Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી જિલ્લામાં 4 લાખથી વધુ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોનાં મકાનો પર રાષ્ટ્રના ગૌરવ સમાન ત્રિરંગો તા.13 થી 15 ઓગસ્ટ દરમિયાન લહેરાશે

  • July 28, 2022 

સમગ્ર દેશમાં આઝાદીના ૭૫મા વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી તા.૧૩ થી ૧૫ મી ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં ‘‘હર ઘર ત્રિરંગા’’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે નવસારી જિલ્લામાં પણ હર ઘર ત્રિરંગા કાર્યક્રમના માધ્યમથી દેશનું ગૌરવ-દેશનું અભિમાન-ત્રિરંગો હર ઘરની શાન બને તે માટે જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવે જિલ્લાના નાગરિકોને પોતાના ઘર પર તા.૧૩ થી ૧૫ દરમિયાન રાષ્ટ્રધ્વજને લહેરાવીને રાષ્ટ્ર ભાવનાને વધુ પ્રબળ બનાવવાની અપીલ કરી છે.




જિલ્લામાં ‘‘હર ઘર ત્રિરંગા’’ કાર્યક્રમના સુચારૂં આયોજન અર્થે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લાના અમલીકરણ અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં કલેકટરએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાનાર ‘‘હર ઘર ત્રિરંગા’’કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, જન-જનમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના વધુ પ્રબળ બને તથા રાષ્ટ્રધ્વજ પ્રત્યે લોકોમાં સન્માનની ભાવના વધુ બળવત્તર થાય તે માટે આગામી તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ‘‘હર ઘર ત્રિરંગા’’ કાર્યક્રમ યોજાઈ રહયો છે.




કલેકટરે જિલ્લામાં યોજાનાર આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના મળી 4 લાખથી વધુ ઘર, મકાનો પર રાષ્ટ્રનાં આન-બાન-શાન સમાન ત્રિરંગો લહેરાય તે માટેનું આયોજન કરવામાં આવી રહયું હોવાનું જણાવી જિલ્લાના તમામ ઘરો સહિત, દુકાનો, ઉદ્યોગ, વેપારીઓ, વાણિજિયક સંસ્થાઓ, સરકારી અનેઅર્ધસરકારી કચેરીઓ, ખાનગી કચેરીઓ, આંગણવાડી, શાળાઓ, કોલેજો, સામાજિક-ધાર્મિક સંસ્થાઓ સહિત તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને નાગરિકોમાં અને ખાસ કરીને આજની યુવા પેઢી રાષ્ટ્રની આઝાદીની ચળવળથી વાકેફ થાય અને તેમનામાં વધુ દેશદાઝની ભાવના વધુ પ્રબળ બને તે માટેના કાર્યમાં સહયોગી બનવા અનુરોધ કર્યો હતો.




તેમણે ઉપસ્થિત સર્વેને આજની યુવા પેઢીમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવનાને ઝંકૃત કરવા માટે સેલ્ફી પોઇન્ટ બનાવવા સહિત જન-જનમાં હર ઘર ત્રિરંગાની જાગૃતિ આવે તે માટે પ્રભાતફેરી, શાળાઓમાં ચિત્ર, નિબંધ, વકતૃત્વ, રંગોળી જેવી હરિફાઇઓનું આયોજન કરવા ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર-પ્રસાર કરવા જેવી વિવિધ બાબતોને આવરી લેવા પ્રેરક સૂચન કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application