Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

TET-1 અને TAT-2 પાસ ઉમેદવારો માટે ખુશીના સમાચાર : રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતીને લઇને સરકાર હરકતમાં આવી

  • July 03, 2024 

TET-1 અને TAT-2 પાસ ઉમેદવારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતીને લઇને સરકાર હરકતમાં આવી છે. આ મુદ્દે આજે કેબિનેટની બેઠક મળી હતી, જેમાં રાજ્યમાં 24,700 ખાલી જગ્યાઓ પર કાયમી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતીને લઇને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. તાજેતરમાં જ ઉમેદવારો દ્વારા આંદોલન કરાયું હતું, ત્યારબાદ સરકારી ઉંઘ ઊડી હોય એવું લાગી રહ્યું છે. આ પહેલાં ગત મહિને ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો.


આ માટે રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે. TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3,500 TAT-Secondary પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ઘોરણ-11 અને ઘોરણ-12માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ-ઇન–એડ શાળામાં 3,250 એમ મળીને TAT-Higher Secondary ના કુલ 4,000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે.


ગુજરાતમાં ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારની ભરતી કરવાની જગ્યાએ સરકારે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો નિર્ણય કરતાં રાજ્યમાં 3.83 ઉમેદવારો બેકાર બેઠાં છે. રાજ્યમાં શિક્ષકોની ભરતી કરવાની માગણી સાથે તેઓ એકાંતરે આંદોલન કરી રહ્યાં હોવા છતાં સરકાર તેમની માગણીઓને સ્વિકારી રહી ન હતી. આ ઉમેદવારોની ભરતી નહીં થતાં તેમની વયમર્યાદાનો પ્રશ્ન ઉભો થયો રહ્યો છે. રાજ્ય વિધાનસભામાં શિક્ષણ મંત્રીએ કબૂલ કર્યું હતું કે TET-1 પાસ 39395 એને TET-2 પાસ 235956 ઉમેદવારો છે. તે ઉપરાંત માધ્યમિકમાં TAT 75328, માધ્યમિક દ્વિસ્તરીય ટાટ 28307 અને ઉચ્ચતર માધ્યમિક દ્વિસ્તરીય 15253 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે.


આમ કુલ 3.83 લાખથી વધુ ઉમેદવારોએ શિક્ષક બનવા યોગ્ય પરીક્ષાઓ પસાર કરી છે. આ સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કેટલા ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે તેવા પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે 2022માં ટેટ-1 પાસ થયેલા 2300 અને ટેટ-2 પાસ થયેલા 3378 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે, જ્યારે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિકમાં કોઈ ભરતી થયેલી નથી. એવી જ રીતે 2023માં પણ એકપણ ઉમેદવારની સરકારી કે ગ્રાન્ડેટ પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં ભરતી થઈ નથી.


અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની જગ્યાએ શિક્ષણ વિભાગે માધ્યમિક વિભાગમાં 5985 જગ્યાઓ ભરવા માટે 4138 ઉમેદવારોને જ્ઞાન સહાયકની નિમણૂક આપી છે. જ્ઞાન સહાયકમાં માસિક વેતનના પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું હતું કે, માધ્યમિકમાં જ્ઞાન સહાયકને પ્રતિ માસ મહિને 24000 રૂપિયાનું મહેનતાણું આપવામાં આવે છે. શિક્ષણ વિભાગે આ નિમણૂકો નવેમ્બર 2023માં આપી હતી અને તેમને વેતન ચૂકવી દેવામાં આવ્યું છે. માસિક વેતન સમયસર મળતું નહીં હોવાનો આક્ષેપ સરકારે ફગાવી દીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application