લિંબાયત વિસ્તારની એક પીડિત મહિલાએ ૧૮૧ હેલ્પલાઇન પર કોલ કરી જણાવ્યું કે, તેઓ બિમાર હોવાથી હોસ્પિટલમાં દાખલ છે, અણબનાવના કારણે પતિ કે સાસરીવાળા કોઈ અહીં સાથે નથી. હોસ્પિટલમાંથી રજા લેવાની છે, પણ કોઈ સંબંધી બિલ ભરવા આવ્યા નથી. જેથી મદદ કરવા અરજ કરી હતી. અભયમ ટીમે હોસ્પિટલ પહોંચી પીડિતા સાથે વાતચીત કરતા તેણીએ જણાવ્યું કે, ૧૬ દિવસ પહેલા મારા પ્રેમલગ્ન થયા છે. લગ્નના થોડા જ દિવસમાં સાસરીવાળા માનસિક ટોર્ચર કરવા લાગ્યા, અને ત્રણ દિવસ પહેલા સાસુ અને પતિએ ઝઘડો કરી હાથ ઉપાડ્યો હતો, તેથી બેહોશ થઈ ગઈ હતી.
મારા કાકા મને હોસ્પિટલમાં દાખલ કરીને પરત જતા રહ્યા હતા. હોસ્પિટલમાં દાખલ હોવા છતાં પતિ કે સાસરી પક્ષના કોઈ વ્યક્તિ હોસ્પિટલ આવ્યા નથી, અને પ્રેમલગ્ન હોવાથી પિયરવાળા પણ ખબરઅંતર પૂછવા પણ આવ્યા નથી. આમ, હતાશ થયેલી પીડિતાએ આખરે અભયમને કોલ કરી આપવિતી જણાવી હતી. અભયમ ટીમે પતિ અને યુવતીના માતાને કોલ કરી હોસ્પિટલ બોલાવી સમજાવ્યા હતા. સમજાવટથી કામ લેતા પીડિતાના પતિએ હોસ્પિટલનું બિલ ભરી પોતાની સાથે ઘરે લઈ ગયા હતા. આમ, અભયમે સમાધાનનો માર્ગ અપનાવી દરમિયાનગીરી કરતા પરિણીતા અને પતિ, સાસરીપક્ષ વચ્ચેનું મન દુઃખ દૂર થયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500