Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્યપર્વની ઉજવણી

  • August 16, 2020 

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે જિલ્લા કક્ષાના ૭૩ માં સ્‍વાતંત્ર્ય પર્વ નિમિત્તે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપ્‍યા બાદ ભરૂચ હોટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સહકાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અવસરે ભારતની આઝાદી માટે અવિરત સંઘર્ષ કરી નામી-અનામી અનેક વિરલાઓએ પોતાની જિંદગી આઝાદીની લડતમાં હોમીને આપણને મહામૂલી આઝાદી અપાવી છે. ભારતના તિરંગાની આન-બાન-શાન માટે વંદેમાતરમનો મંત્ર ગુંજતા-ગુંજવતા જીવન હોમી દીધા છે. એમના બલિદાનને આપણે એળે જવા દેવાનું નથી તેમ જણાવી સ્વાતંત્ર્યવીરોને શ્રધ્ધાંજલિ અર્પી ભરૂચ જિલ્લાના નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

        મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલની સંવેદનશીલ સરકારે જનસેવાના અનેક જનહિતલક્ષી નિર્ણયો લઈને પડઘો પાડ્યો છે. તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ હાથમાં શાસનધૂરા સંભાળતા જ ભારતની આગવી ઓળખ અને વિશિષ્ટ સ્થાન વિશ્વભરમાં ઉભુ કર્યું છે. સીતેર વર્ષથી ચાલતી સમસ્યા એવા જમ્મુ કાશ્મીરની ૩૭૦ મી કલમને હિંમતભેર દુર કરી તો છેલ્લા ૫૦૦ વર્ષથી ચાલ્યા આવતા રામ જન્મભૂમિ મંદિરનો ઉકેલ પણ ન્યાયાલયના આદેશ અનુસાર ઉકેલીને તાજેતરમાં જ વડાપ્રધાનશ્રી ધ્વારા શિલાન્યાસ કરીને કરોડો પ્રજાજનોની આસ્થાને શિરોધાર્ય કરી છે. રાષ્ટ્રનિર્માણના અનેકવિધ પગલાંઓથી ભારતવાસીઓની કલ્પનાનું એક ભારત - શ્રેષ્ઠ ભારતનું સપનું સાકર થઈ રહ્યું છે.

        મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે કોરોના મહામારીના કારણે સમગ્ર વિશ્વ ત્રસ્ત છે ત્યારે વડાપ્રધાનશ્રીએ કોરોના મહામારીના સમયે લોકડાઉનનું કદમ ઉઠાવીને દેશવાસીઓને કોરોના સંક્રમણથી બચાવવાનો રાજધર્મ નિભાવ્યો છે જેને દુનિયાના દેશો અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ બિરદાવ્યો છે સાથે જ લોકડાઉનના પરિણામે ઉભા થયેલા આર્થિક સંકટ તથા રોજગારીના સર્જન માટે દેશને ફરી વિકાસની ગતિએ ચઢાવવા રૂ.૨૦ લાખ કરોડનું આત્મનિર્ભર ભારત પેકેજ જાહેર કરી દેશવાસીઓને સાચા અર્થમાં મદદરૂપ બન્યા છે. સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં કોરોના સંક્રમણ સામે આગવી વ્યવસ્થા અને આયોજનબધ્ધ પગલાઓની પણ મંત્રીશ્રીએ વિસ્તૃત વિગતો આપી હતી. રાજ્ય સરકારે પણ રૂ.૫૦૦૦ કરોડનું ઐતિહાસિક આત્મનિર્ભર ગુજરાત સહાય પેકેજની જાહેરાત કરી નાનાં વેપારીઓ, શ્રમિકો, કારીગરો, ખેડૂતો, સાગર ખેડૂતો, પશુપાલકોને મદદરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

        મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે લોકડાઉન બાદ વિશેષ ટ્રેનો અને બસો ધ્વારા ૨૦ લાખ જેટલા પરપ્રાંતિઓ - શ્રમિકોને પોતાના વતનમાં સલામત રીતે મોકલવાનુ કાર્ય પણ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું.

        મંત્રીશ્રીએ કહ્યું કે, જગતના તાત ખેડૂતોને રાજ્ય સરકારે “મુખ્યમંત્રી કિસાન યોજના” તથા “પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ” હેઠળ વિવિધ સહાય પણ ચૂકવવામાં આવી. ઉપરાંત કિસાન હિતકારી યોજનાઓનો સરકારે નક્કર અમલ પણ કર્યો છે.

        જળ સંચય અને જળ વિતરણ અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાત સરકારે યોજનાબધ્ધ આયોજન કર્યું હોવાથી વિગતોની માહિતી આપતાં મંત્રીશ્રીએ ભાડભૂત બેરેજ યોજના થકી ભરૂચને પ્રાપ્ત થતાં લાભોની માહિતી આપી હતી. મંત્રીશ્રીએ સુજલામ સુફલામ જળ સંચય અભિયાન હેઠળ તળાવો, ચેકડેમોને ઉંડા કરવા સાથે ૪૨ હજાર લાખ ઘનફૂટ વધારાના પાણીનો સંગ્રહ કરી જળ સંચયનું વિરાટ કાર્ય સંપન્ન થયું છે તેમ ઉમેર્યું હતું.

        ગુજરાતે વિકાસના તમામ ક્ષેત્રોમાં આગવા આયોજન સાથે અનેકવિધ સિધ્ધિઓ હાંસલ કરી છે, સાથો સાથ સમગ્રતયા વિકાસના તમામ આયામોમાં ભરૂચ જિલ્લાએ પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે. ઔદ્યોગિક વિકાસની સાથે છેવાડાના માનવી વિકાસથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકારે વિવિધ કદમ ઉઠાવ્યા છે તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.

        મંત્રીશ્રીએ રાજ્ય સરકારે જનહિતલક્ષી અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી હોવાનું જણાવી આવનારા સમયમાં ભરૂચ જિલ્લો રાજ્ય તથા રાષ્ટ્ર સતત પ્રગતિના પંથે અગ્રેસર રહે, સૌનું સ્વાસ્થ્ય નિરામય રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત થનાર પોલીસ કોન્સ્ટેબલશ્રી દિનેશભાઈ વસાવા અને ફિરોઝભાઈ મુલ્તાનીનું રૂ.૧ લાખનો ચેક અર્પણ કરી, શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કોરોના વોરિયર્સ ડૉક્ટર્સ, ફાર્માસિસ્ટ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓને મંત્રીશ્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર આપવામાં આવ્યા હતા. કોવિડ-૧૯ સંક્રમણથી અવસાન પામેલા કોરોના પોઝીટીવ દર્દીઓની વિવિધ સમાજના લોકો માટે અંતિમ વિધિ કરાવનાર સ્વયંસેવકોનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.

આઝાદીના પર્વ નિમિત્તી ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, ભરૂચના ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલ, વાગરાના ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવિંદ વિજયન, પોલીસ વડાશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.ડી.પટેલ, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ સુરભીબેન, જિલ્લા અગ્રણીશ્રી યોગેશભાઈ પટેલ, ધર્મેશભાઈ મિસ્ત્રી વિગેરે ઉચ્ચ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

અત્રે ઉલ્લેખનીય છે કે ૭૪ માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીની પૂર્વ સંધ્યાએ ભરૂચના ૯૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતાં સ્વાતંત્ર્ય સેનાનીશ્રી કૃષ્ણકાંત મજમુદાર અને અરવિંદ અંબાલાલ પંડ્યાનું જિલ્લા વહીવટીતંત્ર ધ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application