સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સીલી ગામે હરદૂંનપાળા ખાતે એક બસ ચાલકને રોકી તેને બસમાંથી નીચે ઉતારી લોખંડના સળીયાથી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. જેમાં સારવાર દરમિયાન ઈજાગ્રસ્તનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં આરોપી સામે કોર્ટમાં મામલો ચાલ્યો હતો. જેમાં કોર્ટે આરોપીને હત્યાના ગુનામાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફરમાવતો હુકમ કર્યો છે.
બનાવની વિગત એવી છે કે, દાદરા નગર હવેલીના સાયલી ગામે જરીપાડા ખાતે રહેતા સુરેશ વરઢા નામના ૪૦ વર્ષીય બસ ડ્રાઇવર તેના કબજાની બસ લઈને તારીખ ૧૭/૮/૨૦૨૦ નારોજ રાત્રિના ૧૧:૩૦ વાગ્યે વરઠાપાડા સીલી હાર્દુન પાડા પાસેથી પસાર થતો હતો ત્યારે આરોપી રાજેશ ગણેશ પાહુએ એને આગળ ફરી વળી બસ રોકી તેને હાથમાં રાખેલા લોખંડના સળિયાથી બસના કાચ ભાંગી નાખી તથા ડ્રાઈવર સીટ ઉપર બેસેલા સુરેશ વરઠાને બસમાંથી નીચે ઉતારી પાડી તેના માથામાં લોખંડના સળિયાથી મારમારી લોહી લુહાણ કરી નાંખી ગંભીર ઈજા પહોંચાડી ત્યાંથી ચાલી ગયો હતો. રાહદારીઓએ ૧૦૮માં સુરેશ વરાઠાને હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો.
જ્યાં સારવાર દરમિયાન સુરેશ વરઠાએ પોલીસને હોસ્પિટલના બીછાનેથી તેના ઉપર આરોપી રાજેશ ગણેશે, ‘તું મારી ઘર સામે આટા ફેરા કેમ મારે છે??? તેમ કહી હુમલો કર્યો હોવાની જુબાની આપી હતી. તે પછી સારવાર દરમિયાન સુરેશ વરઠાનું મોત નીપજ્યું હતું. તેથી પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધી પોલીસે તેની ધરપકડ કરી હતી. આ ઘટનામાં સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલ ગોરધન પુરોહિતે ધારદાર દલીલો કરતા તે ગ્રાહ્યરાખી વિદ્વાન ન્યાયાધીશ શ્રીમતી એસએસ સપ્તનેકરએ આરોપી રાજેશ ગણેશ પાહુને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ હેઠળ સજાપાત્ર ગુના માટે Cr.P.C., ૧૯૭૩ની કલમ ૨૩૫(૨) હેઠળ દોષિત ઠેરવી તેને આજીવન કેદ અને રૂ.પાંચ હજાર રૂપિયા દંડ ભરવાની સજા ફટકારવામાં આવી છે. જો દંડ ચૂકવવામાં ન આવે તો તેને વધુ ૦૩ (ત્રણ) મહિનાની સાદી કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500