બારેમાસ સરહદની રખેવાળી કરતા પહેરેદારોને ડાંગના ભદરપાડા ગુરુકુળની વિદ્યાર્થીનીઓ 'ત્રિરંગા રાખડી' મોકલવાની તૈયારી કરી રહી છે. આગામી રક્ષા બંધનના પર્વને રાષ્ટ્રીયતા સાથે જોડીને, અહીંની વિદ્યાર્થીનીઓ દ્વારા આચાર્ય શ્રી કિશોરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, સુતરના તાંતણામાંથી તિરંગા રાખડી બનાવાઈ રહી છે. સહાભ્યાસિક પ્રવૃત્તિના ભાગરૂપે ગુરુકુળની બાળાઓ દ્વારા ભારતીય સંસ્કૃતિના રક્ષાબંધન પર્વમાં, રાષ્ટ્રીય પ્રેમની ભાવના ઉમેરી આ રાખડીઓ બનાવવામાં આવી રહી છે.
ડાંગ યુવક સેવા સમિતિ-આહવા સંચાલિત ગુરુકુળ વિદ્યા સંકુલ, ભદરપાડાની ગુરૂકુળ વિધાલયના શાળા પરિવાર દ્વારા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નિવૃત્ત શિક્ષિકા મનુબાના માર્ગદર્શન હેઠળ આ રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. જે સરહદે ફરજ બજાવતા સૈનિક ભાઈઓને મોકલવામાં આવશે. ડાંગની શૈક્ષણિક સંસ્થાઓને ઉદાહરણ પૂરું પાડતા આ શૈક્ષણિક સંસ્થાના બાળકોના સર્વાંગીણ શિક્ષણ સાથે દેશપ્રેમ અને સંસ્કૃતિ પ્રેમના સંસ્કાર બીજનું પણ વાવેતર કરી રહી છે, તેમ આચાર્યએ જણાવ્યું છે. આ સાથે અહીંની બાળાઓ દ્વારા નિર્મિત ૧૦૦૧ રાખડીઓ પૈકી, ૩૦૦ રાખડીઓ વીર જવાનો માટે મોકલાશે, તેમ પણ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500