Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્ર પોલીસ અલર્ટ : આજે યોજાશે મહત્વની બેઠક,શિવસૈનિકો રસ્તા પર ઉતરશે

  • June 25, 2022 

શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેના નેતૃત્વમાં લગભગ 50 વિધાયકોના બળવા બાદથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. શિવસેનાએ આ મુદ્દે આજે પોતાની કાર્યકારિણી બેઠક પણ બોલાવી છે.


આ બેઠક આજે બપોરે 1 વાગે મુંબઈના શિવસેના ભવનમાં થશે. સીએમ ઉદ્ધવ ઠાકરે વીડિયો કોન્ફરન્સિંગથી બેઠકમાં જોડાશે અને પાર્ટીના પદાધિકારીઓને હાલની સ્થિતથી માહિતગાર કરીને આગળની સલાહ માંગી શકે છે. છેલ્લા 6 દિવસથી મહારાષ્ટ્રમાં જે રાજકીય ભૂકંપ સર્જાયો છે તેવા માહોલમાં શિવસેનાની ભૂમિકા ખુબ મહત્વની છે. આવામાં ઉદ્ધવ ઠાકરે કયો નિર્ણય લે છે તેના પર બધાની નજર છે. ઉદ્ધવ ઠાકરે આ જ મામલે આજે એક મહત્વની બેઠક પણ બોલાવી છે.

બેઠકમાં પાર્ટીની કાર્યકારિણીના તમામ નેતા, ઉપનેતા, સંપર્ક અધિકારી, સાંસદો અને ધારાસભ્યો હાજર રહેશે. રાજકીય પરિસ્થિતિની સાથે સાથે શિવસેના અને મુખ્યમંત્રી પદના મહત્વના નિર્ણય વિશે પણ બેઠકમાં ચર્ચા થશે. જ્યારે ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરે આજે સાંજે 6.30 વાગે બિરલા માતોશ્રી સભાગૃહમાં યુવા શિવસૈનિકોને સંબોધન કરશે. રાજ્યમાં બદલાઈ રહેલા રાજકીય માહોલ વચ્ચે મહારાષ્ટ્ર પોલીસ અલર્ટ મોડ પર છે.

રાજ્યના ડીજીપીએ મહારાષ્ટ્રના તમામ પોલીસ સ્ટેશનોને હાઈ અલર્ટ પર રહેવાના આદેશ આપ્યા છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે શિવસૈનિક મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરીને હંગામો કરી શકે છે. આવામાં રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે. ડીજીપી તરફથી બહાર પાડવામાં આવેલ અલર્ટ મુજબ તમામ પોલીસકર્મીઓ અલર્ટ રહે અને પોત પોતાના વિસ્તારોમાં કોઈ પણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારી રાખે. મહારાષ્ટ્રના આ રાજકીય ઘટનાક્રમમાં એનસીપીની અકળામણ વધી રહી છે.


સરકાર બચાવવા માટે એનસીપી અધ્યક્ષ સતત બેઠકો યોજી રહ્યા છે. આજે પણ તેમણે પોતાના નિવાસ સ્થાને સિલ્વર ઓક પર પાર્ટીના કદાવર નેતાઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં શિવસેનાના 16 વિધાયકોના સસ્પેન્શન બાદની સ્થિતિ પર આગળની યોજના ઘડવામાં આવશે. આ બધા મામલે ભાજપ હાલ ચૂપચાપ છે અને દૂર રહીને તકની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગે છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ છેલ્લા 3 દિવસથી સતત પોતાના મોટા નેતાઓ અને વિધાયકો સાથે બેઠક કરી રહ્યા છે.


જો કે ભાજપે મહારાષ્ટ્રમાં  ચાલી રહેલા રાજકીય ઘમાસાણ પર નિવેદન બહાર પાડીને કહ્યું છે કે તેમને શિવસેનામાં આવેલા રાજકીય ભૂકંપ સાથે કોઈ લેવાદેવા નથી. આમ છતાં ભાજપ આ સ્થિતિ પર સતત વિચાર વિમર્શ કરી રહ્યું છે. જેમાં જો ડેપ્યુટી સ્પિકર 16 ધારાસભ્યોની સદસ્યતા રદ  કરે તો બળવાખોર ધારાસભ્યો સાથે તેઓ સત્તામાં કેવી રીતે આવી શકે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News