Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટમાં કેજરીવાલની અરજી પર સુનાવણી દરમિયાન ઈડીએ દાવો કર્યો

  • April 19, 2024 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દારૂ નીતિ કૌભાંડ મામલે જેલમાં બંધ છે. આ બધા વચ્ચે દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટમાં કેજરીવાલની અરજી પર સુનાવણી દરમિયાન ઈડીએ દાવો કર્યો કે તે મેડિકલ આધાર પર જામીન લેવા માટે જાણી જોઈને ગળ્યું ખાય છે જેથી કરીને તેમનું શુગર લેવલ વધેલું રહે અને તેમને મેડિકલના આધાર પર જામીન મળી જાય. કોર્ટ સમક્ષ ઈડીએ કહ્યું કે કેજરીવાલને ટાઈપ 2 ડાયાબિટિસ છે પરંતુ તે જેલમાં બટાકાનું શાક અને પુરી, કેરી અને ગળી વસ્તુઓ ખાય છે. તેઓ આમ જાણી જોઈને કરે છે. આ એક પ્રકારે મેડિકલના આધાર પર જામીન લેવાની રીત છે. ઈડીએ કહ્યું કે કોર્ટે તેમને ઘરનું ભોજન કરવાની મંજૂરી આપી છે. જેલ ડીજીએ અમને કેજરીવાલનો ડાયેટ મોકલ્યો છે. તેમને બીપીની સમસ્યા છે.


પરંતુ જુઓ તેઓ શું ખાય છે. બટાકાનું શાક અને પુરી, કેળા, કેરી, અને હદ કરતા વધુ ગળી વસ્તુઓ. ઈડીએ કહ્યું કે અમે ક્યારેય એવું સાંભળ્યું નથી કે ટાઈપ 2 ડાયાબિટિસ સામે ઝઝૂમી રહેલ વ્યક્તિ આ પ્રકારની ચીજો ખાતા હોય. પરંતુ તેઓ રોજ બટાકાનું શાક અને પુરી, કેરી અને ગળી વસ્તુઓ ખાય છે. આ બધુ એટલા માટે કરે છે કારણ કે તેમને જામીન મળી જાય. જેના પર કોર્ટે કેજરીવાલના વકીલને કહ્યું કે અમે જેલ પાસે આ અંગે રિપોર્ટ માંગીશું અને તમે અમને તેમનો પૂરેપૂરો ડાયેટ પ્લાન આપો. જેના પર હવે કાલે સુનાવણી થશે. આ મામલે હવે શુક્રવારે સુનાવણી થવાની છે.


ઈડીના આ દાવા પર કેજરીવાલના વકીલોએ કહ્યું કે ઈડી મીડિયા માટે આવા નિવેદનો આપે છે. શું ડાયાબિટીસ સામે ઝઝૂમી રહેલ વ્યક્તિને આ પ્રકારનું ભોજન આપી શકાય? અત્રે જણાવવાનું કે અરવિંદ કેજરીવાલ ડાયાબિટીસના દર્દી છે અને આવામાં તેમના વકીલોએ રાઉજ એવન્યૂ કોર્ટમાં અગાઉ અરજી કરીને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કેજરીવાલને ડોક્ટરથી નિયમિત કન્સલ્ટેશન આપવાની માંગણી કરી હતી. પરંતુ હવે તેમના વકીલોએ આ અરજી પાછી ખેંચી લીધી છે. આ અરજીના વિરોધમાં ઈડીએ કોર્ટ સમક્ષ આ વાતો રજૂ કરી હતી.


દિલ્હીના કથિત દારૂ નીતિ કૌભાંડ કેસમાં ઈડીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 21 માર્ચના રોજ ધરપકડ કરી હતી. આ અગાઉ ઈડીએ તેમને કેસમાં પૂછપરછ માટે 9 સમન્સ પાઠવ્યા હતા. જો કે કેજરીવાલ કોઈ પણ સમન પર હાજર થયા નહતા. ધરપકડ બાદ લગભગ 10 દિવસ સુધી કેજરીવાલ ઈડીની કસ્ટડીમાં રહ્યા હતા. ત્યારબાદ એક એપ્રિલના રોજ તેમને કોર્ટે 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા. ત્યારબાદ 15 એપ્રિલના રોજ કોર્ટે ફરીથી તેમને 23 એપ્રિલ સુધી કસ્ટડીમાં મોકલી દીધા. હાલ અરવિંદ કેજરીવાલ 23 એપ્રિલ સુધી તિહાડ  જેલમાં જ રહેશે. ધરપકડને પડકારનારી તેમની અરજી પર સુપ્રીમ કોર્ટમાં 29મી એપ્રિલે સુનાવણી હાથ ધરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application