કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ બે દિવસ શ્રીનગરમાં અટવાઈ ગયેલા વડોદરાના 20 જેટલા પ્રવાસીઓનો સમૂહ આજે વડોદરા પરત ફર્યું હતું. વતનની ધરતી પર પગ મૂકતાની સાથે ઘણાની આંખો ભીની થઇ ગઇ હતી. રેલવે સ્ટેશન પર લેવા માટે આવેલા સબંધીઓ પણ તેમને ખુશીથી ભેટી પડયા હતા. જમ્મુ-કાશ્મીરથી પરત આવેલા એક સભ્ય ચાંદનીબેને કહ્યું હતું કે, અમે ભગવાનનો આભાર માનીએ છે. આતંકવાદી હુમલો થયો ત્યારે અમે શ્રીનગરના શાલીમાર બાગમાં હતા.
જેમ જેમ હુમલાના સમાચાર સામે આવતા ગયા હતા તેમ તેમ શ્રીનગરમાં ગભરાટ વધતો ગયો હતો. સ્કૂલો અને બજારો બંધ થઈ ગયા હતા અને લાલચોકમાં આ હુમલાના વિરોધમાં પ્રદર્શન થયું હતું. ભારતીય સેનાનો ઘણો સપોર્ટ મળ્યો. સ્થાનિક લોકો પણ હુમલાના વિરોધમાં હતા અને તેમણે પણ પ્રવાસીઓને મદદ કરી હતી. આતંકવાદી હુમલામાં નિર્દોષોનો જીવ ગયા છે. આ સારી વાત નથી. સરકારે ઈટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ. જયારે અન્ય એક સભ્યએ કહ્યું હતું કે, ભગવાનો આભાર માનીએ છે કે, અમે વડોદરા હેમખેમ આવી ગયા છે.
વાઘોડિયા રોડ પર રહેતા પરમાર પરિવારના સભ્યો અને બીજા સબંધીઓ મોરારીબાપુની રામકથા સાંભળવા માટે ગયા હતા અને આતંકી હુમલાના પગલે શ્રીનગરમાં અટવાયા હતા. વાહન વ્યવહાર બધ હોવાથી તેઓ જમ્મુથી ઉપડનારી ટ્રેન ચૂકી ગયા હતા. શ્રીનગર બંધના એલાન વચ્ચે તેમને સતત બે દિવસ હોટલમાં જ પૂરાઈ રહેવું પડયું હતું. આખરે તેમણે સરકાર અને સાંસદની મદદ માગી હતી.હોટલના સંચાલકે તેમને ખાનગી વાહનની વ્યવસ્થા કરી આપી હતી.જેના કારણે આ ગુ્રપ ૨૪ તારીખે શ્રીનગરથી વહેલી સવારે નીકળીને બપોરે જમ્મુ પહોંચ્યું હતું અને જમ્મુથી ટ્રેનમાં બેસીને આજે વડોદરા આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500