Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આ વ્યારાની હોસ્પિટલ છે કે પછી લુંટારુઓનું હબ !! દર્દીઓ પાસેથી બિનઅધિકૃત રીતે પૈસાની ઉઘરાણી કરાઈ, ફરીયાદીએ કહ્યું, બેઈમાનો સામે કાર્યવાહી કરો

  • December 25, 2022 

વ્યારાના જનક સ્મારક હોસ્પિટલની અંદર સારવાર અર્થે આવનાર દર્દીઓ પાસે ફરજ પરના તબીબ દ્વારા બિનઅધિકૃત રીતે પૈસાની થતી ઉઘરાણી બાબતે હોસ્પિટલના મેનેજર ટ્રસ્ટી સહિત જિલ્લા કલેકટર,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, સહાયક ચેરીટી કમિશ્નરને જાગ્રત નાગરિક દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.




મળતી માહિતી મુજબ બે છોકરાઓને રમતા રમતાં કાનના ભાગે પેપરના નાનો ટુકડો (ભાગ) રહી ગયો હોય જેની તપાસ અર્થે જનક સ્મારક હોસ્પિટલ  ખાતે આવીને પ્રથમ કેસ બારી પર કેસ રજીસ્ટર કરાવ્યો હતો જેમાં (૧) તરૂણ ડી રાજપુરોહિત (ઉ.વ.૦૯)ની કેસ ફી રૂપિયા ૩૦૦/- નિયત ચાર્જ ચૂકવવામાં આવ્યા હતો તેમજ (૨) જાગૃત ડી રાજપુરોહિત (ઉ.વ.૧૦) જેની પણ કેસ ફી રૂપિયા ૩૦૦/- નિયત ચાર્જ એમ બંને બાળકોના મળી કુલ ફી રૂપિયા ૬૦૦/- ચુકવવામાં આવ્યા હતા. ત્યારબાદ કેસ બારી પરના કર્મચારી દ્વારા હોસ્પિટલના પ્રથમ મજલો રૂમ નંબર-૧૦૭ માં બતાવવા માટે જણાવેલ ત્યાં ફરજ પરના હાજર તબીબ સંજય ઘાર દ્વારા તરૂણ નામના બાળકના કાનની તપાસ કરતાં કાગળના ટુકડાનો ભાગ કાનના ઉપરની અંદર જણાય આવેલ જે નાની કાતરની મદદથી બે કાગળના ભાગ કાઢવામાં આવ્યાં હતા.




ત્યારબાદ જાગૃત નામના બાળકના કાનની તપાસ કરતાં તે સામાન્ય જણાય આવેલ જોકે ફરજ પરના હાજર તબીબ દ્વારા ૩૦૦/- રૂપિયા ની માંગણી કરવામાં આવતા તબીબ ને જણાવેલ કે કેસ બારી પર જરૂરી તપાસ ફી ભરેલ છે, ત્યારબાદ તબીબ દ્વારા જણાવેલ કે મારી તપાસ ફી કુલ રૂપિયા ૬૦૦/- કેસ પેપર પર લખી આપું તે કેસ બારી પર ભરી દેશો તેવું જણાવતા  રૂપિયા ૩૦૦/- તબીબની ફી ચૂકવી હતી.




વધુમાં ઉપરોક્ત હકીકત બાબતે કેસ બારી પર જાણ કરતા અને તબીબને ચૂકવવામાં આવેલ ૩૦૦/- રૂપિયા બાબતે પૈસા ચૂકવ્યાની પહોંચ માંગતા ત્યાંના કર્મચારી દ્વારા જણાવેલ કે પ્રાઇવેટ હૉસ્પિટલમાં ૫૦૦/- રૂપિયા ફી  થાય તેના કરતા અહીંયા ૩૦૦/- રૂપિયામાં પત્યું અને વધુમાં જણાવેલ કે તબીબ ને આવવા-જવાના વસુલાત કરતે ૧૫૦૦/- રૂપિયાનો  ખર્ચ થતો હોય કહી તેમને જવા માટેનું કહેવામાં આવ્યું હતું.




 ત્યારબાદ હોસ્પિટલની અંદર કંઇક ગેરરીતિ આચરતી હોય તેવું જણાતા તાત્કાલિક હોસ્પિટલના વ્યવસ્થાપક શાખામાં ફરજ બજાવતા કર્મચારી હિતેશભાઈ રાણાનો સંપર્ક કરીને તમામ ઘટનાની જાણકારી આપવામાં આવી હતી. તેઓ દ્વારા પણ જણાવવામાં આવેલ કે તબીબ બહારથી આવતા હોય હમણાં હું કંઈક કરી ના શકું પરંતુ તેઓ મહિનાના દર શુક્રવારે અહીંયા આવે છે ત્યારે આ ઘટના બની જ ગઈ છે ત્યારે હું તેઓ આવતા શુક્રવારે હોસ્પિટલ ખાતે આવે ત્યારે તમારી સમક્ષ હું તેઓની પાસે તમારી પાસે લેવામાં આવેલ ૩૦૦/- રૂપિયા કેસ બારી પાસે ભરાવીને તમોને ૩૦૦/-રૂપિયાની પહોંચ આપી દઈશ. 




આ સમગ્ર ઘટનાક્રમ દરમ્યાન આ પૈસાની ગેરરીતિ આચરનાર  ડોક્ટર પણ હોસ્પિટલમાં હાજર જ હતા સાથે સાથે હોસ્પિટલના ટ્રસ્ટી,સંચાલકો પણ ઓફિસની અંદર જ હાજર હોય જવાબદાર કર્મચારી દ્વારા કોઈ જ પ્રકારની ઘટનાની ગંભીરતાને સમજવા કોઈ તૈયાર નહોતું. જનક સ્મારક હોસ્પિટલની  અંદર વ્યાપક પ્રમાણમાં સારવાર માટે આવતાં દર્દીઓ પાસેથી આ રીતે ગેરકાયદેસર રીતે નાણાંની ઉંચાપત કરવામાં આવી રહી છે અને વધુમાં આ બાબતે વ્યવસ્થાપક મંડળ પણ અવગત હોય અને આ કૌભાંડમાં તેમની પણ ભાગીદારી હોય તેવું જણાઇ રહ્યું છે.



તાપી જિલ્લો આદિવાસી  વસ્તી ધરાવતો હોય સરકાર પાસે આદિવાસીઓના નામ પર ભંડોળ (ગ્રાન્ટ) મેળવીને પણ આદિવાસી સમાજની પ્રજાને આ રીતે છેતરવામાં આવી રહી છે અને તેઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે.એક શિક્ષિત વ્યક્તિ પાસેથી જો આવી ગેરરીતિ આચરીને  ગેરકાયદેસર રીતે પૈસા પડાવી લેતા હોય તો આદિવાસી સમાજના અશિક્ષિત,પછાત અને ભોળી પ્રજા પાસે આજાદિન સુધી કેટલાં રૂપિયાની ઉંઘરાણી કરી લીધી હશે ? જેવા આક્ષેપો ફરીયાદી દ્વારા કરવામાં આવ્યા છે. જોકે હવે તંત્રના પ્રમાણિક અધિકારીઓની તપાસમાં જ હકીકત બહાર આવી શકે તેમ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application