Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોલીસ ખોટી રીતે હેરાન કરે તો હવે હેલ્પ લાઈન નંબર 14449 શરૂ થઈ ગયો

  • March 01, 2024 

અમદાવાદમાં ઓગણજ પાસે પોલીસે એરપોર્ટથી ઘરે ફરી રહેલા દંપતી પાસેથી કરેલા તોડકાંડના કેસમાં ગુજરાત હાઇ કોર્ટે ગંભીર નોંધ લતા સુઓમોટો સંજ્ઞાન લીધો હતો, જેની સુનાવણી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માયીની બેંચ સામે ચાલી રહી હતી. આ કેસમાં આજે હાઇ કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. ગત સુનાવણીમાં પોલીસ સામે ફરિયાદ કરવા માટે સરકારે કોર્ટને 14449 નંબર સરકારે બતાવ્યો હતો, જે હવે ચાલૂ થઈ ચૂક્યો છે. પોલીસ સામે ફરિયાદ કરતા જ સીધો DG કંટ્રોલરૂમમાં ફોન જશે.


સરકારે આ નંબરની જાહેરાત કોર્ટ, પોલીસ સ્ટેશન, રેલવે સ્ટેશન, એરપોર્ટ, મોટા ચાર રસ્તાઓ વગેરે જગ્યાએ કરી છે. પોલીસ અને TRBની ખોટી હેરાનગતિ સામે 14449 નંબર ડાયલ કરતા જ ફોન સીધો DG ઓફિસમાં બનેલા કંટ્રોલરૂમમાં પહોંચી જશે, ત્યાંથી સંબંધિત શહેરના પોલીસ કમિશનર કે જિલ્લાના SPને E-mailના માધ્યમથી ફરિયાદ મોકલવામાં આવશે. આ નંબરની જાહેરાત રેડિયો અને ટી.વી. પર પણ કરવામાં આવશે.


તોડ કરનારા આરોપીઓ સામે કાર્યવાહીની વાત કરીએ તો તેમની વિરુદ્ધ ચાર્જશીટ નોંધાઇ ચૂકી છે અને શિસ્ત સંબંધી પગલાં લેવામાં આવ્યા છે. સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ નંબર આગામી દિવસમાં ચાલૂ કરવામાં આવશે. ત્યારબાદ જન જાગૃતિ માટે તેની જૂદા જૂદા માઘ્યમોથી જાહેરાત કરાશે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને આ નંબર આપવામાં આવ્યો છે. આ હેલ્પલાઈન 24×7 કાર્યરત રહેશે. રાજ્યમાં ભ્રષ્ટાચાર નિવારણ માટે એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)ની હેલ્પલાઈન 1064 અને મહિલાઓની મદદ માટે વુમન હેલ્પલાઈન 1091 પણ પ્રસિદ્વ છે. એવી જ રીતે પોલીસ સામે ફરિયાદ નોંધાવવા આ હેલ્પલાઈન નંબર પણ પ્રસિદ્વ થશે.


કોર્ટ મિત્ર દ્વારા એ સિવાય કેટલાક મહત્ત્વના ઈમર્જન્સી નેશનલ હેલ્પલાઈન નંબરની પણ જાહેરાત કરવા માગ કરવામાં આવી હતી. એ મામલે રાજ્ય સરકારે હકારાત્મક પ્રતિક્રિયા આપી હતી. હવે સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ, ગુજરાતમાં પોલીસ સામે ફરિયાદ કરવા અલગ હેલ્પલાઈન બની ચૂકી છે. કોર્ટે અગાઉ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ, પોલીસ સામે ફરિયાદ માટે રાજ્ય અને જિલ્લા સ્તરે સેલની રચના થવી જોઈએ. લોકો શું ફરિયાદ કરવા સરકારી ઓફિસોની બહાર ઊભા રહેશે? કોણ તેમને પ્રવેશ આપશે? કલેક્ટર અને કમિશનર તો ભગવાનની જેમ વર્તે છે. તેમનું રાજા હોય તેવું વર્તન હોય છે. સરકારી ઓફિસોમાં કોને સરળતાથી પ્રવેશ કરવા દેવાય છે? કોર્ટ બધું જાણે છે.


કોર્ટ પાસે વધારે બોલાવશો નહીં. કોર્ટે આગળ જણાવ્યું હતું કે, સામાન્ય માણસ સાથે પોલીસ સ્ટેશન, કમિશનર ઓફિસ અને કલેક્ટર ઓફિસોમાં કેવું વર્તન થાય છે એ કોર્ટ જાણે છે. અમને ગ્રાઉન્ડ લેવલની હકીકત ખબર છે. અમને પોતાને અનુભવ છે, સરકાર લોકોને એટલું જણાવે કે પોલીસ અત્યાચાર સામે ક્યાં, કોને અને ક્યારે ફરિયાદ કરવી. હેલ્પલાઈન સ્પષ્ટ રીતે દર્શાવો કે પહેલી વખત જોનાર લોકોને ખબર પડી જાય કે તે શા માટે છે. ફરિયાદ સેલના નંબર આપો અને લોકો સ્પષ્ટ સમજે તેમ લખો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application