મનિષા એસ. સુર્યવંશી/તાપી : નિઝરના લક્ષ્મીખેડા ગામ અને બોરદા ગામની વચ્ચે પુલની નજીકના વળાંકમાં ઉચ્છલ નિઝર જતાં સ્ટેટ હાઈવે પર બાઈક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈક રેલીંગ સાથે અથડાઈ જતાં બાઈક પર સવાર સગીરનું મોત નિપજ્યું હતું, જયારે બાઈક ચાલકને ઈજા પહોંચી હતી.
બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, નિઝરના પીંપરપાડા ગામે રહેતા યાદેશભાઈ દીલીપભાઈ વળવી અને કાર્તિકભાઈ ઉમેશભાઈ વળવી (ઉ.વ.૧૪) નાઓ બંને હોન્ડા કંપનીની પેશન પ્રો બાઈક નંબર GJ-26-B-3031 લઈને આધાર કાર્ડ ઓપડેટ કરાવવા માટે નિઝર ખાતે જવા નીકળ્યા હતા. તે સમયે લક્ષ્મીખેડા ગામ અને બોરદા ગામની વચ્ચે પુલની નજીકના વળાંકમાં ઉચ્છલ નિઝર જતાં સ્ટેટ હાઈવે ઉપર બાઈક ચાલક યાદેશભાઈએ પોતાના કબ્જા બાઈકને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઈકના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી રોડની બાજુમાં આવેલ રેલીંગ સાથે અથડાવી દઈ અકસ્માત સર્જ્યો હતો.
જોકે આ અકસ્માતમાં કાર્તિકને માથાના ભાગે તથા જમણા હાથના કોણીના ઉપરના ભાગે ગંભીર ઇજા તથા શરીરે ઇજાઓ પહોંચાડી સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. જયારે બાઈક ચાલક યાદેશભાઈને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે મંગીતાબેન ઉમેશભાઈ વળવીએ બાઈક ચાલક યાદેશભાઈ વિરુદ્ધ નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500