દેશમાં શનિવારે ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં રૂપિયા 50નો વધારો કરતાં જનતામાં ભારે હોબાળો મચી ગયો છે. યુપીએ સરકારમાં એલપીજી સિલિન્ડર પર મળતી સબસિડી હવે શૂન્ય થઈ ગઈ છે. પરિણામે છેલ્લા 8 વર્ષમાં સબસિડીવાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં અંદાજે રૂપિયા 585નો વધારો થયો છે. જયારે દિલ્હીમાં સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમત રૂપિયા 414 હતી અને સરકારી ઓઈલ કંપનીઓને પ્રત્યેક સિલિન્ડર પર રૂપિયા 827ની સબસિડી અપાતી હતી.
આજે એલપીજીના સિલિન્ડરનો ભાવ 1 હજારને પાર થઈ ગયો છે, પરંતુ સબસિડી ઘટીને શૂન્ય થઈ ગઈ છે. સરકારે ઘરેલુ રાંધણ ગેસ પર સબસિડી આપવાનું બંધ કર્યું હોવાની સત્તાવાર જાહેરાત નથી કરી. પરંતુ એક સમયે પ્રત્યેક સિલિન્ડર પર સીધા જ લોકોના બેન્ક ખાતામાં જમા થતી સબસિડી જમા થવાનું બંધ થઈ ગયું છે. પરિણામે કેન્દ્ર સરકારે છેલ્લા 8 વર્ષમાં સબસિડીવાળા સિલિન્ડરના ભાવમાં અંદાજે રૂપિયા 585નો વધારો કર્યો છે.
જોકે પેટ્રોલ, ડીઝલ સહિતની પેટ્રોલિયમ પેદાશો પરના નિયંત્રણો દૂર કરાયા પછી સરકાર એક વર્ષમાં 12 એલપીજી સિલન્ડર પર સબસિડી આપતી હતી અને તેનાથી વધુ સિલિન્ડરના વપરાશ પર ગ્રાહકે બજાર કિંમત ચૂકવવી પડતી હતી. મોદી સરકારના સમયમાં એલપીજી સિલિન્ડર પરની સબસિડી સીધી જ ગ્રાહકોના બેન્ક ખાતામાં જમા થતી હતી.
પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી સરકારે એલપીજી સિલિન્ડર પરની સબસિડી ગ્રાહકોના બેન્ક ખાતામાં જમા કરાવવાનું બંધ કરી દીધું છે. પરિણામે ઉજ્જવલા યોજના હેઠળ મફત ગેસ કનેક્શન મેળવનારા ગરીબો સહિત સામાન્ય ગ્રાહકોએ સબસિડીવાળા અને સબસિડી વગરના પ્રત્યેક સિલિન્ડર પર બજાર કિંમત ચૂકવવી પડે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500