Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુબીરનાં લહાનકસાડ ગામે અંધશ્રદ્ધાનાં વહેમમાં મહિલાને ડાકણ કહી ત્રાસ આપનાર ત્રણ સામે ગુન્હો નોંધાયો

  • March 06, 2025 

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં લહાનકસાડ ગામે અંધશ્રદ્ધાના વહેમમાં ત્રણ વ્યક્તિઓ એક મહિલાને હેરાન પરેશાન કરતા હતા. તેમજ તમે ડાકણ છો તેવું કહીને મહિલાને ત્રાસ આપતા હતા. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી હતી. બનાવ અંગે સુબીર પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


મળતી માહિતી મુજબ, સુબીર તાલુકાનાં લહાનકસાડ ગામ ખાતે આનંદભાઈ રાજુભાઈ સાવરે, ગુનતાબેન રાજુભાઈ સાવરે અને જિગ્નેશભાઈ રાજુભાઈ સાવરેએ લહાનકસાડ ગામે જ રહેતા જશુબેનને કહેવા લાગેલા કે, તમે ડાકણ છો, અમારા છોકરાઓને બીમાર કરી દુ:ખ પહોંચાડો છે. એમ કહી આ ત્રણેય દ્વારા તેણીને અપશબ્દો બોલી ઝઘડો તકરાર કરવામાં આવી હતી. તેમજ નજીકમાંથી પથ્થર તથા માટીના ઢેફા ઊંચકીને જશુબેન તરફ ફેંકવા લાગ્યા હતા.


તેમજ જતાં જતાં તેણીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં પહેલા આ મહિલાએ ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરી હતી. ત્યારબાદ આ મામલાને ગંભીરતાથી ધ્યાને લઈને સુબીર પોલીસે આ ત્રણેય વિરુદ્ધ બી.એન.એસ. અધિનિયમ તથા ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી અધિનિયમ ૨૦૨૪ની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયર્વાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application