ગાંધીનગર અને કલોલ વિસ્તારમાં રવિવારે ગાજવીજ સાથે પડેલા વરસાદ દરમિયાન સરઢવ ગામે આકાશી વીજળી પડવાથી પશુપાલકની બે ગાયના મોત થયા હતાં. સતાવાર ચોમાસુ બેસવા પહેલાં જ મેઘરાજાએ પાડેલા વરસાદી ખેલથી પશુપાલકે બે ગાય મુમાવી હતી. નોંધવું રહેશે કે, ગત મહિનામાં માવઠાના વરસાદી માહોલમાં પણ બે પશુ મરણ થયા હતાં. દરમિયાન સરઢવના કિસ્સામાં પશુપાલકને 75 હજાર સહાય ચૂકવાશે. આકાશી વીજળી પડવાને કારણે સરઢવ ગામે બે ગાયના મોત થયાની જાણકારી મળવાની સાથે જિલ્લા પશુપાલન અધિકારી ડો.એસ.આઇ.પટેલ દ્વારા પશુ ચિક્ત્સા અધિકારીને સ્થળ તપાસ અને પોસ્ટ મોર્ટમ સહિતની જરૂરી કાર્યવાહી કરીને પશુપાલકને સરકારની ગાઇડલાઇન મુજબ તાત્કાલિક સહાય ચૂકવવાની કામગીરી કરવા જણાવાયુ હતું.
નોંધવું રહેશે, કે સરઢવ ગામના રહેવાસી પટેલ અશોકભાઇ ગાંડાભાઇની બે ગાય આકાશી વીજળી પડવાના કારણે મોતને ભેટી હતી. બંને ગાય દૂઝણી હતી. ત્યારે મહેસુલ વિભાગના કુદરતી આપત્તિઓને કારણે થતાં માનવ મૃત્યુ કે પશુમૃત્યુ, ઇજા અને સ્થાવર કે જંગમ મિલ્કતને થતાં નુકશાન માટે નાણાંકીય સહાય ચૂકવવાના સંકલિત ધોરણો અન્વયે એક દૂધાળી ગાય કે ભેંસ માટે રૂપિયા 37,500/- સહાય મળવાપાત્ર છે. તે અનુસાર સરઢવ ગામના કિસ્સામાં પશુમાલિકના બે દૂધાળા પશુના મરણ થયાં હોવાથી તેમને રૂપિયા 75,000/-ની સહાય મળવાપાત્ર છે. જની ચૂકવણી કરવા માટે તારીખ 11મીએ જ આદેશ કરી દેવાયો હતો.
સરકાર દ્વારા કુદરતી આપત્તિના સંજોગોમાં માનવ મૃત્યુ, પશુ મૃત્યુ, ઇજા પહોંચવી કે સ્થાવર, જંગમ મિલ્કતને થતાં નુકશાન સંબંધે પિડીતોને સહાય ચૂકવવાની જોગવાઇ કરવામાં આવેલી છે. તેના સંબંધમાં મદદનીશ પશુપાલન નિયામક દ્વારા જણાવવામાં આવ્યું કે, ભારે વરસાદ અને પુર, વાદળ ફાટવું, વાવાઝોડું, દુસ્કાળ, ભૂકંપ, ત્સુનામી, જમીન ધસી જવી, હિમપ્રપાત, કરાની વૃષ્ટી, ઠાર અને શીતલહેર, જીવાતનું આક્રમણ તથા આગ લાગવાના સંજોગોમાં નાણાંકીય સહાય ચુકવાનો ઠરાવ કરાયેલો છે. નોંધવું રહેશે કે અગાઉ તારીખ 2જી માર્ચના રોજ માણસા તાલુકાના લોદરા ગામે અને તારીખ 13મી મેના રોડ ગાંધીનગર તાલુકાના રતનપુર ગામે આકાશી વીજળી પડવાના બનાવમાં પશુપાલકની ભેંસના મોત થવાના બનાવ બન્યા હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500