ખેડા જિલ્લામાં વડાલા ગામમાં પાણીનો હોજ ફાટતાં નજીકમાં રમી રહેલી ત્રણ બાળકી પર કાટમાળ પડ્યો હતો. જેમાં એક જ પરિવારની ત્રણ બાળકીના મોત નિપજ્યાં હતાં. ઘટના અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ખેડાના વડાલા ગામના ખેતરમાં પાણીના બોરનો હોજ ધડાકાભેર ફાટ્યો હતો. આ હોજ ફાટતા તોતિંગ દિવાલના કાટમાળ નીચે ત્રણ બાળકી દટાઇ જતાં કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
વડાલા ગામના એક જ પરિવારની ત્રણ બાળક હોજ નજીક રમી રહી હતી. તે દરમિયાન આ દૂર્ઘટના સર્જાઇ હતી. ખેડા તાલુકાના વડાલા ગામના દરબાર ફળિયામાં સુર્યજીતસિહ ધનવંતસિહ પરમાર રહે છે. તેમના પિતા ધનવંતસિહનુ ખેતર આ ગામની સીમમાં આવેલું છે. જોકે આ સુર્યજીતસિંહના પરિવારો પોતાના સંતાનો સાથે અહીંયા પોતાના ખેતરમાં આવ્યા હતા. સુર્યજીતસિંહની પુત્રી પરમેશ્વરીબા (ઉ.વ.7), ભત્રીજી મહેશ્વરીબા (ઉ.વ.9) અને આરાધ્યાબા (ઉ.વ.4) આ તમામ આ ખેતરમાં આવેલા બોરના હોજ પાસે રમતા હતા.
તે દરમિયાન અચાનક જ પાણી ભરેલા હોજની દીવાલ તૂટી હતી. આથી નજીકમાં રમી રહેલી ઉપરોક્ત ત્રણેય બાળકીઓ પાણી સાથે દીવાલના કાટમાળ નીચે દબાઈ હતી. જેના કારણે શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ત્રણેય બાળકીઓનાં કરૂણ મોત નિપજયા હતા. ઘટના મામલે સુર્યજીતસિંહ ધનવંતસિહ પરમારે ખેડા ટાઉન પોલીસને જાણ કરતા પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જયારે આ ત્રણેય બાળકીઓ એક જ પરિવારની હોવાથી પરિવારમાં માતમ છવાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500