Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહુવા ખાતે મિલેટ્સ પાકોનું મહત્વ અંગે તાલુકા કક્ષાનો જાગૃતિ સેમિનાર અને કૃષિ મેળાને ખુલ્લો મુકતા ધારાસભ્ય

  • October 08, 2023 

યુનો દ્વારા વર્ષ-૨૦૨૩ને 'ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ' તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, સમગ્ર ભારતમાં ગુજરાતમાં ઓકટોબર મહિનામાં તાલુકાકક્ષાએ મિલેટ્સની ઉજવણી થઇ રહી છે. જેના ભાગરૂપે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સુરત જિલ્લામાં પ્રથમ મહુવા તાલુકા મથકે તાલુકા કક્ષાનો ‘મિલેટ્સ પાકોના ન્યુટ્રીશનલ વેલ્યુ જાગૃતિ અભિયાન તેમજ કૃષિ મેળો યોજાયો હતો. મહુવા તાલુકામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની ખેતપેદાશો વેચાણ સહ પ્રદર્શન માટે પણ યોજાયુ હતું. આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાએ જણાવ્યું કે, મિલેટ્સ એટલે કે બાજરી, જુવાર, જવ, રાગી જેવા ધાન્યો અનેક પોષકતત્વોથી ભરપૂર અને શક્તિદાયક છે, પાચનમાં પણ મદદરૂપ છે. મિલેટ્સના નિયમિત ભોજનથી બ્લડપ્રેશર, ડાયાબિટીસ, સ્ટ્રોક, આંતરડાના કેન્સર અને અન્ય ગંભીર બિમારીનું જોખમ ઘટી જાય છે.



જેથી મિલેટ્સ પાકોના વાવેતરની સાથે પૌષ્ટિક તત્વોથી ભરપુર એવા પાકોનું સેવન કરવાનો અનુરોધ કર્યો હતો. પારિવારિક ઝગડાઓનો ત્યાગ કરી ડ્રીપ ઇરિગેશન યોજના અપનાવીને ૨૪ કલાક વીજળીનો લાભ લેવા પણ તેમણે જણાવ્યું હતું. રાજયના ખેતી નિયામક એસ.જે. સોલંકીએ જણાવ્યું કે, શેરડી અને ડાંગર જેવા પાકોમાં રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગના કારણે જમીનની ફળદ્રુપતા ધટી છે જેથી ખેડૂતોએ પાણીનો વિવેકપુર્ણ ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતી કરવાનો અનુરોધ કર્યો હતો. જમીનનો ઓર્ગેનિક કાર્બન જેટલો વધશે તેટલી જમીનની ફળદ્રુપતા વધશે. શેરડીના પાકોમાં આંતરપાકો લઈને પુરક આવક મેળવવાની હિમાયત તેમણે કરી હતી.



આંતરરાષ્ટ્રીય મિલેટ્સ ઉજવણી અંતર્ગત ખેડુતોને 'શ્રી અન્ન' પાકોનુ વાવેતર કરવાનુ આહ્રવાન તેમણે કર્યુ હતું. સુરત વિભાગના સંયુક્ત ખેતી નિયામક(વિસ્તરણ) કે.વી.પટેલે જણાવ્યું હતું કે , સદીઓથી મિલેટ પાકો આપણા આહારનો અભિન્ન ભાગ રહ્યા છે. અગણિત સ્વાસ્થ્યવર્ધક લાભો ઉપરાંત મિલેટ ઓછાં પાણી અને ઓછા ઈનપુટની જરૂરિયાત સાથે જમીન સુધારણા અને પર્યાવરણ માટે પણ લાભકારક છે. મિલેટ વર્ષની ઉજવણીથી લોકોમાં મિલેટ્સ પ્રત્યે જાગૃતિ આવી રહી છે અને દૈનિક આહારમાં સ્થાન આપવાનો અનુરોધ કર્યો હતો. ખેતીવાડી વિભાગ દ્વારા ૭૦થી વધુ યોજનાઓના લાભો આપવામાં આવતા હોવાની વિગતો તેમણે આપી હતી.



સુરત જુવાર સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક ડો.બી.કે.દાવડાએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ જયારે આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે બાજરી, જુવાર, રાગી, બન્ટી-બાવટો, કોદરા, સામો જેવા આઠ પાકોનો મિલેટ્સમાં સમાવેશ થાય છે. આ મિલેટ્સ ધાન્ય પાકો પોષકતત્વોથી ભરપુર અને તંદુરસ્તીનો ખજાનો છે. જુવારના વિશેના ફાયદાઓ વિશે દાવડાએ જણાવ્યું કે, મોટાપા, કેન્સર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલને નિવારવામાં જુવાર ઉપયોગી છે. જુવારનો પાક કોઈપણ જમીનમાં કોઈ પણ પરિસ્થિતિમાં થતો પાક છે. ડાંગરના ચારામાં બે ટકા પોષક તત્વોની સામે જુવારના ચારામાં આઠ ટકા પોષકતત્વો રહેલા છે.



જેથી પશુઓની તંદુરસ્તીની સાથે દુધની ક્ષમતામાં વધારો થાય છે. જુવારની સુધારેલી જાતોનું વાવેતર કરીને વધુ આવક પણ મેળવી શકાય છે. મિલેટ્સ પાકોમાં પ્રાકૃતિક કૃષિનું મહત્વ અને તેનો વૈજ્ઞાનિક અભિગમ વિષે જાણકારી આપતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરતના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. જે.એચ. રાઠોડે શેરડીના પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેની વિસ્તૃત વિગતો આપી હતી. આ અવસરે જિલ્લા ખેતીવાડી અધિકારી સતિષ ગામીતે સ્વાગત પ્રવચન કી મિલેટ્સથી થતા ફાયદા અને તેના મહત્વની જાણકારી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application