Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બ્રિટનનાં વિદેશ મંત્રાલયમાં નાયબ વડા તરીકે શકીલ મુલાની નિમણૂક કરાઈ

  • September 08, 2024 

ઈંગ્લેન્ડ સરકારે ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધો સુધારવા અને વેપાર વધુ મજબૂત બનાવવા માટે બ્રિટનના વિદેશ મંત્રાલયમાં નાયબ વડા તરીકે શકીલ મુલાને નિમણૂક કરાયા છે. કોરોનાકાળ દરમિયાન બ્રિટિશ એશિયન સમુદાય તરફથી ભારત પાસેથી મદદ મેળવવામાં શકીલ મુલાને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સંસ્કાર અને સંસ્કૃતિના પ્રકાશમાં સેવામાર્ગ ઉપર ચાલી ભારત-યુકેના મજબૂત સંબંધો માટે તેમને અડગ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. શકીલ મુલાનનો જન્મ બર્મિંગહામમાં થયો હતો. જોકે તેમનું પૈતૃક ઘર દક્ષિણ ગુજરાતમાં બિલીમોરા નજીક ગણદેવી તાલુકાના અલિપોર ગામમાં છે. શકીલ મુલાનના માતા ચીખલી નજીકના અલિપોર ગામનાં મૂળવતની છે. તેમ જ શકીલ મુલાનના પત્ની બિલિમોરાનાં વતની છે.


પરદેશમાં ઉછેર થયો હોવા છતાં સ્વદેશની માટીથી દૂર નહીં રહી શકનારા શકીલ અવારનવાર ભારત આવે છે. વતનની મુલાકાત લેતા હોવાથી ભારતીય સંસ્કૃતિ સાથેના જોડાણને વધુ મજબૂત બનાવે છે. શકીલ મુલાન ગત વર્ષે ગણદેવીના તેમના ઘર અને વાડીની મુલાકાત લીધી હતી. બ્રિટિશ સરકારમાં તેઓ વિતેલા 17 વર્ષથી સરકારી ફરજ બજાવે છે. વર્ષ 2016થી 2020 દરમિયાન તેમણે ભારતની બ્રિટન એમ્બેસીમાં વિઝા વિભાગના સિનિયર ઓફિસર તરીકે કામ કર્યું હતું. ખાસ કરીને કોરોના દરમિયાન બ્રિટિશ એશિયન સમુદાય તરફથી ભારતની મદદ મેળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભારત બાદ બેજિંગમાં અને ત્યારબાદ લંડનમાં ફોરેન મિનિસ્ટ્રીમાં એન્ટી કરપ્શન વિભાગમાં ફરજ બજાવી હતી. તેમની ઉત્કૃષ્ટ કામગીરી જોઈ ઈંગ્લેન્ડ ગર્વન્મેન્ટે ભારત સાથે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા અને બંને દેશો વચ્ચે વેપાર વધારવા હવે તેમની ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેંટ આફિસમાં નાયબ વડા તરીકે નિમણૂક કરી છે.


તેઓ માને છે કે, ભારત અને યુકે વચ્ચેનો સારો સંબંધ બંને દેશોને માટે જરૂરી છે. બન્ને દેશોની સમૃદ્ધિ માટે દ્વિપક્ષીય વેપાર ખૂબ જ મહત્ત્વનો છે. યુકેને ભારતની એટલી જ જરૂર છે, જેટલી ભારતને યુકેની છે. વેપાર, રોકાણ અને શિક્ષણ એવા મુખ્ય ક્ષેત્રો છે, જ્યાં એકમેકને સહકારની જરૂર છે. વિઝા ક્ષેત્રમાં 7 વર્ષના અનુભવ હોય તેઓ ભાવિ પેઢીની સરળતા ઊભી કરવા માટે પ્રયત્નો હાથ ધરશે. જેથી યુકે-ભારત સંબંધોમાં વધતી જતી તકનો ફાયદો લેવા યુવાનોને સરળતા રહેશે. શકીલ મુલાનને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા ઈમિગ્રેશન સેવાઓને પ્રોત્સાહન આપવા માટે 'Certificate of Excellence' એનાયત કરવામાં આવ્યું છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર સમારંભ બ્રિટિશ સંસદમાં યોજાયો હતો.


જેમાં પ્રખ્યાત વ્યક્તિઓ જેમ કે સનાતન ધર્મ ભૂષણ શ્રી રાજ રાજેશ્વર ગુરુજી, બ્રિટિશ સાંસદ જોય મોરીસે, પાંચ વખત સાંસદ અને સિનિયર લેબર પાર્ટી લીડર વિરેન્દ્ર શર્મા અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સના પ્રમુખ સંતોષ શુક્લા સહિતના ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે 30 દેશોના 60 વ્યક્તિઓને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. શકીલ મુલાનનો જન્મ યુકેમાં થયો છે. ઉછેર બ્રિટનમાં હોવા છતાં તેઓ પોતાના મૂળ સાથે જોડાયેલા રહ્યાં છે. તેઓ ગુજરાતી અને હિન્દી ભાષા ઉપર પ્રશંસનીય પકડ ધરાવે છે. ભાષા એક શક્તિશાળી સાધન છે. ખાસ કરીને લોકો સાથે ઊંડા સ્તરે જોડાવા માટે તેનો ઉપયોગ ખૂબ મહત્ત્વનો હોવાનું તેઓ માને છે. તેઓ કહે છે કે, ગુજરાતી અને હિન્દી ભાષાની કસબથી પોતે ભારતીય મૂળના હોવા સાથે મજબૂત બન્યો છું. એટલું જ નહીં, સમગ્ર ભારતીય સમુદાય સાથેના જોડાણને વધારે મજબૂત બન્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News