Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિલ્હીમાં નેશનલ હેરાલ્ડ હાઉસ, લખનઉમાં નેહરૂ ભવન અને મુંબઇમાં નેશનલ હેરાલ્ડ હાઉસને EDએ ટાંચમાં લીધી

  • November 22, 2023 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ કોંગ્રેસ પ્રમોટેડ નેશનલ હેરાલ્ડ ન્યૂઝ પેપર અને તેની સાથે સંકળાયેલ કંપનીઓ સામેની મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે 752 કરોડ રૂપિયાની સ્થિર મિલકતો અને શેરો ટાંચમાં લીધા છે. ઇડીએ એવા સમયે સંપત્તિ ટાંચમાં લીધી છે, જ્યારે પાંચ રાજ્યો છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી થઇ રહી છે અને તારીખ ૩ ડિસેમ્બરે મત ગણતરી છે. કોંગ્રેસે આ કાર્યવાહી અંગે જણાવ્યું છે કે,  બદલો લેવાના આશયથી આ કાર્યવાહી કરવામાં આવી છે. પાંચ રાજ્યોમાં હારી ગયા હોવાના ડરથી ભાજપ સરકાર ઇડી પાસે આ કાર્યવાહી કરાવી રહી છે. EDએ એક નિવેદન જારી કરી આરોપ મૂક્યો છે કે, આ કેસમાં શેરહોલ્ડરો અને કોંગ્રેસને દાન આપનારાઓ સાથે એજેએલ(એસોસિએટેડ જર્નલ લિમિટેડ) અને પક્ષે છેતરપિંડી કરી છે. ફેડરલ તપાસ એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ એસોસિએટેડ જર્નલ લિમિટેડ (એજેએલ) અને યંગ ઇન્ડિયન (વાયઆઇ) વિરુદ્ધ સંપત્તિ ટાંચમાં લેવા માટેનો પ્રોવિઝનલ ઓર્ડર જારી કર્યો હતો.



ઉલ્લેખનીય છે કે, નેશનલ હેરાલ્ડ ન્યૂઝ પેપર  એજેએલ અને યંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રકાશિત કરતા હતા. કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી યંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના પ્રમુખ શેરહોલ્ડરો છે. બંને પાસે કંપનીના 38-38 ટકા શેર છે. EDએ એક નિવેદનમાં જણાવ્યુ છે કે, પીએમએલએ હેઠળ તપાસ કરવામાં આવી રહેલા મની લોન્ડરિંગ કેસમાં 751.9 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લેવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. પીએમએલએ કાયદા મુજબ આ પ્રકારના આદેશ અંગે પીએમએલએની એડજ્યુ્રડિકેટ ઓથોરિટીની છ મહિનામાં મંજૂરી લેવી પડે છે અને ત્યારબાદ જ ED ટાંચમાં લીધેલ સંપત્તિઓને પોતાના કબ્જામાં લઇ શકે છે. ED દ્વારા ટાંચમાં લેવામાં આવેલી સંપત્તિમાં દિલ્હીમાં નેશનલ હેરાલ્ડ હાઉસ, લખનઉમાં નેહરૂ ભવન અને મુંબઇમાં નેશનલ હેરાલ્ડ હાઉસ સામેલ છે. એસોસિએટેડ જર્નલ લિમિટેડની 661.69 કરોડ રૂપિયા અને યંગ ઇન્ડિયનની ૯૦.21 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે.



નેશનલ હેરાલ્ડ ન્યૂઝ પેપરની સ્થાપના જવાહરલાલ નહેરૂએ વર્ષ 1938માં કરી હતી. આ અખબાર ત્રણ ભાષાઓ અંગ્રેજીમાં નેશનલ હેરાલ્ડ, હિંદીમાં નવજીવન અને ઉર્દુમાં કોમી આવાઝના નામથી પ્રકાશિત કરવામાં આવતું હતું. આ અખબાર પ્રકાશિત કરનાર કંપનીનું નામ એસોસિએટેડ જર્નલ લિમિટેડ (એજેએલ) રાખવામાં આવ્યું હતું. વર્ષ 1942માં અંગ્રેજોએ આ અખબાર પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જોકે ત્રણ વર્ષ પછી તેનું પ્રકાશન ફરીથી શરૂ થયું હતું. વર્ષ 2008માં આર્થિક કટોકટીને પગલે આ અખબારનું પ્રકાશન બંધ કરી દેવામાં આવ્યું હતું. વર્ષ 2016માં આ ત્રણેય અખબારોને ફરી શરૂ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતાં જે નિષ્ફળ નિવડયા હતાં.



દેવામાં ડૂબેલ એજેએલએ 2010માં જાહેરાત કરી હતી કે, તે દેવું ચૂકવી શકે તેવી સ્થિતિમાં નથી. એજેએલની આર્થિક કટોકટીને પગલે કોંગ્રેસે તેને કુલ 90 કરોડ રૂપિયા ઉછીના આપ્યા હતાં. જે રિપ્રેઝેન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ, 1950નો ભંગ છે. આ કાયદા મુજબ કોઇ રાજકીય પક્ષ કોઇને ઉધાર આપી શકે નહીં. ત્યારબાદ તારીખ 23 નવેમ્બર, 2010ના રોજ યંગ ઇન્ડિયન કંપનીનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું. જેના ડાયરેક્ટર તરીકે સુમન દુબે અને સામ પિત્રોડાની નિમણૂક કરવામાં આવી હતી. કંપની એક્ટની કલમ 25 અનુસાર આ કંપની નોન પ્રોફિટ કંપની હતી. તારીખ 13 ડિસેમ્બર, 2010ના રોજ રાહુલ ગાંધીને પણ આ કંપનીના ડાયરેક્ટર બનાવ્યા હતાં. ત્યારબાદ કોગ્રેસે એજેએલની તમામ લોન નવી કંપની યંગ ઇન્ડિયનમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News