Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લામા 'મુખ્યમંત્રી બાળ સેવા યોજના' ના ૧૧ લાભાર્થીઓને સહાયના ચેક અર્પણ કરાયા

  • July 09, 2021 

ડાંગ જિલ્લા સેવા સદનના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે 'કોરોના સંક્રમણ માટેની જાહેર થયેલી માર્ગદર્શિકા' અનુસાર યોજાયેલા નાનકડા કાર્યક્રમ દરમિયાન ઉક્ત મહાનુભાવો ઉપરાંત નિવાસી અધિક કલેકટર પદ્મરાજ ગામીત, જિલ્લાની બાળ કલ્યાણ સમિતિના ચેરમેન હંસાબેન પટેલ તથા સભ્યો, જુવેનાઈલ જસ્ટીસ બોર્ડના સભ્યો, અગ્રણી સામાજિક કાર્યકરો અને આગેવાનો એવા આહવાના સરપંચ હરિરામ સાવંત, તાલુકા પ્રમુખ કમળાબેન રાઉત, અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન નીલમબેન ચૌધરી, સંબંધિત વિભાગના અધિકારીઓ, લાભાર્થીઓ અને તેમના પાલકો વિગેરએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી. કાર્યક્રમનુ આયોજન તથા વ્યવસ્થા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જીગ્નેશ ચૌધરી તથા બાળ સુરક્ષા અધિકારી ચિરાગ જોશી તથા તેમની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રી સહીત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પરમાર તથા મહાનુભાવોએ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી રાજ્યના તમામ જિલ્લાઓને માર્ગદર્શિત કરીને કાર્યક્રમનો ઉદ્દેશ સ્પસ્ટ કર્યો હતો.

 

 

 

 

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ વેળા 'મુખ્યમંત્રી બાળ સેવા યોજના'નો પ્રારંભ કરાવતા જણાવ્યુ હતુ કે, કોરોનામા માતાપિતાની છત્રછાયા ગૂમાવી નિરાધાર બનેલા બાળકોનો આધાર આ સરકાર બની છે. બાળકનો ભવિષ્યનો વિચાર કરીને રાજ્ય સરકાર 'મુખ્યમંત્રી બાળ સેવા યોજના' થી નિરાધાર બાળકની પાલક બની છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમા તા.૧૮ માર્ચ ૨૦૨૦ના દિવસે પ્રથમ કોરોના કેસ નોંધાયો ત્યારથી લઇને અત્યાર સુધીમા કોરોનાથી માતાપિતાનુ અવસાન થતા નિરાધાર બનેલા, છત્રછાયા ખોઇ ચૂકેલા રાજ્યભરના ૭૭૬ બાળકોને દર મહિને રૂ.૪૦૦૦/- સહાય લેખે આ યોજના હેઠળ કુલ રૂ. ૩૧ લાખ ૪ હજાર રૂપિયા લાભાર્થી બાળકોના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા.

 

 

 

 

વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, જ્યા સુધી કોરોના મહામારી રહેશે ત્યા સુધી આવા બાળકો જેમણે પોતાના માતાપિતા ગુમાવ્યા હશે કે માતાપિતાનુ અવસાન કોરોના દરમિયાન થશે, તેવા બાળકોને રાજ્ય સરકાર આ સહાય આપશે. તેમણે કેન્દ્રની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારે દેશમા કોરોના મહામારીમા માતાપિતાની છત્રછાયા ગૂમાવી આધાર વિહોણા બનેલા બાળકો માટે પીએમ કેર ફંડમાંથી સહાય આપવાની સંવેદનાસ્પર્શી જાહેરાતને દિન દુ:ખીયાના આંસુ લૂછવાની સંકલ્પબદ્ધતા ગણાવી હતી.

 

 

 

 

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યું હતુ કે, નિરાધાર બાળકોનું ભાવિ રોળાઇ ન જાય તેની સંપૂર્ણ સંવેદનાથી બાળકના વાલી બનીને આ 'મુખ્યમંત્રી બાળ સેવા યોજના'થી દર મહિને ૪૦૦૦ની સહાયથી બાળકના આધાર બનવાનો સેવા યજ્ઞ આ રાજ્ય સરકારે આદર્યો છે. તેમને વધુમા કહ્યુ હતુ કે, 'મુખ્યમંત્રી બાળ સેવા યોજના'નો લાભ ૦ થી ૧૮ વર્ષ સુધીની વયના જે બાળકોના માતા-પિતાનું કોરોનાના સમયગાળામા અવસાન થયું હોય તેવા બાળકોને આવક મર્યાદા ધ્યાનમા લીધા સિવાય દર મહિને રૂ.૪૦૦૦/- ની સહાય રાજ્ય સરકાર આપશે તેમ જણાવી, જે બાળકને ૧૮ વર્ષ પૂર્ણ થયા પછી પણ અભ્યાસ ચાલુ હશે તેવા બાળકને ર૧ વર્ષ સુધી 'આફટર કેર યોજના'મા આવરી લઇ દર મહિને રૂ.૬ હજારની સહાય સરકાર આપશે. ઉપરાંત ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા આવા બાળકો યુવક/યુવતિઓને ર૪ વર્ષ કે અભ્યાસના વર્ષ પૂર્ણ થાય તેમાંથી જે વહેલું હોય ત્યા સુધી 'આફટર કેર યોજના'મા પ્રતિમાસ રૂ.૬ હજાર ની સહાય મળશે એમ પણ ઉમેર્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application