજૂરી આપશે. તાપી જિલ્લાના વરિષ્ટ નાગરિકો આ યોજના અંગે જાગૃત બને અને તેનો વધુમાં વધુ લાભ લે તે માટે નિવાસી અધિક કલેક્ટર દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application