Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દક્ષિણ ગુજરાત વીજ કંપનીનાં સેન્ટ્રલાઈઝ પ્રોસેસીંગ સેન્ટરનું લોકાર્પણ કરતા નાંણા અને ઉર્જામંત્રી

  • August 11, 2023 

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના ઉપક્રમે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ગ્રાહકોને નવા વીજ જોડાણ, નામોમાં ફેરફાર સહિતની સેવાઓ ઘર બેઠા આંગળીના ટેરવે મળી રહે તેવા આશયથી નાણા અને ઉર્જા વિભાગના મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારીમંત્રી કનુભાઈ દેસાઈએ સેન્ટ્રલાઈઝ પ્રોસેસીંગ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. આ સેન્ટર શરૂ થવાથી દક્ષિણ ગુજરાત વીજ કંપનીના તમામ વીજ ગ્રાહકો રહેણાંક, વાણિજ્યિક અને ઔદ્યોગિક સહિતના તમામ કેટેગરીના નવા વીજ જોડાણ,વીજભારમાં ફેરફાર, નામમાં ફેરફાર, વીજ શ્રેણીમાં ફેરફાર, કામચલાઉ વીજ જોડાણ, ઈન્ફ્રાસ્ટ્રકચર આધારિત જોડાણોની અરજીઓ ઓનલાઈન કરી શકશે.



વીર નર્મદ દ.ગુજરાત યુનિ.ના કન્વેશન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉર્જા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વીજ ગ્રાહકોને ગુણવત્તાયુકત અને સાતત્યપુર્ણ વીજ પુરવઠો મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. હવે દક્ષિણ ગુજરાતના વીજ ગ્રાહકો ઘરે બેઠા કોઈ પણ પ્રકારની અરજીઓ ઓનલાઈન કરી શકશે. આ સેન્ટર શરૂ થવાથી તમામ પ્રકારની સેવાઓ ઓનલાઈન થશે જેનાથી નાગરિકોના સમય અને નાણાની બચત થશે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રથમવાર જયોતિગ્રામ યોજના શરૂ કરીને ૨૪ કલાક વીજળી પુરી પાડવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. પ્રથમવાર સોલાર પોલિસી પણ ગુજરાતે બનાવી હતી. સમગ્ર ભારતમાં ૯૩૦૦ મેગાવોટ સોલાર પાવર જનરેટ કરીને ગુજરાત બીજા ક્રમે રહ્યું છે તેવી રીતે વિન્ડ ફાર્મથકી ૧૧ હજાર મેગાવોટ સાથે પ્રથમ સ્થાને જયારે ચાર લાખ ઘરો પર સોલાર રૂફટોપ પેનલ લગાવી સમગ્ર દેશના ૮૩ ટકાનો ફાળો ગુજરાત ધરાવે છે.



આ સેન્ટર કાર્યરત થવાથી બિનજરૂરી સમય વેડફયા વિના ગ્રાહકોને ઝડપી સેવાઓ મળી રહેશે. ભારત સરકાર દ્વારા વીજક્ષેત્રના દ્વિતીય ચરણમાં આર.ડી.ડી.એસ. યોજના હેઠળ રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા વીજ વિતરણનું આધુનિકીકરણ કરવાના ભાગરૂપે સ્માર્ટ મીટર આવશે. દરિયા કિનારાના ૨૫ કિ.મી.ના વિસ્તારમાં દરિયાઈ ખાંરાશને કારણે વીજલાઈનો અંન્ડરગ્રાઉન્ડ કરવામાં આવનાર હોવાની વિગતો મંત્રીશ્રીએ આપી હતી. આ પ્રસંગે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ.ના એમ.ડી.શ્રી જયપ્રકાશ શિવહરેએ જણાવ્યું હતું કે, માત્ર ૧૬ દિવસમાં તમામ કામગીરી સેન્ટ્રલાઈઝ કરીને સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ડોકયુમેન્ટ વેરીફિકેશનમાં જતો સમય બચવાથી ઝડપી કામગીરી થશે. ભારત સરકારની વીજક્ષેત્રના દ્વિતીય ચરણમાં ત્રણ લાખ કરોડની આર.ડી.ડી.એસ. યોજના હેઠળ ગુજરાતમાં ૨૦,૦૦૦ કરોડના ખર્ચે અંન્ડરગ્રાઉન્ડ કેબલ કરવા, સ્માર્ટ મીટર અને ડેવલપમેન્ટના કાર્યો કરવામાં આવશે. હાલમાં ત્રણ મહિનાથી વધુની ખેતીવાડીના વીજ કનેકશનોની અરજીઓ પેન્ડિંગ ન હોવાનું જણાવ્યું હતું.



તાજેતરમાં આવેલા વાવાઝોડામાં વીજકંપનીઓના આગોતરા આયોજનના ભાગરૂપે તમામ સાધન સામગ્રી ટ્રકમાં લોડ કરવામાં આવી હતી જેના કારણે ૭૨ કલાકમાં વીજળીનો પુરવઠો પૂર્વરત કરાયો હતો. આ અવસરે દ.ગુજરાત વીજ કંપનીના એમ.ડી.શ્રી યોગેશ ચૌધરીએ જણાવ્યું કે, જયારે અન્ય રાજયના ગામડાઓમાં વીજળી પહોંચાડવાની કામગીરી થઈ રહી હતી ત્યારે ગુજરાતમાં જયોતિગ્રામ યોજના હેઠળ ૨૪ કલાક વીજળી શરૂ કરવામાં આવી હતી. ગ્રાહકોને કેન્દ્રમાં રાખીને તમામ સેવાઓ ઝડપી બને તે દિશામાં કાર્ય થઈ રહ્યું છે.નોંધનીય છે કે, અરજદાર દ્વારા http://portal.guvnl.in/login.php વેબસાઈટ પર જઈ અરજદારે લાગુ પડતી વીજ કંપની પસંદ કરી પોતાનું લોગીન રજીસ્ટર કરવું અને ત્યારબાદ લોગીન કરવાનું રહેશે. વધુ માર્ગદર્શન માટે ટોલ ફ્રી નંબર ૧૯૧૨૩ દ્વારા મળી રહેશે. દક્ષિણ ગુજરાત વીજ કંપની સાત જિલ્લાઓ, ૪૩ તાલુકાઓ, ૩૪૫૯ ગામો, ૨૩ નગરો સહિત ૩૫.૬૮ લાખ વીજ ગ્રાહકોની સંખ્યા ધરાવે છે. દરરોજ ૭૨ મીલીયન યુનીટ વિજળીની જરૂરીયાત રહે છે.




ઓનલાઈન રજીસ્ટ્રેશન અને અરજી કરવાની પ્રક્રિયાની વિગત....


અરજદાર દ્વારા http://portal.guvnl.in/login.php વેબસાઈટ પર જઈ અરજદારે લાગુ પડતી વીજ કંપની પસંદ કરી પોતાનું લોગીન રજીસ્ટર કરવું અને ત્યારબાદ લોગીન થવું.


અરજદાર ઘ્વારા લોગીન કર્યાબાદ નવા વીજજોડાણ માટે અરજી કરવી. ત્યારબાદ અરજદારે જે પ્રકારની અરજી કરવી હોય તે પ્રકાર પસંદ કરવો.


અરજદારે પ્રથમ પ્રોસેસમાં સ્ક્રીન પર આવેલ અરજીપત્રકમાં દર્શાવેલ વિગતો ભરવી.


અરજીપત્રક ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અરજદારના રજીસ્ટર્ડ મોબાઈલ ૫૨ ઓટીપી આવશે જે નાખ્યા બાદ અરજદારે દ્વિતીય પ્રોસેસમાં લોડપત્રકમાં જરૂરિયાત મુજબના લોડની વિગત ભરવી.


અરજદારે તૃતીય પ્રોસેસમાં જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા અને સબમીટ બટન પર કલીક કરવું.


ઉપરોકત પ્રક્રિયા પૂર્ણ કર્યાબાદ અરજીપત્રક જનરેટ થશે અને અરજદારને અંદાજપત્રક દેખાશે.


સદર અંદાજપત્રકમાં દર્શાવેલ રજીસ્ટ્રેશન, અંદાજપત્રક અને ટેસ્ટ રીપોર્ટની ૨કમ ઓનલાઈન ભરપાઈ કરી શકશે.


અંદાજપત્રકની ૨કમ ભરપાઈ થયા બાદ અરજદારનો અરજી નંબર જનરેટ થશે અને અરજદાર પોતાનો એ−૧ ફોર્મની વિગતો જોઈ શકશે તેમજ ડાઉનલોડ કરી શકશે.


અરજદારે ચર્તુથ પ્રોસેસમાં કમ્પ્લીટ બટન દબાવી સદર પ્રોસેસ સંપૂર્ણ કરવી એમ કરવાથી અરજી નંબર જનરેટ થશે.


અરજદારે અરજી સમયે જ રજીસ્ટ્રેશન, અંદાજપત્રક અને ટેસ્ટ રીપોર્ટની રકમ ભરવાની રહેશે.


અરજદારે પોતાના ટેસ્ટ રીપોર્ટ પોર્ટલમાંથી ડાઉનલોડ કરી, તેમાં વિગતો ભરી અપલોડ કરવાની વ્યવસ્થા આપેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application