ઉચ્છલનાં મૌલીપાડા ગામની વતની અને ધોરણ ૧૧માં ઉત્તર બુનિયાદી આશ્રમશાળા ભુવાસણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના શંકાસ્પદ આપઘાતના પ્રકરણમાં તટસ્થ તપાસ કરી પરિવારને ન્યાય મળે તેવા હેતુસર ઉચ્છલમાં આગેવાનો, ગ્રામજનો, સગાસ્નેહીઓ સહિત સમાજના લોકોએ જંગી સંખ્યામાં રેલી કાઢી મામલતદાર તેમજ પોલીસ વિભાગને રજૂઆત કરી હતી.
બનાવની વિગત એવી છે કે, ઉચ્છલ તાલુકામાં મૌલીપાડા તેમજ આસપાસનાં ગામો તેમજ તાલુકાનાં સમાજના આગેવાનો, લોકો સહિત મોટીસંખ્યામાં એકત્રિત થયેલ લોકોએ રેલી સ્વરૂપે તેમજ સુત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે, બારડોલી તાલુકાનાં ભુવાસણ ગામ ખાતે આવેલ ઉત્તર બુનિયાદી આશ્રમશાળા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ધોરણ ૧૧માં અભ્યાસ કરતી દિકરી રાધિકાબેન પ્રફુલભાઈ વસાવા ગત તારીખ ૨૩/૩/૨૫ નારોજ ભુવાસણ કન્યા છાત્રાલયમાં ગળે ફાંસો ખાઈ લીધાનો બનાવ રાત્રે બન્યો હતો છતાં શાળા સંચાલકો અને ટ્રસ્ટી મંડળે પરિવારને કોઈ જાણ કરી ન હતી.
તારીખ ૨૪ નારોજ સવારે ૬.૨૦ કલાકે પિતાને ફોન કરી આશ્રમ શાળામાં બોલાવીશાળા સંચાલકોએ તમારી દિકરીએ ગળે ફાંસો ખાઈ લીધો છે, એવું જણાવી ઘટના સ્થળે લઈ ગયા હતા. દિકરીનો પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના પંચકેશ કે કોઈ કાર્યવાહી વગર લાશ ઉતારી લેવામાં આવી તેમજ કોઈ પણ પ્રકારનો નમૂનો કે કોઈ વસ્તુ પોલીસે પંચોની સમક્ષ કબજે ન લેતા પોલીસની કામગીરી પણ શંકા ઉપજાવે તેવી રહી છે.
ગત તારીખ ૨૦/૩/૨૫ નારોજ ઘરેથી દિકરી રાજીખુશીથી હોસ્ટેલમાં ગઈ હતી અને પિતા જ મુકવા ગયા હતા, તો ૨ દિવસમાં હોસ્ટેલમાં એવું તો શું બન્યું કે તેણીએ આત્મહત્યા કરી લીધી તે તપાસ થવી જોઇએ. હોસ્ટેલમાં ગૃહમાતા છે કે કેમ તેમજ આવી ઘટના માટે જવાબદાર કોણ જેવા પ્રશ્નો કર્યા છે. ઘટનાની તપાસ સુરત ગ્રામ્ય વિસ્તારના એસ.સી., એસ.ટી. સેલના નાયબ પોલીસ અધિક્ષકને સોંપવામાં આવે તેમજ કસુરવારો સામે કડક કાર્યવાહી કરી પરિવારને ન્યાય આપવા તેમજ આર્થિક સહાય કરવામાં આવે તેવી સમસ્ત આદિવાસી સમાજની માંગણી હોવાનું જણાવ્યું છે. સમગ્ર ઘટના અંગે પોલીસ વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500